યર્મિયા ૩૮:૧-૧૩
૧
¶ આ સર્વ વચનો માત્તાનના દીકરા શફાટયાએ, પાશહૂરના દીકરા ગદાલ્યાએ, શેલેમ્યાના દીકરા યુકાલે અને માલ્કિયાના દીકરા પાશહૂરે સાંભળ્યા. યર્મિયાએ લોકોને કહ્યું કે,
૨
“યહોવાહ આ પ્રમાણે કહે છે કે; ‘જે કોઈ આ નગરમાં રહેશે તે તલવાર, દુકાળ કે મરકીથી મૃત્યુ પામશે, પણ જે કોઈ ખાલદીઓને શરણે જશે તે બચવા પામશે, અને તેનો જીવ લૂંટ તરીકે ગણાશે.
૩
વળી યહોવાહ આ પ્રમાણે કહે છે કે; આ નગર બાબિલના રાજાના સૈન્યના હાથમાં જશે, અને તેઓ તેને જીતી લેશે.”
૪
¶ ત્યારે તે અધિકારીઓએ રાજાને કહ્યું કે, “આ માણસને મારી નાખવો જોઈએ, આવી વાતો કરીને એ આપણા યોદ્ધાઓને અને નગરમાં બાકી રહેલા લોકોને નાહિંમત બનાવી દે છે. તે આ લોકોનું હિત કરવા માગતો નથી પણ વિનાશ કરવા માગે છે.”
૫
સિદકિયા રાજાએ કહ્યું, જુઓ તે તમારાં હાથમાં છે, કેમ કે રાજા તમારી ઇચ્છાને વિરુદ્ધ કંઈ કરી શકતો નથી.”
૬
¶ આથી એ લોકોએ યર્મિયાને પકડીને રાજાના દીકરા માલ્ખિયાની ચોકીના ટાંકામાં નાખ્યો, તેઓએ તેને દોરડા વડે નીચે ઉતાર્યો. તે ટાંકામાં પાણી નહોતું, પણ ફક્ત કાદવ હતો અને યર્મિયા કાદવમાં ખૂંપી ગયો.
૭
¶ હવે રાજાના મહેલમાં એક કૂશ દેશના ખોજા, એબેદ-મેલેખે સાંભળ્યું કે તેઓએ યર્મિયાને ટાંકામાં નાખ્યો છે. અને રાજા બિન્યામીનના દરવાજા આગળ બેઠો છે.
૮
એવામાં એબેદ-મેલેખે રાજાના મહેલમાંથી નીકળીને રાજાની પાસે આવી તેને કહ્યું કે,
૯
મારા માલિક, મારા રાજા, આ લોકોએ પ્રબોધક યર્મિયા સાથે જે કર્યુ છે તે ઘણું અનિષ્ટ થયું છે; એ લોકોએ તેને પાણીના ટાંકામાં નાખ્યો છે અને નગરમાં ખોરાક તો છે નહિ એટલે તે કદાચ ભૂખે મરી જશે.”
૧૦
¶ આ સાંભળીને રાજાએ કૂશી એબેદ-મેલેખેને આજ્ઞા કરી કે “તું અહીંથી ત્રીસ માણસને તારી સાથે લઈને જા. અને પ્રબોધક યર્મિયા મૃત્યુ પામે તે પહેલાં તેને ટાંકામાંથી બહાર ખેંચી કાઢ.”
૧૧
તેથી એબેદ-મેલેખ પોતાની સાથે માણસો લઈને રાજાના મહેલના ભંડારમાં ગયો. અને પોતાની સાથે કેટલાક જૂનાં ફાટેલાં લૂગડાં તથા ચીંથરાં લઈને દોરડા વડે બાંધીને ટાંકામાં યર્મિયાને પહોંચાડ્યાં.
૧૨
¶ પછી કૂશી એબેદ-મેલેખે યર્મિયાને કહ્યું; આ જૂના ફાટેલાં વસ્ત્રો તથા સડેલાં ચીથરાં તારી બગલમાં મૂક.” એટલે યર્મિયા એ તેમ કર્યું.
૧૩
પછી તેઓએ યર્મિયાને દોરડા વડે ટાંકામાંથી બહાર ખેંચી કાઢયો ત્યાર પછી યર્મિયા ચોકીમાં રહ્યો.
Settings