Skip to content

કલોસ્સીઓને પત્ર

હું ચાહું છું કે તમે એ જાણો કે, તમારા વિષે તથા જેઓ લાઓદિકિયામાં છે તેઓ વિષે તથા જેટલાંએ મને રૂબરૂ જોયો નથી તેઓને વિષે હું કેટલો બધો યત્ન કરું છું કે,
તેઓનાં હૃદયો દિલાસો પામે અને ઈશ્વરનો મર્મ એટલે ખ્રિસ્તને સમજવાને સંપૂર્ણ જ્ઞાન પ્રાપ્ત કરવાને માટે, પ્રેમથી સંગતમાં રહે.
તેમનાંમાં જ્ઞાન તથા બુદ્ધિનો સર્વ ખજાનો ગુપ્ત રહેલો છે.
કોઈ માણસ મીઠી વાતોથી તમને છેતરે નહિ માટે હું તે કહું છું.
કેમ કે શારીરિક રીતે હું તમારાથી દૂર છું, તોપણ આત્મામાં તમારી સાથે છું; તમારી સુવ્યવસ્થા તથા ખ્રિસ્ત પરના તમારા વિશ્વાસની દ્રઢતા જોઈને હું આનંદ પામું છું.
તે માટે જેમ તમે ખ્રિસ્ત ઈસુ પ્રભુને સ્વીકાર્યાં છે તેમ તેમનાંમાં ચાલો,
તેમનાંમાં રોપાયેલા, સ્થપાયેલાં અને જેમ શિખામણ પામ્યા તે પ્રમાણે વિશ્વાસમાં સ્થિર રહીને તેમની વધારે આભારસ્તુતિ કરો.
સાવધાન રહો, કે, છેતરનાર ફિલસૂફીનો ખાલી આડંબર જે ખ્રિસ્ત પ્રમાણે નહિ, પણ માણસોના રીતિરિવાજ પ્રમાણે અને જગતના સિદ્ધાંતો પ્રમાણે છે, તેથી કોઈ તમને ફસાવે નહીં.
કેમ કે ઈશ્વરત્વની સર્વ સંપૂર્ણતા ખ્રિસ્તનાં શરીરમાં વસે છે.
૧૦
તમે તેમનાંમાં સંપૂર્ણ થયા છો; તેઓ સર્વ શાસન તથા અધિકારનાં ઉપરી છે;
૧૧
જે સુન્નત હાથે કરેલી નથી તેથી તમે તેમનાંમાં સુન્નતી થયા, એટલે ખ્રિસ્ત દ્વારા કરવામાં આવેલી સુન્નતને આશરે તમે દેહને તેની દૈહિક વાસનાઓ સાથે ઉતારી મૂક્યો.
૧૨
તેમની સાથે તમે બાપ્તિસ્મામાં દફનાવાયા, અને તેમાં પણ ઈશ્વર જેમણે તેમને મૃત્યુમાંથી સજીવન કર્યા, તેમના સામર્થ્ય પરના વિશ્વાસથી તમને તેમની સાથે ઉઠાડ્યાં.
૧૩
તમે તમારા અપરાધોમાં તથા તમારા મનુષ્યદેહની બેસુન્નતમાં મૃત હતા ત્યારે તેમણે તમારા સર્વ અપરાધોની માફી આપીને તમને ખ્રિસ્તની સાથે સજીવન કર્યાં.
૧૪
અને નિયમોનું તહોમતનામું જે આપણી વિરુદ્ધ હતું; અને આપણને પ્રતિકૂળ હતું, તેને રદ કરીને તથા વધસ્તંભે તેને ખીલા મારીને નાબૂદ કરી નાખ્યું.
૧૫
રાજ્યો તથા અધિકારો તોડી પાડીને, વધસ્તંભે તેઓ પર વિજય પામીને તેઓને જાહેરમાં ઉઘાડાં પાડ્યાં.
૧૬
તેથી ખાવાપીવાની બાબતમાં તથા પર્વ, પૂનમ કે વિશ્રામવાર પાળવામાં કોઈ તમને દોષિત ઠરાવે નહિ.
૧૭
તેઓ તો થનાર વાતોની પ્રતિછાયા છે, પણ વાસ્તવિકતા તો ખ્રિસ્ત છે.
૧૮
નમ્રતા તથા સ્વર્ગદૂતોની સેવા પર ભાવ રાખવા કોઈ તમને ન ફસાવે અને તમારું ઇનામ છીનવી ન લે. તેને જે દર્શનો થયા છે તે પર આધાર રાખીને તે પોતાના દૈહિક મનથી ફુલાઈ જાય છે.
૧૯
તે શિરને વળગી રહેતો નથી, એ શિર થી આખું શરીર, સાંધાઓ તથા સ્નાયુઓથી પોષણ પામીને તથા જોડાઈને ઈશ્વરથી વૃદ્ધિ પામે છે.
૨૦
જો તમે ખ્રિસ્તની સાથે જગતના સિદ્ધાંતો સંબંધી મૃત્યુ પામ્યા, તો જગતમાં જીવનારાંની માફક શા માટે વિધિઓને આધીન થાઓ છો?
૨૧
‘જેમ કે અમુકને સ્પર્શ કરવો નહિ, ચાખવું નહિ અને હાથમાં લેવું નહિ.’”
૨૨
એ બધી બાબતો માણસોની આજ્ઞા તથા શિક્ષણ પ્રમાણે છે વપરાશથી જ નાશ પામનારી છે.
૨૩
તેઓમાં સ્વૈચ્છિક સેવા, નમ્રતા તથા દંભી દેહદમન વિષે ડહાપણનો આભાસ છે, પણ શારીરિક વાસનાઓને અટકાવવાને તેઓ કોઈ રીતે ઉપયોગી નથી.
Use arrow keys to navigate
Settings

Reading Style

Typeface

Font Size 19px

Options