God
God નો ઉલ્લેખ કરતી કલમો
¶ પરંતુ તેઓએ અને અમારા પૂર્વજોએ ગર્વ કરીને પોતાનો અનાદર કર્યો અને તમારી આજ્ઞાઓની અવગણના કરી.
તેઓ સમક્ષ તમે જે ચમત્કારો કર્યા હતા, તે ભૂલી જઈને તેઓએ તમારું કહ્યું કરવાની ના પાડી. તેઓ હઠીલા થઈ ગયા અને તેઓએ પાછા મિસર જઈને ફરી ગુલામીની સ્થિતિ સ્વીકારવા બંડ કરીને પોતાને માટે એક આગેવાન નિયુક્ત કર્યો. પણ તમે તો ક્ષમા કરવા તત્પર, કૃપાળુ, દયાળુ, ક્રોધ કરવામાં ધીમા અને પ્રેમાળ ઈશ્વર છો. તેથી તમે તેઓને ત્યજી દીધા નહિ.
¶ તેઓએ પોતાના માટે વાછરડાનું પૂતળું બનાવીને કહ્યું, “આ અમારો દેવ છે જે તમને મિસરમાંથી બહાર કાઢી લાવ્યો, આમ તેઓએ ક્રોધ જન્માવે એવાં ઘણા કામો કર્યા.
તેમ છતાં, તમે દયાળુ હોવાથી તેઓને અરણ્યમાં ત્યજી ન દીધા, જે માર્ગે તેઓ ચાલતા હતા તે માર્ગ દેખાડવાને દિવસે મેઘસ્તંભ અને રાત્રે પ્રકાશ આપવાને અગ્નિસ્તંભથી તમે તેઓને દોર્યા.
¶ વળી પ્રબોધ કરવા માટે તમે તમારો ઉત્તમ આત્મા તેઓને આપ્યો અને તમારું માન્ના તેઓના મોંથી પાછું રાખ્યું નહિ તેમ જ તેઓની તરસ છીપાવવા તમે તેઓને પાણી આપ્યું.
ચાળીસ વર્ષ સુધી તમે અરણ્યમાં તેઓની સંભાળ લીધી, તે સમય દરમિયાન તેઓને કશાની ખોટ પડી નહોતી. તેઓના વસ્ત્રો જૂના થયા નહિ કે તેઓના પગ સૂઝી ગયા નહિ.
¶ તમે તેઓને રાજ્યો તથા પ્રજાઓ આપ્યાં. અને તમે તેઓને આખો દેશ વહેંચી આપ્યો. હેશ્બોનના રાજા સીહોનના તથા બાશાનના રાજા ઓગના દેશમાં તમે તેઓને વતન આપ્યું.
¶ વળી તમે તેઓના વંશજોની આકાશના તારાઓની જેમ વૃદ્ધિ કરી અને જે દેશ વિષે તમે તેઓના પૂર્વજોને કહ્યું હતું કે તેઓ તેમાં પ્રવેશ કરીને તેઓની ભૂમિ પ્રાપ્ત કરશે, તેમાં તમે તેઓને વસાવ્યા.
એમ તે લોકોએ અંદર પ્રવેશ કરીને તે દેશનો કબજો લીધો, તમે તેઓની સામે તે દેશના રહેવાસીઓ કનાનીઓને પરાજિત કર્યા. તેઓ તેઓની સાથે પોતાની મરજી પ્રમાણે વર્તે તે માટે તેઓને, તેઓના રાજાઓને તથા તે દેશના લોકોને તેઓના હાથમાં સોંપ્યા.
¶ તેઓએ કિલ્લાવાળાં નગરો તથા રસાળ ભૂમિવાળા પ્રદેશ લઈ લીધા અને સર્વ ઉત્તમ વસ્તુઓથી ભરપૂર ઘરો, ખોદેલા કૂવા, દ્રાક્ષવાડીઓ, જૈતૂનવાડીઓ તથા પુષ્કળ ફળવૃક્ષો તેઓના કબજામાં આવ્યાં. તેથી આ સર્વ સમૃદ્ધિથી તેઓ સંતુષ્ટ થયા અને તમારી મોટી કૃપાથી તેઓ આનંદ પામ્યા.
¶ તોપણ તેઓ તમને આધીન રહ્યા નહિ અને તમારી વિરુદ્ધ તેઓએ બંડ કર્યું. તેઓએ તમારા નિયમશાસ્ત્રને પોતાની પીઠ પાછળ ફેંક્યું. જે તમારા પ્રબોધકો તેઓને ફરીથી તમારી તરફ પાછા વળવાને તેઓને ચેતવણી આપતા હતા તેઓને તેમણે મારી નાખ્યા અને ઘણાં ક્રોધજનક કામો કર્યાં.
માટે તમે તેઓને તેઓના શત્રુઓના હાથમાં સોંપી દીધા, જેઓએ તેઓને ત્રાસ આપ્યો, તેઓએ પોતાના સંકટ સમયે તમારી આગળ પોકાર કર્યો, ત્યારે તમે આકાશમાંથી સાંભળ્યું અને તમે મહાન દયાળુ હોવાથી તમે તેઓને ઉદ્ધારકો આપ્યા કે, જેઓએ તેઓને દુશ્મનોના હાથમાંથી બચાવ્યા.
