રોમનોને પત્ર ૧૧:૧૧-૩૨
૧૧
¶ ત્યારે હું પૂછું છું કે, ‘શું તેઓએ એ માટે ઠોકર ખાધી કે તેઓ પડી જાય?’ ના, એવું ન થાઓ, પણ ઊલટું તેઓના પડવાથી બિનયહૂદીઓને ઉદ્ધાર મળ્યો છે, કે જેનાંથી ઇઝરાયલમાં ઈર્ષ્યા ઉત્પન્ન થાય.
૧૨
હવે જો તેઓનું પડવું માનવજગતને સંપત્તિરૂપ થયું છે અને તેઓનું નુકસાન બિનયહૂદીઓને સંપત્તિરૂપ થયું છે, તો તેઓની સંપૂર્ણતા કેટલી અધિક સંપત્તિરૂપ થશે!
૧૩
¶ હવે હું તમો બિનયહૂદીઓને કહું છું. હું મારું સેવાકાર્ય ખૂબ જ મહત્વનું માનું છું કારણ કે હું બિનયહૂદીઓનો પ્રેરિત છું.
૧૪
જેથી હું કોઈ પણ પ્રકારે મારા પોતાના લોકો યહૂદીઓ માં ઈર્ષ્યા ઉત્પન્ન કરીને તેઓમાંના કેટલાકને બચાવું.
૧૫
¶ કેમ કે જો તેઓનો નકાર થવાથી માનવજગતનું ઈશ્વર સાથે સમાધાન થયું, તો તેઓનો સ્વીકાર થવાથી મૃત્યુમાંથી જીવન સિવાય બીજું શું થશે?
૧૬
જો પ્રથમફળ પવિત્ર છે, તો આખો સમૂહ પણ પવિત્ર છે; અને જો મૂળ પવિત્ર છે તો ડાળીઓ પણ પવિત્ર છે.
૧૭
¶ પણ જો ડાળીઓમાંની કેટલીકને તોડી નાખવામાં આવી; અને તું જંગલી જૈતૂનની ડાળ હોવા છતાં તેઓમાં કલમરૂપે મેળવાયો અને જૈતૂનનાં રસ ભરેલા મૂળનો સહભાગી થયો,
૧૮
તો એ ડાળીઓ પર તું ગર્વ ન કર. પરંતુ જો તું ગર્વ કરે, તો મૂળને તારો આધાર નથી પણ તને મૂળનો આધાર છે.
૧૯
¶ વળી તું કહેશે કે, ‘હું કલમરૂપે મેળવાઉં માટે ડાળીઓ તોડી નાખવામાં આવી.’”
૨૦
બરાબર, તેમના અવિશ્વાસને લીધે તેઓને તોડી નાખવામાં આવી, અને તું તારા વિશ્વાસથી સ્થિર રહે છે. ગર્વિષ્ઠ ન થા, પણ ભય રાખ.
૨૧
કેમ કે જો ઈશ્વરે અસલ ડાળીઓને બચાવી નહિ, તો તેઓ તને પણ નહિ બચાવે.
૨૨
¶ તેથી ઈશ્વરની મહેરબાની તથા તેમની સખતાઈ પણ જો; જેઓ પડી ગયા તેઓના ઉપર તો સખતાઈ; પણ જો તું તેમની કૃપા ટકી રહે તો તારા ઉપર ઈશ્વરની કૃપા; નહિ તો તને પણ કાપી નાખવામાં આવશે.
૨૩
¶ પણ જો તેઓ પોતાના અવિશ્વાસમાં રહેશે નહિ, તો તેઓ પણ કલમરૂપે મેળવાશે; કેમ કે ઈશ્વર તેઓને કલમરૂપે પાછા મેળવી શકે છે.
૨૪
કેમ કે જે જૈતૂનનું ઝાડ કુદરતી રીતે જંગલી હતું તેમાંથી જો તને અલગ કરવામાં આવ્યો અને સારા જૈતૂનનાં ઝાડમાં કુદરતથી વિરુદ્ધ કલમરૂપે મેળવવામાં આવ્યો; તો તે કરતાં અસલ ડાળીઓ તેમના પોતાના જૈતૂનનાં ઝાડમાં કલમરૂપે પાછી મેળવાય તે કેટલું વિશેષ શક્ય છે?
૨૫
¶ કેમ કે હે ભાઈઓ, તમે પોતાને બુદ્ધિવાન ન સમજો, માટે મારી ઇચ્છા નથી કે આ ભેદ વિષે તમે અજાણ રહો કે બિનયહૂદીઓની સંપૂર્ણતા માંહે આવે ત્યાં સુધી ઇઝરાયલને કેટલેક ભાગે કઠિનતા થઈ છે.
૨૬
¶ અને પછી તમામ ઇઝરાયલ ઉદ્ધાર પામશે, જેમ લખેલું છે ‘સિયોનમાંથી ઉદ્ધાર આવશે; તે યાકૂબમાંથી અધર્મને દૂર કરશે;
૨૭
હું તેઓનાં પાપનું નિવારણ કરીશ, ત્યારે તેઓની સાથેનો મારો કરાર પૂરો થશે.
૨૮
¶ સુવાર્તાનાં સંદર્ભે તો તમારે લીધે તેઓ શત્રુ છે ખરા, પણ પસંદગી સંદર્ભેમાં તો પૂર્વજોને લીધે તેઓ તેમને વહાલા છે.
૨૯
કેમ કે ઈશ્વરનાં કૃપાદાન તથા તેડું રદ જાય એવાં નથી.
૩૦
¶ કેમ કે જેમ તમે અગાઉ ઈશ્વર પ્રત્યે અનાજ્ઞાંકિત હતા, પણ હમણાં તેઓના અનાજ્ઞાંકિતપણાને કારણથી તમે દયાપાત્ર બન્યા છો;
૩૧
એમ જ તેઓ પણ હમણાં અણકહ્યાગરા થયા છે, એ માટે કે, તમારા પર દર્શાવેલી દયાના કારણે, તેઓને પણ હમણાં દયાદાન મળે.
૩૨
કેમ કે ઈશ્વરે બધાને આજ્ઞાભંગને આધીન ઠરાવ્યાં છે, એ સારુ કે તે બધા ઉપર દયા કરે.
Settings