નાહૂમ ૩:૧-૧૩
૧
¶ ખૂની નગરને અફસોસ! તે જૂઠથી તથા લૂંટથી ભરેલું છે; તેમાં શિકાર કરવાનું બંધ થયું નથી.
૨
પણ હવે ત્યાં ચાબુકનો તથા ગડગડતા પૈડાનો, કૂદતા ઘોડા તથા ઊછળતા રથોનો અવાજ સંભળાય છે.
૩
¶ ઘોડેસવારોની દોડાદોડ, ચમકતી તલવારો, તેજસ્વી ભાલાઓ, લાશોના તથા કતલ થયેલાઓના ઢગલા અને મૃતદેહોનો તો કોઈ અંત જ નથી; તેઓ પર હુમલો કરનારાઓ મૃતદેહો પર થઈને જાય છે.
૪
આ બધાનું કારણ એ છે કે, સુંદર ગણિકાની વિષયવાસના, જે જાદુક્રિયામાં પ્રવીણ, જે પોતાની ગણિકાગીરીથી પ્રજાઓને તથા લોકોને પોતાના જાદુક્રિયાથી વેચી દે છે, તેના વ્યભિચાર પુષ્કળ છે.
૫
¶ સૈન્યોનો ઈશ્વર યહોવાહ કહે છે, “જો, હું તારી વિરુદ્ધ છું,” “હું તારો ચણિયો તારા મુખ પર ઉઠાવીશ અને તારી નગ્નતા હું પ્રજાઓને દેખાડીશ, રાજ્યોને તારી શરમ બતાવીશ.
૬
હું તારા પર કંટાળાજનક ગંદકી નાખીશ, અને તને ધિક્કારપાત્ર કરીશ; હું તને હાસ્યસ્પદ બનાવીશ કે દરેક લોક તને જોઈ શકે.
૭
ત્યારે એવું થશે કે જે લોકો તને જોશે તેઓ તારી પાસેથી નાસી જશે અને કહેશે, ‘નિનવેનો નાશ થયો છે; કોણ તેના માટે વિલાપ કરશે?’ તને આશ્વાસન આપનારને હું ક્યાં શોધું?”
૮
¶ નિનવે, શું તું નોનો કરતાં પણ ઉત્તમ છે, જે નીલ નદીને કિનારે બાંધેલું હતું, જેની આસપાસ પાણી હતું, સમુદ્ર તેનો કિલ્લો હતો અને પાણી તેનો કોટ હતો?
૯
કૂશ તથા મિસર તેનું બળ હતું, અને તે અનંત હતું; પૂટ તથા લૂબીઓ તારા સાથીદારો હતા.
૧૦
¶ તેમ છતાં તેનું અપહરણ થયું; તે ગુલામગીરીમાં ગઈ; શેરીની ભાગળમાં તેનાં બાળકોને મારીને ટુકડા કરવામાં આવ્યા, તેના માનવંતા માણસો માટે ચિઠ્ઠીઓ નાખવામાં આવી, તેના બધા માણસોને સાંકળોથી બાંધવામાં આવ્યા.
૧૧
હે નિનવે, તું પણ નશાથી ચકચૂર બનશે; તું પોતાને છુપાવશે; તું પણ શત્રુને લીધે આશ્રયસ્થાન શોધશે.
૧૨
¶ તારા બધા કિલ્લાઓ તો પ્રથમ ફળના અંજીર જેવા થશે. જો કોઈ તેમને હલાવે તો તે ખાનારાના મોમાં પડે છે.
૧૩
જો, તારામાં રહેનાર લોકો સ્ત્રીઓ જેવા છે; તારા દેશની ભાગળો તારા શત્રુ માટે ખુલ્લી મૂકવામાં આવી છે; અગ્નિ વડે તારા દરવાજાઓ ભસ્મ કરી નાખવામાં આવ્યા છે.
Settings