Skip to content

પ્રકટીકરણ

એ પછી, મેં ચાર સ્વર્ગદૂતને પૃથ્વીના ચાર ખૂણા પર ઊભા રહેલા જોયા; તેઓએ પૃથ્વીના ચાર પવનને એવી રીતે અટકાવી રાખ્યા હતા કે, પૃથ્વી પર અથવા સમુદ્ર પર, કોઈ ઝાડ પર પવન વાય નહિ.
મેં બીજા એક સ્વર્ગદૂતને પૂર્વ દિશાથી ચઢતો જોયો, તેની પાસે જીવતા ઈશ્વરની મહોર હતી, અને પૃથ્વીને તથા સમુદ્રને હાનિ કરવાની સત્તા જે ચાર સ્વર્ગદૂતોને અપાઈ હતી, તેઓને તેણે મોટે અવાજે બૂમ પાડી કે,
‘જ્યાં સુધી અમે અમારા ઈશ્વરના દાસોને તેઓના કપાળ પર મુદ્રા કરી ન રહીએ, ત્યાં સુધી તમે પૃથ્વીને અથવા સમુદ્રને અથવા ઝાડોને કશું નુકસાન કરશો નહિ.’”
અને મુદ્રિત થયેલાની સંખ્યા મેં સાંભળી; ઇઝરાયલના સર્વ કુળમાંના એક લાખ ચુંમાળીસ હજાર મુદ્રિત થયા;
યહૂદાના કુળમાંના બાર હજાર મુદ્રિત થયા, રૂબેનના કુળમાંના બાર હજાર; ગાદના કુળમાંના બાર હજાર;
આશેરના કુળમાંના બાર હજાર; નફતાલીના કુળમાંના બાર હજાર, મનાશ્શાના કુળમાંના બાર હજાર;
શિમયોનના કુળમાંના બાર હજાર; લેવીના કુળમાંના બાર હજાર; ઇસ્સાખારના કુળમાંના બાર હજાર;
ઝબુલોનના કુળમાંના બાર હજાર; યૂસફના કુળમાંના બાર હજાર; બિન્યામીનના કુળમાંના બાર હજાર મુદ્રિત થયા.
ત્યાર બાદ મેં જોયું, તો જુઓ, સર્વ દેશમાંથી આવેલાની, સર્વ કુળ, પ્રજા તથા ભાષાના માણસોની કોઈથી ગણી શકાય નહિ એવી એક મોટી સભા! તેઓ રાજ્યાસનની આગળ તથા હલવાનની સમક્ષ ઊભા રહ્યા; તેઓએ સફેદ ઝભ્ભા પહેરેલા હતા, અને તેઓના હાથમાં ખજૂરીની ડાળીઓ હતી;
૧૦
અને તેઓ મોટા અવાજે પોકારીને કહે છે કે, ‘ઉદ્ધાર ઈશ્વર જે રાજ્યાસન પર બેઠેલા છે તેમનું તથા હલવાનનું છે માટે પ્રશંસા હોજો.’”
૧૧
સઘળા સ્વર્ગદૂતો રાજ્યાસનની તથા વડીલોની તથા ચારે પ્રાણીઓની આસપાસ ઊભેલા હતા, અને તેઓએ રાજ્યાસનની આગળ દંડવત પ્રણામ કરીને ઈશ્વરની ભજન કરતાં કહ્યું કે,
૧૨
‘આમીન, સ્તુતિ, મહિમા, જ્ઞાન, આભાર, માન, પરાક્રમ તથા સામર્થ્ય સર્વકાળ સુધી અમારા ઈશ્વરને હો; આમીન.’”
૧૩
પછી તે વડીલોમાંથી એકે મને પૂછ્યું કે, ‘જેઓએ સફેદ વસ્ત્ર પહેરેલાં છે તેઓ કોણ છે, અને ક્યાંથી આવ્યા છે?’
૧૪
તેમને મેં કહ્યું કે, ‘ઓ મારા મુરબ્બી, તમે જાણો છો.’” અને તેમણે મને કહ્યું, ‘જેઓ મોટી વિપત્તિમાંથી આવ્યા તેઓ એ છે; અને તેઓએ પોતાના વસ્ત્ર ધોયાં, અને હલવાનના રક્તમાં સફેદ કર્યા.
૧૫
માટે તેઓ ઈશ્વરના રાજ્યાસનની આગળ છે, અને તેમના ભક્તિસ્થાનમાં રાતદિવસ તેમની સેવા કરે છે; અને રાજ્યાસન ઉપર જે બેઠેલા તે તેઓના પર છત્રરૂપે રહેશે.
૧૬
તેઓને ફરી ભૂખ નહિ લાગશે, અને ફરી તરસ પણ નહિ લાગશે, અને સૂર્યનો તાપ અથવા કંઈ પણ પ્રકારની ગરમી તેઓના પર પડશે નહિ;
૧૭
કેમ કે જે હલવાન રાજ્યાસનની મધ્યે છે, તે તેઓના પાળક થશે અને જીવનનાં પાણીના ઝરાઓ પાસે તેઓને દોરી જશે; અને ઈશ્વર તેઓની આંખોનું દરેક આંસુ લૂછી નાખશે.’”
Use arrow keys to navigate
Settings

Reading Style

Typeface

Font Size 19px

Options