Skip to content
ન્યાયાધીશો ૯:૪૫-૫૭

ન્યાયાધીશો ૯:૪૫-૫૭

૪૫
અબીમેલેખે આખો દિવસ નગરની સામે લડાઈ કરી. તેણે નગરને કબજે કર્યું અને તેમાં જે લોકો હતા તેઓને મારી નાખ્યા. તેણે નગર તોડી પાડ્યું અને તેમાં મીઠું વેર્યું.
૪૬
જયારે શખેમના કિલ્લાના સર્વ આગેવાનોએ સાંભળ્યું, ત્યારે તેઓ એલ-બરીથના ઘરના ભોંયરામાં પ્રવેશ્યા.
૪૭
અબીમેલેખને ખબર મળી કે શખેમના કિલ્લાના સર્વ આગેવાનો એકત્ર થયા છે.
૪૮
અબીમેલેખ તથા તેની સાથેના સર્વ લોકો સાલ્મોન પર્વત પર ગયા. અબીમેલેખે પોતાના હાથમાં એક કુહાડી લઈને વૃક્ષની ડાળીઓ કાપી. તેણે પોતાના ખભા પર મૂકીને તેની સાથેના લોકોને હુકમ કર્યો, “તમે મને જે કરતાં જોયો છે તે પ્રમાણે તમે પણ જલ્દીથી કરો.”
૪૯
તેથી સર્વ લોકો પણ ડાળીઓ કાપીને અબીમેલેખની પાછળ ચાલ્યા. અને તે ડાળીઓ કિલ્લાને લગાડીને તે વડે કિલ્લાને સળગાવી દીધો અને તેથી શખેમના કિલ્લાનાં સર્વ માણસો આશરે હજારેક પુરુષ તથા સ્ત્રીઓ મરણ પામ્યાં.
૫૦
પછી અબીમેલેખ તેબેસ ગયો અને તેબેસની સામે છાવણી નાખીને તે કબજે કર્યું.
૫૧
પણ તે નગરમાં એક મજબૂત કિલ્લો હતો અને તેમાં નગરનાં સર્વ પુરુષ, સ્ત્રીઓ તથા નગરના સઘળા આગેવાનો નાસી ગયા અને અંદરથી કિલ્લાનું બારણું બંધ કર્યું. પછી તેઓ કિલ્લાની છત પર ચઢી ગયા.
૫૨
અબીમેલેખે કિલ્લા આગળ આવીને તેની સામે લડાઈ કરી અને આગ લગાડવા માટે કિલ્લાના બારણાની નજીક આવ્યો.
૫૩
પણ એક સ્ત્રીએ ઘંટીનું ઉપલું પડ અબીમેલેખના માથા પર ફેંકીને તેની ખોપરી ફોડી નાખી.
૫૪
પછી તેણે તરત એક જુવાનને બોલાવીને એટલે જે તેનો શસ્ત્રવાહક હતો તેને કહ્યું, “તારી તલવાર કાઢીને મને મારી નાખ, કે કોઈ મારા વિષે એમ ન કહે, ‘એક સ્ત્રીએ મને મારી નાખ્યો.’ તેથી તે જુવાને તેને તલવારથી મારી નાખ્યો અને તે મરણ પામ્યો.
૫૫
જયારે ઇઝરાયલના માણસોએ જોયું કે અબીમેલેખ મરણ પામ્યો છે, ત્યારે તેઓ પોતાના ઘરે પાછા ગયા.
૫૬
અને આમ ઈશ્વરે અબીમેલેખના દુરાચાર પ્રમાણે તેને બદલો આપ્યો, તેણે પોતાના સિત્તેર ભાઈઓની હત્યા કરેલી હતી.
૫૭
શખેમના લોકોની બધી દુષ્ટતાનો બદલો ઈશ્વરે તેઓને આપ્યો અને યરુબાલના દીકરા યોથામનો શાપ તેઓ પર આવ્યો.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Options