Skip to content
2 રાજઓ ૬:૮-૨૩

2 રાજઓ ૬:૮-૨૩

હવે અરામના રાજાએ ઇઝરાયલ સામે યુદ્ધ કર્યું. તેણે પોતાના ચાકરોની સલાહ લઈને કહ્યું, “મારી છાવણી અમુક જગ્યાએ બનાવવામાં આવશે.”
પણ ઈશ્વરભક્ત એલિશાએ ઇઝરાયલના રાજાને સંદેશો મોકલીને કહ્યું, “સાવધ રહેજે, અમુક જગ્યાએ જતો ના, કારણ કે, અરામીઓ ત્યાં આવવાના છે.”
૧૦
ઈશ્વરભક્તે જે જગ્યા વિષે ઇઝરાયલના રાજાને ચેતવણી આપી હતી તે જગ્યાએ માણસો મોક્લ્યા. આ ચેતવણીથી તે અનેક વાર બચી ગયો.
૧૧
આ ચેતવણી વિષે અરામનો રાજા ખૂબ ગભરાયો અને તેણે પોતાના ચાકરોને કહ્યું, “આપણામાંથી ઇઝરાયલના રાજાના પક્ષનો કોણ છે? તે તમે મને નહિ જણાવો?”
૧૨
ત્યારે તેના એક ચાકરે કહ્યું, “મારા માલિક રાજા, એવું નહિ! પણ તમે તમારા શયનગૃહમાં જે વચનો બોલો છો તે ઇઝરાયલમાંનો પ્રબોધક એલિશા ઇઝરાયલના રાજાને કહી દે છે.”
૧૩
રાજાએ કહ્યું, “જાઓ, અને જુઓ કે એલિશા કયાં છે, જેથી હું તેને માણસો મોકલીને પકડાવી લઉં.” તેને કહેવામાં આવ્યું કે, “જુઓ, તે દોથાનમાં છે.”
૧૪
માટે રાજાએ દોથાનમાં ઘોડા, રથો અને મોટું સૈન્ય મોકલ્યું. તેઓએ રાત્રે આવીને નગરને ઘેરી લીધું.
૧૫
જ્યારે ઈશ્વરભક્ત એલિશાનો ચાકર વહેલો ઊઠીને બહાર ગયો, તો જુઓ, તેણે એક મોટા સૈન્યને રથદળ અને ઘોડેસવારો સહિત નગરને ઘેરી લીધેલું જોયું. તેના ચાકરે તેને કહ્યું, “અરેરે! મારા માલિક હવે આપણે શું કરીશું?”
૧૬
એલિશાએ કહ્યું, “બીશ નહિ, કેમ કે, જેઓ આપણી સાથે છે તેઓ, તેમની સાથે જેઓ છે તેઓના કરતાં મહાન છે.”
૧૭
પછી એલિશાએ પ્રાર્થના કરી કે, “હે યહોવાહ, કૃપા કરી તેની આંખો ઉઘાડ કે તે જુએ.” ત્યારે યહોવાહે તે ચાકરની આંખો ઉઘાડી અને તેણે જોયું. તો જુઓ! એલિશાની આસપાસ અગ્નિરથોથી અને ઘોડાઓથી પર્વત ભરાઈ ગયો હતો.
૧૮
જ્યારે અરામીઓ એલિશાની પાસે આવ્યા, ત્યારે એલિશાએ યહોવાહને પ્રાર્થના કરી, “હે યહોવાહ, આ લોકોને અંધ બનાવી દો.” અને યહોવાહે એલિશાના કહ્યા પ્રમાણે તેઓને અંધ કરી દીધાં.
૧૯
પછી એલિશાએ અરામીઓને કહ્યું, “તે માર્ગ આ નથી, તે નગર પણ આ નથી. પણ મારી પાછળ આવો અને જે માણસને તમે શોધો છો તેની પાસે હું તમને લઈ જઈશ.” પછી તે તેઓને સમરુન લઈ ગયો.
૨૦
જ્યારે તેઓ સમરુન આવી પહોંચ્યા ત્યારે એમ થયું કે એલિશાએ કહ્યું, “હે યહોવાહ, આ માણસોની આંખો ઉઘાડો કે તેઓ જુએ.” પછી યહોવાહે તેઓની આંખો ઉઘાડી અને તેઓએ જોયું, તો જુઓ, તેઓ સમરુન શહેરના મધ્ય ભાગમાં હતા.
૨૧
ઇઝરાયલના રાજાએ તેઓને જોયા ત્યારે તેણે એલિશાને કહ્યું, “મારા પિતાજી, શું હું તેઓને મારું? તેઓને મારું?”
૨૨
એલિશાએ જવાબ આપ્યો, “તારે તેમને મારવા નહિ. જેઓને તેં તારી તલવારથી અને ધનુષથી કબજે કર્યાં નથી, તેઓને શું તું મારશે? તેઓની આગળ રોટલી અને પાણી મૂક કે, તેઓ ખાઈપીને પાછા પોતાના માલિક પાસે જાય.”
૨૩
માટે રાજાએ તેઓને સારુ પુષ્કળ ખોરાક તૈયાર કરાવ્યો. તેઓ ખાઈ પી રહ્યા પછી તેઓને વિદાય કર્યાં અને તેઓ પોતાના માલિક પાસે પાછા ગયા. ત્યાર પછી અરામનાં સૈન્યો ઘણાં લાંબા સમય સુધી ઇઝરાયલમાં પાછાં આવ્યાં નહિ.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Options