Skip to content

યશાયા૨૩

તૂર વિષે ઈશ્વરવાણી: હે તાર્શીશનાં વહાણો, તમે વિલાપ કરો; કેમ કે ત્યાં ઘર કે બંદર નથી; કિત્તીમ દેશમાંથી તે તેઓને જાહેર કરવામાં આવ્યું છે.
હે સમુદ્ર કિનારાના રહેવાસીઓ, આશ્ચર્ય પામો, હે સમુદ્રમાં પ્રવાસ કરનારા સિદોનના વેપારીઓએ, તમને પુરવઠો પૂરો પાડે છે.
અને જળનિધિ પર શીહોર પ્રદેશનું અનાજ, નીલની પેદાશને તૂરમાં લાવવામાં આવતાં હતાં; તે વિદેશીઓનું બજાર હતું.
હે સિદોન, તું લજ્જિત થા; કેમ કે સમુદ્ર એટલે સમુદ્રના સામર્થ્યવાન બોલ્યા છે. તે કહે છે, “મેં પ્રસવવેદના વેઠી નથી, મેં જન્મ આપ્યો નથી, જુવાનોને ઉછેર્યા નથી કે કન્યાઓને મોટી કરી નથી.”
મિસરમાં ખબર પહોંચશે ત્યારે તેઓ તૂરની ખબર સાંભળીને દુઃખ પામશે.
હે સમુદ્ર કિનારાના લોકો, આક્રંદ કરતાં તાર્શીશ પાર જાઓ.
જેની પ્રાચીનતા પુરાતન છે, જેના પગ તેને દૂર વિદેશ સુધી સ્થાયી થવા લઈ ગયા, શું તે આ તમારું આનંદી નગર છે?
મુગટ આપનાર તૂર, જેના વેપારીઓ સરદારો છે, જેના સોદાગરો પૃથ્વીના માનવંતા છે, તેની વિરુદ્ધ આ કોણે યોજના કરી છે?
સર્વ વૈભવના ગર્વને કલંકિત કરવા અને પૃથ્વીના સર્વ માનવંતોને શરમજનક બનાવવાનું આયોજન સૈન્યોના યહોવાહે કર્યું છે.
૧૦
હે તાર્શીશની દીકરી, નીલ નદીની જેમ તારી ભૂમિમાં જા. હવે તૂરમાં કોઈ બજાર રહ્યું નથી.
૧૧
યહોવાહે પોતાનો હાથ સમુદ્ર પર લંબાવ્યો છે; તેમણે રાજ્યોને હલાવી નાખ્યાં છે; તેમણે કનાન વિષે આજ્ઞા આપી છે કે, તેના કિલ્લાઓનો નાશ કરવો.
૧૨
તેમણે કહ્યું, “સિદોનની પીડિત કુંવારી દીકરી, તું હવે ફરીથી આનંદ કરીશ નહિ; ઊઠ, કિત્તીમ સુધી પેલે પાર જા; ત્યાં પણ તને વિશ્રામ મળશે નહિ.”
૧૩
ખાલદીઓના દેશને જુઓ. તે પ્રજા નહોતી; આશ્શૂરે તેને જંગલી પ્રાણીઓને માટે અરણ્ય બનાવ્યું છે: તેઓએ તેના બુરજો ઊભા કર્યા, તેઓએ એના મહેલોને જમીનદોસ્ત કર્યા; તેણે તેને ઉજ્જડ કરી નાખ્યો.
૧૪
હે તાર્શીશનાં વહાણો, તમે વિલાપ કરો; કેમ કે તમારા આશ્રયનો નાશ થયો છે.
૧૫
તે દિવસે, એક રાજાની કારકીર્દી સુધી, એટલે સિત્તેર વર્ષ સુધી, તૂર ભૂલાઈ જશે. તે સિત્તેર વર્ષ પૂરાં થયા પછી તૂરને ગણિકના ગીત પ્રમાણે થશે:
૧૬
હે ભુલાઈ ગયેલી ગણિકા, વીણા લઈને નગરમાં ફરી વળ; કુશળતાથી વગાડ, ઘણા ગીતો ગા, જેથી તું યાદ આવે.
૧૭
સિત્તેર વર્ષ પૂરાં થશે ત્યાર બાદ પછી યહોવાહ તૂરની મુલાકાત લેશે, તે પોતાનો પગાર મેળવવા પાછી આવશે. તે પૃથ્વી પરના સર્વ રાજ્યોની સાથે ગણિકાનો ધંધો ચલાવશે.
૧૮
તેની કમાઈ તથા પગાર યહોવાહને માટે થશે. તેનો સંગ્રહ કરવામાં આવશે નહિ કે નાખવામાં આવશે નહિ. કેમ કે તેની કમાઈ યહોવાહની હજૂરમાં રહેનારને માટે થશે કે તેઓ ધરાઈને ખાય અને ઉત્તમ વસ્ત્ર પહેરે.
Use arrow keys to navigate
Settings

Reading Style

Typeface

Font Size 19px

Options