Skip to content
નિર્ગમન ૧૩:૨-૧૬

નિર્ગમન ૧૩:૨-૧૬

“તમામ ઇઝરાયલીઓએ પોતાના બધા જ પ્રથમજનિતને પવિત્ર કરવા. પરિવારમાં પ્રથમ જન્મેલા પુરુષને તથા પશુને મારે માટે પવિત્ર કરવા; તેઓ મારા છે.”
મૂસાએ લોકોને કહ્યું, “જે દિવસે તમે મિસરમાંથી એટલે ગુલામીના ઘરમાંથી બહાર આવ્યા તે દિવસને તમે યાદ રાખજો, યહોવાહ પોતાના પરાક્રમ વડે તમને બહાર લાવ્યા છે. તેથી તમારે ખમીરવાળી રોટલી ખાવી નહિ.
આબીબ માસના આ દિવસે તમે બહાર આવ્યા છો.
અને તમારા પિતૃઓને આપેલા વચન પ્રમાણે યહોવાહ તમને દૂધ તથા મધથી રેલછેલવાળો એવા કનાનીઓ, હિત્તીઓ, અમોરીઓ, હિવ્વીઓ અને યબૂસીઓના દેશમાં લઈ જાય ત્યારે તમારે આ પ્રમાણે ભજન કરવું.”
“સાત દિવસ સુધી તમારે ખમીર વગરની રોટલી ખાવી. સાતમે દિવસે ઈશ્વરનું આ પર્વ પાળવું.”
એ સાત દિવસ સુધી બેખમીરી રોટલી ખાવી. તમારા આખા પ્રદેશમાં ક્યાંય પણ ખમીરવાળી રોટલી હોવી જોઈએ નહિ.
તે દિવસે તમારે તમારાં બાળકોને કહેવું કે, ‘ઈશ્વર અમને મિસરમાંથી બહાર લાવ્યા ત્યારે યહોવાહે અમારા માટે જે કર્યુ હતું, તે માટે આ પર્વ પાળવામાં આવે છે.’
“આ પર્વનું પાલન તમારા હાથ પર અને તમારી આંખો વચ્ચે કપાળ પર યાદગીરીના સૂચક ચિહ્ન જેવું રહેશે. તે તમને યાદ રખાવશે તમારા મુખમાં યહોવાહનાં વચનો રહે. કેમ કે યહોવાહ તમને સામર્થ્યવાન હાથથી મિસરમાંથી બહાર લઈ આવ્યા છે.
૧૦
એટલા માટે તમારે આ પર્વ દર વર્ષે નિયત સમયે પાળવું અને ઊજવવું.”
૧૧
“યહોવાહ તમને અને તમારા પૂર્વજોને આપેલા વચન પ્રમાણે તમને કનાનીઓના દેશમાં લઈ જાય અને તે દેશ તમને આપે,
૧૨
ત્યારે તમારા સર્વ પ્રથમજનિતોને તથા સર્વ પશુઓનાં પ્રથમજનિતોને તમારે યહોવાહ ને માટે સમર્પિત કરવા જેથી તમામ નર પ્રથમજનિતો યહોવાહના થાય.
૧૩
પ્રત્યેક ગધેડાના પ્રથમ બચ્ચાંને તેને બદલે એક હલવાન અર્પણ કરીને, યહોવાહ પાસેથી તે પાછું મેળવવું. અને જો તેને મેળવવાની કે છોડાવવાની તમારી મરજી ના હોય તો તેની ગરદન તમારે ભાંગી નાખવી. વળી તમારા પુત્રોમાંના સર્વ પ્રથમજનિતોને પણ તારે મૂલ્ય આપીને છોડાવવા.”
૧૪
“ભવિષ્યમાં તમારાં બાળકો તમને પૂછે કે, ‘આનો અર્થ શો છે?’ ત્યારે તમે કહેજો કે, ‘યહોવાહ પોતાના હાથનાં સામર્થ્ય વડે અમને મિસરમાંથી, ગુલામીના દેશમાંથી બહાર લાવ્યા હતા.
૧૫
ફારુન હઠે ચડયો હતો, તેથી તે અમને બહાર જવા દેતો ન હતો. ત્યારે યહોવાહે મિસર દેશના બધા પ્રથમજનિતને એટલે પ્રથમજનિત પુરુષોનો તથા પ્રથમજનિત નર જાનવરોનો સંહાર કર્યો હતો. તેથી પ્રથમજનિત સર્વ નર પશુઓને અમે યહોવાહને અર્પણ કરીએ છીએ, પણ અમારા પુત્રોમાંના અર્પણ કરેલા સર્વ પ્રથમજનિતોને અમે મૂલ્ય ચૂકવીને છોડાવીએ છીએ.’
૧૬
અને એ વિધિ તમારા હાથ પર ચિહ્નરૂપ તથા તમારી આંખોની વચ્ચે કપાળ પર ચાંદરૂપ બની રહેશે; કારણ કે યહોવાહ આપણને પોતાના પરાક્રમી હાથથી મિસરની બહાર લઈ આવ્યા હતા. એની આ સ્મૃતિ બની છે.”
Settings

Reading Style

Typeface

Font Size 19px

Options