¶ પણ તેઓનો બચાવ થયો એટલે ફરી તેઓએ તમારી સંમુખ દુરાચાર કર્યો; તે માટે તમે તેઓને તેઓના દુશ્મનોના હાથમાં સોંપી દીધા, જેથી દુશ્મનો તેઓ પર સત્તા ચલાવે. તોપણ જ્યારે તેઓએ પાછા ફરીને તમારી આગળ પોકાર કર્યો, ત્યારે તમે આકાશમાંથી સાંભળીને તેઓ પર દયા વર્ષાવી. તેઓને તમે અવારનવાર શત્રુઓથી છોડાવ્યાં.
તમારા નિયમ પ્રમાણે આચરણ કરવાને તમે તેઓને ચેતવણી આપી. પણ તેઓએ ઘમંડ કરીને તમારી આજ્ઞાઓનો અનાદર કર્યો. તમારા હુકમોને જે કોઈ પાળે તેનાથી તેઓને જીવન મળે છે, પરંતુ તેની વિરુદ્ધ વર્તીને તેઓએ પાપ કર્યાં. પોતાની ગરદન અક્કડ રાખીને સાંભળવા ચાહ્યું નહિ.
¶ છતાં પણ તમે તેઓ પ્રત્યે ઘણાં વર્ષો સુધી ધીરજ રાખી અને તેઓને તમારા આત્મા દ્વારા તથા તમારા પ્રબોધકો દ્વારા ચેતવણી આપી. પણ તેઓએ સાંભળ્યું નહિ. તેથી તમે તેઓને અન્ય પ્રજાઓના હાથમાં સોંપી દીધા.
પરંતુ તમે મહાન, દયાળુ, કૃપાળુ અને કરુણા કરનાર ઈશ્વર હોવાથી તમે તેઓને નષ્ટ કર્યા નહિ કે, તેઓનો ત્યાગ કર્યો નહિ.
¶ હે અમારા ઈશ્વર, મહાન, પરાક્રમી તથા ભયાવહ ઈશ્વર, કરાર પાળનાર તથા દયા રાખનાર, આશ્શૂરના રાજાઓના સમયથી તે આજ દિવસ સુધી જે જે કષ્ટ અમારા પર, અમારા રાજાઓ પર, અમારા આગેવાનો પર, અમારા યાજકો પર, અમારા પ્રબોધકો પર, અમારા પૂર્વજો પર તથા તમારા સર્વ લોકો પર પડ્યાં છે, તે સર્વને તમે તમારી નજરમાં નજીવાં ગણશો નહિ.
અમારા પર જે કંઈ વીત્યું છે, તે સર્વ સંબંધી તમે ન્યાયી હોવાથી તમે વિશ્વાસુપણે વાજબી કર્યું છે અને અમે દુષ્ટતા આચરી છે.
અમારા રાજાઓએ, અમારા અધિકારીઓએ, અમારા યાજકોએ અને અમારા પૂર્વજોએ તમારો નિયમ પાળ્યો નથી અને તમારી આજ્ઞાઓ તથા તમારાં વચનો, જે વડે તમે તેઓને ચેતવણી આપી હતી તેમના પર તેઓએ લક્ષ આપ્યું નથી.
¶ તમે તેઓના પર મોટો ઉપકાર કરીને રાજ્ય આપ્યું તથા વિશાળ અને રસાળ દેશ તેઓને સોંપ્યો, તે છતાં તેઓએ તમારી સેવા કરી નહિ અને તેઓએ દુષ્ટ કૃત્યો કર્યે રાખ્યાં. એવું કરવાથી પાછા વળ્યા નહિ.
¶ જે દેશ તમે અમારા પૂર્વજોને આપ્યો હતો, તેનાં ફળ અને તેની ઉત્તમ ઊપજ તેઓ ખાય, તે દેશમાં અમે આજે ગુલામ છીએ!
અમારા પાપોને કારણે જે રાજાઓને તમે અમારા ઉપર નીમ્યા છે, તેઓને તે દેશમાંથી પુષ્કળ ઊપજ પ્રાપ્ત થાય છે. વળી તે રાજાઓ પોતાની ઇચ્છા પ્રમાણે અમારા શરીરો પર તથા અમારા જાનવરો પર અધિકાર ચલાવે છે. તેનાથી અમે ભારે સંકટમાં આવી પડ્યા છીએ.
¶ બાકીના લોકો, યાજકો, લેવીઓ, દ્વારપાળો, ગાનારાઓ, ભક્તિસ્થાનના સેવકો અને તે દરેક જેઓ ઈશ્વરના નિયમશાસ્ત્ર પ્રમાણે પડોશી દેશોથી અલગ થયા હતા તે સર્વ તેમ જ તેઓની પત્નીઓ, તેઓના પુત્રો અને પુત્રીઓ તેઓ સર્વ પાસે જ્ઞાન અને સમજણ હતાં.
તેઓ પોતાના ભાઈઓને અને ઉમરાવોને વળગી રહ્યા, તેઓએ શાપનો સ્વીકાર કર્યો અને સાથે મળીને ઈશ્વરના નિયમ પ્રમાણે ચાલવાની પ્રતિજ્ઞા લીધી કે, ઈશ્વરના સેવક મૂસા મારફતે અપાયેલા ઈશ્વરના નિયમશાસ્ત્ર પ્રમાણે અમે યહોવાહ અમારા ઈશ્વરની આજ્ઞા, નિયમો અને વિધિઓનું પાલન કરીશું.
¶ અમે પોતાના ઈશ્વરના સભાસ્થાનની સેવાને માટે દર વર્ષે એક તૃતીયાંશ શેકેલ આપવાનો નિયમ સ્વીકારીએ છીએ.