માથ્થી ૪:૧૨-૨૫
૧૨
¶ યોહાન બંદીવાન કરાયો છે, એવું સાંભળીને ઈસુ ગાલીલમાં પાછા આવ્યા.
૧૩
પછી નાસરેથ મૂકીને ઝબુલોનના તથા નફતાલીના પ્રદેશમાંના સમુદ્ર પાસેના કપરનાહૂમમાં તે આવીને રહ્યા.
૧૪
¶ એ માટે કે પ્રબોધક યશાયાએ જે કહ્યું હતું તે પૂરું થાય કે,
૧૫
“ઝબુલોનના પ્રાંત, નફતાલીના પ્રાંત, યર્દન નદીની પેલે પાર, એટલે બિનયહૂદીઓના ગાલીલ!
૧૬
જે લોકો અંધકારમાં જીવતા હતા, તેઓએ મોટું અજવાળું જોયું અને તે વિસ્તારમાં તથા મરણની છાયામાં જેઓ બેઠેલા હતા, તેમના પર અજવાળું પ્રકાશ્યું.”
૧૭
¶ ત્યાર પછી ઈસુ ઉપદેશ આપતા કહેવા લાગ્યા કે, “પસ્તાવો, કેમ કે સ્વર્ગનું રાજ્ય પાસે આવ્યું છે.”
૧૮
¶ ઈસુ ગાલીલના સમુદ્રને કિનારે ચાલતા હતા ત્યારે તેમણે બે ભાઈઓને, એટલે સિમોન જે પિતર કહેવાય છે તેને તથા તેના ભાઈ આન્દ્રિયાને સમુદ્રમાં જાળ નાખતા જોયા, કેમ કે તેઓ માછીમાર હતા.
૧૯
ત્યારે ઈસુએ તેઓને કહ્યું કે, ‘મારી પાછળ આવો અને હું તમને માણસોના પકડનારા કરીશ.’
૨૦
તેઓ તરત જાળો મૂકીને તેમની પાછળ ગયા.
૨૧
¶ ત્યાંથી આગળ જતા તેમણે બીજા બે ભાઈઓને, એટલે ઝબદીના દીકરા યાકૂબને તથા તેના ભાઈ યોહાનને, તેઓના પિતા સાથે વહાણમાં પોતાની જાળો સાંધતા જોયા. તેમણે તેઓને બોલાવ્યા,
૨૨
અને તેઓ તરત વહાણને તથા પોતાના પિતાને મૂકીને તેમની પાછળ ગયા.
૨૩
¶ ઈસુ સભાસ્થાનોમાં શિક્ષણ આપતા, રાજ્યની સુવાર્તાનો ઉપદેશ આપતા અને લોકોમાં દરેક પ્રકારના રોગ તથા દુઃખ મટાડતા, આખા ગાલીલમાં ફર્યા.
૨૪
ત્યારે આખા સિરિયામાં તેમની કીર્તિ ફેલાઈ ગઈ, અને લોકો તેમની પાસે સઘળાં માંદાઓને, અનેક જાતનાં રોગીઓ અને દર્દીઓને, દુષ્ટાત્મા વળગેલાંઓને, વાઈ તથા લકવાગ્રસ્તથી પીડાતાઓને લાવ્યા; અને તેમણે તેઓને સાજાં કર્યા.
૨૫
ગાલીલથી, દસનગરથી, યરુશાલેમથી, યહૂદિયાથી તથા યર્દનને પેલે પારથી લોકોનાં ટોળેટોળાં તેમની પાછળ ગયા.
Settings