2 કાળવ્રત્તાંત ૯:૧૩-૨૮
૧૩
¶ હવે દર વર્ષે સુલેમાન રાજાની પાસે છસો છાસઠ તાલંત સોનું આવતું હતું.
૧૪
આ સોના ઉપરાંત વેપારીઓ પાસેથી કરવેરા તરીકે મળતું. અરબસ્તાનના સર્વ રાજાઓ તથા દેશના રાજ્યપાલ તરફથી સુલેમાન રાજાને જે સોનું અને ચાંદી મળતાં હતાં તે તો વધારાના હતાં.
૧૫
¶ રાજા સુલેમાને સોનાની બસો ઢાલો બનાવી. દરેક ઢાલમાં છ હજાર શેકેલ સોનું વપરાયું હતું.
૧૬
વળી તેણે ઘડેલા સોનાની ત્રણસો નાની ઢાલો બનાવી. દરેક ઢાલ દસ તોલાના સોનાની બનેલી હતી; રાજાએ તેઓને લબાનોનના વનગૃહના મહેલમાં મૂકી.
૧૭
¶ પછી સુલેમાન રાજાએ હાથીદાંતનું એક મોટું સિંહાસન બનાવ્યું, તેને ચોખ્ખા સોનાથી મઢ્યું.
૧૮
સિંહાસનને છ પગથિયાં તથા સોનાનું એક પાયાસન હતું. તેઓ સિંહાસનની સાથે જડેલાં હતાં તથા બેઠકની જગ્યા પાસે બન્ને બાજુએ હાથા હતા અને હાથાઓની બન્ને બાજુએ બે ઊભેલા સિંહોની પ્રતિકૃતિ હતી.
૧૯
¶ છ પગથિયાં પર દરેક બાજુએ બાર સિંહ ઊભા હતા. બીજા કોઈપણ રાજ્યમાં આવું સિંહાસન કદી બનાવવામાં આવ્યું ન હતું.
૨૦
સુલેમાન રાજાનાં પીવાનાં સર્વ પાત્રો અને લબાનોન વનગૃહનાં સર્વ પાત્રો શુદ્ધ સોનાનાં હતાં. સુલેમાનના દિવસોમાં ચાંદીની કશી વિસાત ગણાતી ન હતી.
૨૧
રાજાનાં વહાણો હીરામના નાવિકોની સાથે તાર્શીશ જતાં. દર ત્રણ વર્ષે વહાણો એકવાર તાર્શીશથી સોનું, ચાંદી, હાથીદાંત, વાનરો તથા મોર લઈને આવતાં હતાં.
૨૨
¶ તેથી દ્રવ્ય તથા ડહાપણમાં પૃથ્વી પરના સર્વ રાજાઓ કરતાં સુલેમાન સૌથી શ્રેષ્ઠ રાજા હતો.
૨૩
સમગ્ર દુનિયાના સર્વ રાજાઓ ઈશ્વરે સુલેમાનના હૃદયમાં જે જ્ઞાન મૂક્યું હતું તે સાંભળવા તેની પાસે આવતા.
૨૪
દર વર્ષે તેઓ પોતપોતાની ભેટ, એટલે સોનાચાંદીનાં પાત્રો, વસ્ત્રો, શસ્ત્રો, સુગંધીદ્રવ્યો, ઘોડાઓ અને ખચ્ચરો ખંડણી તરીકે લાવતા હતા.
૨૫
¶ સુલેમાનની પાસે ઘોડા અને રથોને માટે ચાર હજાર તબેલા હતા અને બાર હજાર ઘોડેસવારો હતા, તેણે તેઓને રથોનાં નગરોમાં તેમ જ યરુશાલેમમાં પોતાની પાસે રાખ્યા હતા.
૨૬
નદીથી તે પલિસ્તીઓના દેશ સુધી તથા મિસરની સરહદ સુધી સર્વ રાજાઓ ઉપર તેની હકૂમત વિસ્તરેલી હતી.
૨૭
¶ સુલેમાને યરુશાલેમમાં ચાંદી એટલી બધી વધારી દીધી કે તેનું મૂલ્ય જમીન પરના પથ્થરના જેવું થઈ પડ્યું. તેણે દેવદારનાં લાકડાંનું પ્રમાણ એટલું બધું વધારી દીધું કે તે નીચાણના પ્રદેશના ગુલ્લર વૃક્ષના લાકડાને તોલે થઈ પડ્યું.
૨૮
લોકો સુલેમાનને માટે મિસરમાંથી તથા બીજા સર્વ દેશોમાંથી ઘોડા લાવતા હતા.
Settings