પુનર્નિયમ ૩૨:૧૯-૩૮
૧૯
આ જોઈને યહોવાહે તેને નાપસંદ કર્યો, કેમ કે તેના દીકરા અને દીકરીઓ તેમને ગુસ્સે કર્યા.
૨૦
તેમણે કહ્યું, “હું મારું મુખ તેઓથી સંતાડીશ,” “તેઓના હાલ કેવા થશે તે હું જોઈશ; કેમ કે તે પેઢી વિકૃત છે, તેઓનાં સંતાનો વિશ્વાસઘાતી છે.
૨૧
જે દેવ નથી તે વડે તેઓએ મારામાં ઈર્ષ્યા ઉત્પન્ન કરી છે. નકામા દેવોથી મને ગુસ્સે કર્યો છે.
૨૨
માટે મારો કોપ ભડકે બળે છે શેઓલના તળિયાં સુધી તે બળે છે, પૃથ્વીને અને તેના પાક સહિત ખાઈ જશે, અને પર્વતોના પાયાને સળગાવી દે છે.
૨૩
પછી હું તે લોકો પર એક પછી એક આફતો લાવીશ; તીરોથી હું તેઓને વીંધી નાખીશ.
૨૪
તેઓ ભૂખથી સુકાઈ જશે અને ઉગ્ર તાપથી અને દારુણ વિનાશથી ખવાઈ જશે; હું તેના પર પશુઓના દાંત અને ધૂળમાં પેટે ચાલનાર જનાવરોનું ઝેર રેડીશ,
૨૫
બહાર તલવાર તેઓને પૂરા કરશે, અને ઘરમાં ત્રાસથી તેઓ મરશે. જુવાન સ્ત્રી-પુરુષ કે વૃદ્વોનો અને દૂધપીતાં બાળકોનો પણ નાશ થશે,
૨૬
હું તેઓને દૂરના દેશોમાં વિખેરી નાખત. હું તેઓનું સ્મરણ માણસોમાંથી નષ્ટ કરત.
૨૭
પરંતુ હું શત્રુઓની ખીજવણીથી ગભરાઉં છું, કે રખેને તેઓના શત્રુઓ ખોટું સમજે અને તેઓ કહે કે, અમારો હાથ પ્રબળ થયો છે.’ અને યહોવાહે આ સર્વ કર્યું નથી.
૨૮
કેમ કે તેઓ સમજણ વગરની મૂર્ખ પ્રજા છે. અને તેઓમાં કંઈ સમજણ નથી.
૨૯
તેઓમાં શાણપણ હોત, તેઓ સમજનારા થયા હોત, અને તેઓએ પોતાના અંતકાળનો વિચાર કર્યો હોત તો કેવું સારું!
૩૦
જો તેઓના ખડકે તેઓને વેચ્યા ન હોત, યહોવાહે દુશ્મનોના હાથમાં સોંપ્યા ન હોત, તો હજારની પાછળ એક કેમ ધાત અને દસ હજારને બે કેમ નસાડી મૂકત?
૩૧
આપણા શત્રુઓના માનવા પ્રમાણે તેઓનો ખડક આપણા ખડક જેવો નથી,
૩૨
તેઓનો દ્રાક્ષવેલો સદોમના દ્રાક્ષવેલામાંનો તથા ગમોરાનાં ખેતરોનો છે. તેઓની દ્રાક્ષો ઝેરી દ્રાક્ષો છે; તેઓની લૂમો કડવી છે.
૩૩
તેઓના દ્રાક્ષારસ અજગરોનું ઝેર તથા ઝેરી સર્પોનું પ્રાણઘાતક વિષ છે.
૩૪
શું મેં તેને મારા ખજાનામાં મુદ્રિત કરાઈને મારી પાસે સંગ્રહ કરી રાખેલું નથી?
૩૫
તેનો પગ લપસી જશે; તે વખતે વેર વાળવું તથા બદલો લેવો એ મારું કામ છે. કેમ કે તેઓની વિપતીના દિવસ પાસે છે, અને તેઓ પર જે આવી પડવાનું છે તે જલદી આવી પડશે.”
૩૬
કેમ કે યહોવાહ પોતાના લોકનો ન્યાય કરશે, અને જયારે તેઓ જોશે કે તેઓ નિર્બળ થઈ ગયા છે, અને ગુલામ તથા મુક્ત એવો કોઈ બાકી રહ્યો નથી. તે જોઈ તે પોતાના સેવકો માટે દુ:ખી થશે.
૩૭
પછી તે કહેશે કે, ‘તેઓના દેવો ક્યાં છે, એટલે જે ખડક પર તેઓ ભરોસો રાખતા હતા તેઓ?
૩૮
જેઓ તમારા બલિની ચરબી ખાતા હતા; જે પેયાર્પણનો દ્રાક્ષારસ પીતા હતા, તે ક્યાં ગયા? તેઓ ઊઠીને તમને મદદ કરે, તેઓ તમારો આશરો થાય!
Settings