Skip to content

ઊત્પત્તિ

આદમે પોતાની પત્ની હવાને જાણી અને તે ગર્ભવતી થઈ અને તેણે પુત્ર કાઈનને જન્મ આપ્યો. તેણે કહ્યું, “ઈશ્વરની કૃપાથી મને દીકરો જન્મ્યો છે.”
પછી તેણે બીજા પુત્ર હાબેલને જન્મ આપ્યો. બન્ને ભાઈઓમાંનો હાબેલ ઘેટાંપાળક હતો અને કાઈન ખેડૂત હતો.
આગળ જતા એમ થયું કે કાઈન ઈશ્વરને માટે ભૂમિનાં ફળમાંથી કંઈક અર્પણ લાવ્યો.
હાબેલ પોતાનાં ઘેટાંબકરાંમાંનાં પ્રથમ જન્મેલાં તથા ઉત્તમ અર્પણો લાવ્યો. ઈશ્વરે હાબેલને તથા તેના અર્પણને માન્ય કર્યાં,
પણ કાઈનને તથા તેના અર્પણને અમાન્ય કર્યાં. તેથી કાઈન ઘણો ગુસ્સે થયો અને તેનું મોં ઊતરી ગયું.
યહોવાહે કાઈનને કહ્યું કે, “તને શા માટે ગુસ્સો આવ્યો છે અને તારું મોં ઊતરી ગયું છે?
જે સારું છે તે તું કરે, તો શું તું માન્ય નહિ થશે? પણ જે સારું છે તે તું નહિ કરે, તો પાપ તારે દ્વારે રહે છે અને તે તેની તરફ તારું આકર્ષણ કરશે, પણ તું તેના પર જીત મેળવી શકીશ.”
કાઈને પોતાના ભાઈ હાબેલ સાથે વાત કર્યો જયારે તેઓ ખેતરમાં હતા, ત્યારે ત્યાં કાઈને પોતાના ભાઈ હાબેલ વિરુદ્ધ ઊઠીને તેને મારી નાખ્યો.
પછી ઈશ્વરે કાઈનને કહ્યું, “તારો ભાઈ હાબેલ ક્યાં છે? “તેણે કહ્યું, “હું જાણતો નથી? શું હું મારા ભાઈનો રખેવાળ છું?”
૧૦
ઈશ્વરે કહ્યું, “આ તેં શું કર્યું છે? તારા ભાઈનું લોહી ભૂમિમાંથી બદલો લેવા માટે મને હાંક મારે છે.
૧૧
હવે તારા ભાઈનું લોહી તારા હાથથી લેવાને જે ભૂમિએ પોતાનું મુખ ઉઘાડ્યું છે, તેથી તું શાપિત થયો છે.
૧૨
તું ગમે તેટલી મહેનતથી ભૂમિને ખેડશે, પણ તે પોતાનાં બળ તને આપશે નહિ. તું પૃથ્વી પર નિરાશ્રિતની માફક અહીંતહીં ભટકતો રહેશે.”
૧૩
કાઈને ઈશ્વરને કહ્યું કે, “હું સહન કરું તે કરતાં તમે મને વધારે સજા કરી છે.
૧૪
તમે મને આજે અહીંથી હાંકી કાઢ્યો છે અને હવે તમારી આગળથી મારે સંતાવાનું, પૃથ્વી પર ભટકવાનું તથા નાસતા ફરવાનું થશે. હવે જે કોઈ મને જોશે તે મને મારી નાખશે.”
૧૫
ઈશ્વરે તેને કહ્યું કે, “જે કોઈ તને મારી નાખશે, તેને સાત ગણી સજા થશે.” પછી ઈશ્વરે કાઈનને ઓળખવા સારુ તેના શરીર પર ચિહ્ન મૂક્યું કે જે કોઈ તેને જુએ, તે તેને મારી નાખે નહિ.
૧૬
કાઈન ઈશ્વરની સમક્ષતામાંથી ચાલ્યો ગયો. અને જઈને એદનની પૂર્વના નોદ દેશમાં રહ્યો.
૧૭
કાઈને તેની પત્ની સાથે વૈવાહિક સંબંધ બાંધ્યો અને તે ગર્ભવતી થઈ. તેણે હનોખને જન્મ આપ્યો. કાઈને એક નગર બાંધ્યું અને તેનું નામ પોતાના દીકરાના નામ પરથી હનોખ નગર રાખ્યું.
૧૮
હનોખથી ઇરાદ જન્મ્યો. ઇરાદ મહૂયાએલનો પિતા હતો. મહૂયાએલ મથૂશાએલનો પિતા હતો. મથૂશાએલ લામેખનો પિતા હતો.
૧૯
લામેખે બે સ્ત્રીઓ સાથે લગ્ન કર્યાં: એકનું નામ આદા અને બીજીનું નામ સિલ્લાહ હતું.
૨૦
આદાએ યાબાલને જન્મ આપ્યો. તે તંબુઓમાં રહેનારાઓનો તથા ગોવાળિયાનો આદિપિતા હતો.
૨૧
તેના ભાઈનું નામ યૂબાલ હતું. તે તાર તથા પવનથી વાગતાં વાંજિત્રો વગાડનારાઓનો આદિપિતા હતો.
૨૨
સિલ્લાહએ પણ તૂબાલ-કાઈનને જન્મ આપ્યો. જે સર્વ તાંબાના તથા લોખંડનાં હથિયાર બનાવનાર હતો. તૂબાલ-કાઈનની બહેન નાઅમાહ હતી.
૨૩
લામેખે પોતાની પત્નીઓને કહ્યું કે, “આદા તથા સિલ્લાહ, હું જે કહું તે સાંભળો, હે લામેખની પત્નીઓ માંરે જે કહેવું પડે છે તે કાળજીપૂર્વક સાંભળો. મને ઘાયલ કરનાર એક માણસને, મેં મારી નાખ્યો છે, મને જખમી કરનાર એક જુવાનને મેં મારી નાખ્યો છે.
૨૪
જો કાઈનને મારવાનો બદલો સાત ગણો લેવાય, તો લામેખનો સિત્તોતેર ગણો લેવાશે.”
૨૫
પછી આદમથી સગર્ભા થયેલી તેની પત્ની હવાએ બીજા એક દીકરાને જન્મ આપ્યો. તેનું નામ શેથ રાખવામાં આવ્યું. ત્યારે હવાના ઉદ્દગાર આ હતા: “કાઈને હાબેલને મારી નાખ્યો હતો. એ હાબેલના બદલામાં ઈશ્વરે મને બીજો દીકરો આપ્યો છે.”
૨૬
શેથની પત્નીએ પણ દીકરાને જન્મ આપ્યો. તેણે તેનું નામ અનોશ રાખ્યું. અનોશના જન્મ પછી લોકોમાં ઈશ્વરની ઉપાસના કરવાની શરૂઆત થઈ.
Use arrow keys to navigate
Settings

Reading Style

Typeface

Font Size 19px

Options