Skip to content
1 કાળવ્રત્તાંત ૨૨:૬-૧૬

દાઉદ સુલેમાનને મંદિર બાંધવાની આજ્ઞા આપે છે

1 કાળવ્રત્તાંત ૨૨:૬-૧૬
પછી તેણે પોતાના પુત્ર સુલેમાનને બોલાવ્યો અને ઇઝરાયલના ઈશ્વર યહોવાહના ભક્તિસ્થાન બાંધવા માટે તેને આજ્ઞા આપી.
દાઉદે સુલેમાનને કહ્યું “મારા પુત્ર, મારા ઈશ્વર યહોવાહના નામને માટે, ભક્તિસ્થાન બાંધવાનો મારો ઇરાદો હતો.
પણ યહોવાહે મારી પાસે આવીને કહ્યું કે, ‘તેં ઘણું લોહી વહેવડાવ્યું છે અને તું ઘણાં યુદ્ધો લડ્યો છે. તું મારા નામને માટે ભક્તિસ્થાન બાંધશે નહિ કારણ કે તેં, પૃથ્વી પર, મારી નજર સમક્ષ, ઘણું લોહી વહેવડાવ્યું છે.
જો કે, તને એક પુત્ર થશે જે શાંતિશીલ માણસ હશે. હું તેને ચારેતરફના શત્રુઓથી રાહત આપીશ. તેનું નામ સુલેમાન અપાશે અને તેના રાજ્યકાળ દરમિયાન ઇઝરાયલમાં સુલેહ તથા શાંતિ જળવાશે.
૧૦
તે મારા નામને સારુ ભક્તિસ્થાન બાંધશે. તે મારો પુત્ર થશે અને હું તેનો પિતા થઈશ. હું ઇઝરાયલ પર તેનું રાજ્ય સર્વકાળ માટે સ્થાપિત કરીશ.’”
૧૧
“હવે, મારા પુત્ર સુલેમાન, યહોવાહ તારી સાથે હો અને સફળ થવા માટે તને સહાય કરો. અને તેમના કહ્યા પ્રમાણે તું ભક્તિસ્થાન બાંધ.
૧૨
યહોવાહે, તને ઇઝરાયલીઓ પર અધિકારી ઠરાવ્યો છે, માટે તે તને ડહાપણ અને વિવેકબુદ્ધિ આપે, જેથી તું તારા ઈશ્વર યહોવાહનો નિયમ પાળે.
૧૩
યહોવાહે, ઇઝરાયલને માટે મૂસાને જે નિયમો અને કાનૂનો આપ્યાં છે તેનું તું કાળજીપૂર્વક પાલન કરશે ત્યારે તું સફળ થશે. બળવાન તથા હિંમતવાન થા. બીશ નહિ કે ગભરાઈશ નહિ.
૧૪
હવે, જો, મેં યહોવાહના ભક્તિસ્થાન માટે પુષ્કળ મહેનત કરીને એક લાખ તાલંત સોનું, દસ લાખ તાલંત ચાંદી, પિત્તળ અને લોખંડ પુષ્કળ પ્રમાણમાં એકત્ર કર્યા છે. લાકડાં અને પથ્થર એ બધું તને આપું છું. તેમા તું વધારો કરી શકે છે.
૧૫
તારી પાસે ઘણાં પથ્થર કાપનારાઓ, કડિયાઓ, સુથારો અને દરેક કામમાં નિપુણ પુષ્કળ કારીગરો છે,
૧૬
તેઓ સોના, ચાંદી, કાંસા અને લોખંડના ઉપયોગવાળા કામ પણ કરી શકે છે. માટે હવે બાંધકામ શરૂ કરી દે અને યહોવાહ તારી સાથે હો.”
Settings

Reading style

Typeface

Font size 19px

Reading width 90 chars

Options