Skip to content

1 પિતરનો પત્ર

હવે ખ્રિસ્તે આપણે માટે મનુષ્યદેહમાં દુ:ખ સહ્યું છે, માટે તમે પણ એવું જ મન રાખીને સજ્જ થાઓ; કેમ કે જેણે મનુષ્યદેહમાં દુ:ખ સહ્યું છે તે પાપથી મુક્ત થયો છે,
કે જેથી તે બાકીનું જીવન માણસોની વિષયવાસનાઓ પ્રમાણે નહિ, પણ ઈશ્વરની ઇચ્છા પ્રમાણે વિતાવે.
કેમ કે જેમ વિદેશીઓ જેમાં આનંદ માને છે તે પ્રમાણે કરવામાં તમે તમારા જીવનનો ઘણો સમય વિતાવ્યો છે, તે બસ તે છે. તે સમયે તમે વ્યભિચારમાં, વિષયભોગમાં, મદ્યપાનમાં, મોજશોખમાં, તથા તિરસ્કૃત મૂર્તિપૂજામાં મગ્ન હતા.
એ બાબતોમાં તમે તેઓની સાથે જે દુરાચારના પૂરમાં ધસી પડતા નથી, તેથી તેઓ આશ્ચર્ય પામે છે અને તમારી નિંદા કરે છે.
જીવતાંઓનો તથા મૃત્યુ પામેલાંઓનો ન્યાય કરવાને જે તૈયાર છે તેમને તેઓ હિસાબ આપશે;
કેમ કે મૃત્યુ પામેલાંઓને પણ સુવાર્તા પ્રગટ કરાઈ હતી કે જેથી શરીરમાં તેઓનો ન્યાય થાય, પણ આત્મા વિષે તેઓ ઈશ્વરમાં જીવે.
બધી બાબતોનો અંત પાસે આવ્યો છે, માટે તમે સંયમી થાઓ અને સાવચેત રહો જેથી તમે પ્રાર્થના કરી શકો.
વિશેષે કરીને તમે એકબીજા પર આગ્રહથી પ્રેમ કરો; કેમ કે પ્રેમ ઘણાં પાપને ઢાંકે છે.
કઈ પણ ફરિયાદ વગર તમે એકબીજાનો સત્કાર કરો.
૧૦
દરેકને જે કૃપાદાન મળ્યું છે તે એકબીજાની સેવા કરવામાં ઈશ્વરની અનેક પ્રકારની કૃપાના સારા કારભારીઓ તરીકે વાપરવું.
૧૧
જો કોઈ ઉપદેશ આપે છે, તો તેણે ઈશ્વરના વચન પ્રમાણે ઉપદેશ આપવો; જો કોઈ સેવા કરે, તો તેણે ઈશ્વરે આપેલા સામર્થ્ય પ્રમાણે સેવા કરવી; કે જેથી સર્વ બાબતોમાં ઈસુ ખ્રિસ્ત ધ્વારા ઈશ્વર મહિમાવાન થાય; તેમને સદાસર્વકાળ મહિમા તથા સત્તા હો! આમીન.
૧૨
વહાલાઓ, તમારી કસોટી કરવાને માટે તમારા પર જે અગ્નિરૂપી દુઃખ પડે છે, તેમાં તમને કંઈ વિચિત્ર થયું હોય તેમ સમજીને આશ્ચર્ય ન પામો.
૧૩
પણ ખ્રિસ્તનાં દુઃખોમાં તમે ભાગીદાર થાઓ છો, તેને લીધે આનંદ કરો; કે જેથી તેમનો મહિમા પ્રગટ થાય ત્યારે પણ તમે બહુ ઉલ્લાસથી આનંદ કરો.
૧૪
જો ખ્રિસ્તનાં નામને કારણે તમારી નિંદા થતી હોય, તો તમે આશીર્વાદિત છો, કેમ કે મહિમાનો તથા ઈશ્વરનો આત્મા તમારા પર રહે છે.
૧૫
પણ ખૂની, ચોર, દુરાચારી અથવા બીજાના કામમાં દખલ કરનાર તરીકે તમારામાંના કોઈને શિક્ષા ન થાય.
૧૬
પણ ખ્રિસ્તી હોવાને કારણે જો કોઈને સહેવું પડે છે, તો તેથી શરમાય નહિ પણ તે નામમાં તે ઈશ્વરનો મહિમા કરે.
૧૭
કેમ કે ન્યાયચૂકાદાનો આરંભ ઈશ્વરના પરિવારમાં થવાનો સમય આવ્યો છે અને જો તેનો પ્રારંભ આપણામાં થાય, તો ઈશ્વરની સુવાર્તા જેઓ નથી માનતા તેઓના હાલ કેવાં થશે?
૧૮
‘જો ન્યાયી માણસનો ઉદ્ધાર મુશ્કેલીથી થાય છે, તો અધર્મી તથા પાપી માણસનું શું થશે?’
૧૯
માટે જેઓ ઈશ્વરની ઇચ્છા પ્રમાણે દુઃખ સહન કરે છે તેઓ ભલું કાર્ય કરવાનું ચાલુ રાખતાં પોતાના પ્રાણોને વિશ્વાસુ સૃજનહારને સોંપે.
Use arrow keys to navigate
Settings

Reading Style

Typeface

Font Size 19px

Options