2 શમુએલ ૧૭:૧૫-૨૨
૧૫
¶ હુશાયે સાદોક તથા અબ્યાથાર યાજકોને કહ્યું, “અહિથોફેલે આબ્શાલોમને અને ઇઝરાયલના આગેવાનોને આ પ્રમાણેની સલાહ આપી હતી, પણ મેં કંઈક બીજી સલાહ આપી હતી.
૧૬
તો હવે, જલ્દી જાઓ, દાઉદને ખબર આપીને તેને કહો કે, ‘આજે રાત્રે રાન તરફના આરા પાસે છાવણી નાખશો નહિ, પણ નદી ઓળંગી જાઓ નહિ તો રાજા અને તેના સર્વ લોકો માર્યા જશે.’”
૧૭
¶ હવે યોનાથાન અને અહિમાઆસ એન-રોગેલ પાસે ઊભા હતા, એક દાસી તેઓને સમાચાર આપતી. તેઓ જઈને દાઉદ રાજાને કહેતાં, કેમ કે નગરમાં આવતાં તેઓ કોઈનાં જોવામાં આવે નહિ.
૧૮
પરંતુ એક જુવાન માણસે તેઓને જોઈને આબ્શાલોમને ખબર આપી તેથી યોનાથાન તથા અહિમાઆસ જલ્દીથી ચાલ્યા ગયા અને બાહુરીમમાં એક માણસને ઘરે આવ્યા, ત્યાં તેના આંગણામાં એક કૂવો હતો તેમાં તેઓ ઊતર્યા.
૧૯
¶ તે માણસની પત્નીએ કૂવા પર એક ચાદર પાથરી અને તેના પર અનાજને સૂકવવા પાથરી દીધું, જેથી કોઈને કશી ખબર ન પડે કે યોનાથાન તથા અહિમાઆસ કૂવામાં છે.
૨૦
આબ્શાલોમના માણસોએ તે સ્ત્રી પાસે ઘરમાં આવીને પૂછ્યું, “અહિમાઆસ તથા યોનાથાન કયાં છે?” તે સ્ત્રીએ તેઓને કહ્યું, “તેઓ તો નદી ઓળંગીને ચાલ્યા ગયા છે.” તે માણસોએ આજુબાજુ જોયું, પણ તેઓ મળ્યા નહિ, તેથી તેઓ યરુશાલેમ પાછા ફર્યા.
૨૧
તેમના ગયા પછી યોનાથાન તથા અહિમાઆસ કૂવામાંથી નીકળી બહાર આવ્યા. તેઓએ દાઉદ રાજા પાસે જઈને ખબર આપીને કહ્યું, “જલ્દી ઊઠીને પાણીની પાર ચાલ્યા જાઓ, કેમ કે અહિથોફેલે તમારા વિષે આવી સલાહ આપી છે.”
૨૨
પછી દાઉદ અને તેની સાથેના માણસો ઊઠ્યા અને યર્દન નદી પાર કરવા લાગ્યા. સૂર્યોદય થતાં પહેલાં તેઓમાંના સર્વ નદીમાંથી પ્રયાણ કરીને સામે પાર ચાલ્યા ગયા.
Settings