મુખ્ય સામગ્રી પર જાઓ
પ્રકટીકરણ ૧૯:૧૧-૨૧

પ્રકટીકરણ ૧૯:૧૧-૨૧

૧૧
પછી મેં સ્વર્ગ ઊઘડેલું જોયું, અને જુઓ, એક સફેદ ઘોડા ઉપર જે બેઠેલા છે તે ‘વિશ્વાસુ તથા સત્ય’ છે, અને તેઓ પ્રમાણિકતાથી ન્યાય તથા લડાઈ કરે છે.
૧૨
અગ્નિની જ્વાળા જેવી તેમની આંખો છે, અને તેમના માથા પર ઘણાં મુગટ છે; જેનાં પર એવું નામ લખેલું છે કે જે તેમના સિવાય બીજું કોઈ જાણતું નથી.
૧૩
લોહીથી છંટાયેલો ઝભ્ભો તેમણે પહેર્યો છે; તેમનું નામ ‘ઈશ્વરનો શબ્દ’ છે.
૧૪
સ્વર્ગનાં સૈન્ય તે શ્વેત ઘોડા પર સફેદ તથા શુદ્ધ બારીક શણનાં વસ્ત્રો પહેરીને તેમની પાછળ પાછળ ચાલ્યા.
૧૫
તેમના મોમાંથી ધારવાળી તલવાર નીકળે છે; એ માટે કે તેનાથી તે દેશને મારે, અને લોખંડના દંડથી તેઓ પર તે સત્તા ચલાવશે! અને સર્વસમર્થ ઈશ્વરના ભારે કોપનો દ્રાક્ષાકુંડ તે ખૂંદે છે.
૧૬
તેમના ઝભ્ભા પર તથા તેમની જાંઘ પર એવું લખેલું છે કે ‘રાજાઓનો રાજા તથા પ્રભુઓનો પ્રભુ.’”
૧૭
મેં એક સ્વર્ગદૂતને સૂર્યમાં ઊભો રહેલો જોયો, અને તેણે આકાશમાં ઊડનારાં સર્વ પક્ષીઓને મોટે અવાજે હાંક મારી કે, ‘તમે આવો અને ઈશ્વરના મોટા જમણને સારુ ભેગા થાઓ;
૧૮
એ સારુ કે રાજાઓનું, સેનાપતિઓનું, શૂરવીરોનું, ઘોડાઓનું, સવારોનું, સ્વતંત્ર તથા દાસોનું, નાના તથા મોટાનું માંસ તમે ખાઓ.”
૧૯
પછી મેં હિંસક પશુ, દુનિયાના રાજાઓ તથા તેઓનાં સૈન્યને ઘોડા પર બેઠેલાની સામે તથા તેમના સૈન્યની સામે લડવાને એકઠા થયેલા મેં જોયા.
૨૦
હિંસક પશુ પકડાયું, અને તેની સમક્ષ જે જૂઠાં પ્રબોધકે ચમત્કારિક ચિહ્નો દેખાડીને હિંસક પશુની છાપ લેનારાઓને તથા તેની મૂર્તિની ઉપાસના કરનારાઓને ભમાવ્યા હતા તેને પણ તેની સાથે પકડવામાં આવ્યો. એ બન્નેને સળગતા ગંધકની સરોવરમાં, જીવતા જ ફેંકવામાં આવ્યા.
૨૧
અને જેઓ બાકી રહ્યા તેઓને ઘોડા પર બેઠેલાના મોમાંથી જે તલવાર નીકળી તેનાથી મારી નાખવામાં આવ્યા; અને તેઓના માંસથી સઘળાં પક્ષી તૃપ્ત થયાં.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Reading Width 45 chars

Options