યર્મિયા ૪૪:૧-૧૪
૧
¶ જે સર્વ યહૂદીઓ મિસર દેશમાં, મિગ્દોલ, તાહપાન્હેસ, નોફ અને પાથ્રોસ પ્રદેશમાં રહેતા હતા, તેઓ વિષે જે વચન યર્મિયા પાસે આવ્યું તે આ છે.
૨
“સૈન્યોના યહોવાહ, ઇઝરાયલના ઈશ્વર કહે છે કે; ‘જે સર્વ વિપત્તિ હું યરુશાલેમ અને યહૂદિયાના સર્વ નગરો પર લાવ્યો છું તે તમે જોઈ છે. જુઓ, હમણાં તેઓ ખંડેર હાલતમાં છે; તેઓમાં કોઈ માણસ રહેતું નથી.
૩
તેઓએ પાપ કરીને મને રોષ ચડાવ્યો છે એટલે તેઓ, તમે કે તમારા પિતૃઓ જે અન્ય દેવોને જાણતા નહોતા, તે દેવોની આગળ ઘૂપ બાળવા અને તેઓની પૂજા કરવા ગયા.
૪
¶ તેમ છતાં જે ધિક્કારપાત્ર કૃત્યોનો હું તિરસ્કાર કરું છું તે કરશો નહિ. એવું મેં વારંવાર મારા સેવકો, પ્રબોધકો, મોકલીને કહાવ્યું.
૫
પરંતુ તેઓએ સાંભળ્યું નહિ. અને પોતાના દુષ્ટ માર્ગોથી ફરીને અન્ય દેવોની આગળ ધૂપ નહિ બાળવાની મારી આજ્ઞા તરફ તેઓએ કાન ધર્યો નહિ.
૬
આથી મારો કોપ યહૂદિયાના નગરોમાં અને યરુશાલેમના મહોલ્લાઓમાં અગ્નિની જેમ પ્રગટી ઊઠયો. અને જેમ આજ છે તેમ તેઓ પાયમાલ થઈને ઉજ્જડ થઈ ગયા છે.
૭
તેથી સૈન્યોના યહોવાહ ઇઝરાયલના ઈશ્વર કહે છે કે, તમે શા માટે પોતાના જીવની વિરુદ્ધ અતિ દુષ્ટ કામ કરીને સ્ત્રીઓ, પુરુષો, બાળકો અને દૂધ પીતાં નાનાં બાળકોનો નાશ યહૂદિયામાંથી કરો છો અને તમે શા માટે તમારી પાછળ કોઈને બાકી રહેવા દેતા નથી?
૮
જ્યાં તમે રહેવા ગયા છો તે મિસરમાં અન્ય દેવોની આગળ ધૂપ બાળ્યો છે. તેમ કરીને તમે મને કોપાયમાન કર્યો છે એથી તમારો નાશ કરવામાં આવશે. અને સર્વ પ્રજાઓમાં તમે શાપરૂપ તથા નિંદારૂપ થશો.
૯
¶ તમારા પિતૃઓનાં પાપ, યહૂદિયાના રાજાઓ તથા રાણીઓનાં પાપ અને તમારા પોતાના દ્વારા તથા તમારી પત્નીઓ દ્વારા યહૂદિયા તથા યરુશાલેમની શેરીઓમાં આચરવામાં આવેલાં પાપ શું તમે ભૂલી ગયા?
૧૦
આજ પર્યંત તેઓ દીન થયા નથી, કે બીધા પણ નથી. મેં તમારી અને તમારા પિતૃઓની આગળ મારું નિયમશાસ્ત્ર અને વિધિઓ મૂક્યા છે. તે પ્રમાણે ચાલ્યા નથી.
૧૧
¶ તેથી સૈન્યોના યહોવાહ ઇઝરાયલના ઈશ્વર કહે છે કે; “જુઓ, હું તમારી વિરુદ્ધ મારું મુખ ફેરવીશ. અને વિપત્તિ લાવીને આખા યહૂદિયાના લોકોનો નાશ કરીશ.
૧૨
યહૂદિયાના બાકી રહેલા લોકો જેઓએ મિસર જઈને વસવાનો નિર્ધાર કર્યો છે, તેઓને હું હતા ન હતા કરી નાખીશ. તેઓ બધા જ મિસર દેશમાં નાશ પામશે; તેઓ તલવારથી તથા દુકાળથી મરશે. નાનામોટા સર્વ તલવારથી કે દુકાળથી માર્યા જશે અને તેઓ ધિક્કારરૂપ, વિસ્મયરૂપ, શાપરૂપ, નિંદારૂપ થઈ પડશે.
૧૩
¶ જેમ મેં યરુશાલેમને શિક્ષા કરી તેમ જેઓ મિસરમાં છે તેઓને પણ હું તલવાર, દુકાળ અને મરકીથી સજા કરીશ.
૧૪
તેથી યહૂદિયાના બાકી રહેલા જે ફરી યહૂદિયા જઈને વસવાની આશાએ મિસરમાં જઈને વસ્યા છે તેમાંથી કોઈ પણ જીવતો રહેવાનો નથી કે પાછો યહૂદિયા જવા પામવાનો નથી. કેમ કે થોડા ભાગી છૂટેલા સિવાય કોઈ મારા કોપમાંથી બચી શકવાના નથી.”
Settings