Fear of God વિશે બાઇબલની કલમો: Reverence
Reverence વિશે કલમો
¶ બધા લોકો ગર્જના, અને રણશિંગડાનો નાદ સાંભળીને તથા વીજળીના ચમકારા અને પર્વતમાંથી નીકળતો ધુમાડો જોઈને ભયભીત થઈને થરથર ધ્રૂજતા દૂર જ ઊભા રહ્યા.
પછી તેઓએ મૂસાને કહ્યું, “અમારી સાથે તું જ બોલ, તો અમે સાંભળીશું, પણ યહોવાહ અમારી સાથે બોલે નહિ. જો તે બોલશે તો અમે બધા મરી જઈશું.”
એટલે મૂસાએ તે લોકોને કહ્યું, “ગભરાશો નહિ, કારણ કે યહોવાહ તો તમારી કસોટી કરવા આવ્યા છે કે, જેથી તમે બધા તેમનો ડર રાખો અને પાપ ન કરો.”
¶ તમે યહોવાહ તમારા ઈશ્વરનો ડર રાખો અને તમે તેમની જ સેવા કરો; તેમને જ તમે વળગી રહો. અને તેમના જ નામે સમ ખાઓ.
તમારે તેમની સ્તુતિ કરવી, તે જ તમારા ઈશ્વર છે. તેમણે તમારા માટે જે મહાન અને અદ્ભૂત કાર્યો કર્યાં છે તે તમે પ્રત્યક્ષ નિહાળ્યાં છે.
યહોવાહથી બીહે એવું માણસ કયું છે? કયો માર્ગ પસંદ કરવો તે તેને પ્રભુ શીખવે છે.
તેનો જીવ સુખમાં રહેશે; અને તેના વંશજો દેશનો વારસો પામશે.
યહોવાહનો મર્મ તેમના ભક્તોની પાસે છે અને તેઓને તે પોતાનો કરાર જણાવે છે.
યહોવાહનાં ભયમાં દૃઢ વિશ્વાસ સમાયેલો છે, તેનાં સંતાનોને તે આશ્રય આપે છે.
મોતના ફાંદામાંથી છૂટી જવાને માટે, યહોવાહનો ભય જીવનનો ઝરો છે.
યહોવાહ પૃથ્વીને કંપાવવાને ઊઠશે, ત્યારે તેમના ભયથી તથા તેમના મહિમાના ગૌરવથી બચવા, માણસો ખડકોની ગુફાઓમાં અને ભૂમિની બખોલમાં સંતાઈ જશે.
તે દિવસે માણસ, ભજવા માટે પોતે બનાવેલી સોનાચાંદીની મૂર્તિઓને, છછૂંદર તથા ચામાચિડિયા પાસે ફેંકી દેશે.
જ્યારે યહોવાહ પૃથ્વીને કંપાવવાને ઊઠશે ત્યારે તેઓ તેના રોષથી અને તેના મહિમાના ગૌરવથી બચવા, લોકો પર્વતોની ગુફાઓમાં અને ખડકોની તિરાડોમાં ભરાઈ જશે.
હું તેઓને એક જ હૃદય આપીશ અને એક જ માર્ગમાં ચલાવીશ. આ તેઓના પોતાના હિત માટે અને ત્યાર પછી તેઓના સંતાનોના હિત માટે છે.
હું તેઓની સાથે સદાનો કરાર કરીશ, હું તેઓનું હિત કરતા અટકીશ નહિ, તેઓ કદી મારાથી વિમુખ ન થઈ જાય. માટે મારો ડર તેઓના હ્રદયમાં મૂકીશ.
અન્ય પ્રજાઓ તે જોશે, અને પોતાની સર્વ શક્તિને લીધે લજ્જિત થશે. તેઓ પોતાના હાથ પોતાના મુખ પર મૂકશે; તેઓના કાન બહેરા થઈ જશે.
તેઓ સાપની જેમ ધૂળ ચાટશે, તેઓ પૃથ્વી ઉપર પેટે ચાલતાં સજીવોની માફક, પોતાના ગુપ્ત સ્થાનોમાંથી ધ્રૂજતાં ધ્રૂજતાં બહાર આવશે. તે પ્રજાઓ યહોવાહ આપણા ઈશ્વરની પાસે બીતી બીતી આવશે, તેઓ તારાથી ડરશે.
માટે કંપાવવામાં ના આવે એવું રાજ્ય પ્રાપ્ત કરીને આપણે ઈશ્વરનો આભાર માનીએ, જેથી ઈશ્વર પ્રસન્ન થાય એવી રીતે આપણે તેમની સેવા આદરભાવ તથા બીકથી કરીએ.
કેમ કે આપણો ઈશ્વર ભસ્મીભૂત કરી નાખનાર અગ્નિ છે.
ઈશ્વરનો જે પ્રેમ આપણા પર છે તે આપણે જાણીએ છીએ, અને તે પર વિશ્વાસ કર્યો છે. ઈશ્વર પ્રેમ છે. જે પ્રેમમાં રહે છે તે ઈશ્વરમાં રહે છે અને ઈશ્વર તેનામાં રહે છે.
¶ એથી આપણામાં પ્રેમ સંપૂર્ણ થયો છે, કે ન્યાયકાળે આપણને હિંમત પ્રાપ્ત થાય, કેમ કે જેવા તે છે, તેવા આપણે પણ આ જગતમાં છીએ.
પ્રેમમાં ભય નથી, પણ પૂર્ણ પ્રેમ ભયને દૂર કરે છે, કેમ કે ભયમાં શિક્ષા છે. અને જે ભયભીત છે તે પ્રેમમાં સંપૂર્ણ થયેલો નથી.