યશાયા ૩૭:૨૧-૨૯
૨૧
¶ પછી આમોસના દીકરા યશાયાએ હિઝકિયાને સંદેશો મોકલીને કહેવડાવ્યું, “યહોવાહ, ઇઝરાયલના ઈશ્વર કહે છે, ‘આશ્શૂરના રાજા સાન્હેરીબ વિષે તેં મને પ્રાર્થના કરી છે.’
૨૨
તે માટે યહોવાહ સાનહેરિબ વિષે જે વચન બોલ્યા છે તે આ છે: “સિયોનની કુંવારી દીકરીએ તને તુચ્છ ગણ્યો છે અને હસી કાઢ્યો છે; યરુશાલેમની દીકરીએ તારી તરફ માથું ધુણાવ્યું છે.
૨૩
તેં કોની નિંદા તથા કોના વિષે દુર્ભાષણ કર્યા છે? અને તેં કોની વિરુદ્ધ તારો અવાજ ઉઠાવ્યો છે અને તારી આંખો ઊંચી કરી છે? ઇઝરાયલનાં પવિત્ર વિરુદ્ધ જ.
૨૪
તારા ચાકર દ્વારા તેં પ્રભુની નિંદા કરી છે, તેં કહ્યું છે કે, ‘મારા રથોના જૂથ સાથે હું પર્વતોના શિખર પર, લબાનોનના સૌથી અંદરના ભાગોમાં હું ચઢી આવ્યો છું; હું તેના ઊંચા એરેજવૃક્ષોને તથા ઉત્તમ દેવદારવૃક્ષોને હું કાપી નાખીશ; અને હું તેના સૌથી છેવાડા ભાગમાં, તથા તેના ફળદ્રુપ ખેતરના વનમાં પ્રવેશ કરીશ.
૨૫
મેં કૂવા ખોદીને પરદેશનાં પાણી પીધાં છે; મારા પગનાં તળિયાંથી મેં મિસરની બધી નદીઓને સૂકવી નાખી છે.’
૨૬
શું તેં નથી સાંભળ્યું કે, મેં પુરાતન કાળથી તે ઠરાવ કર્યો છે અને પ્રાચીન કાળથી તે ઘાટ ઘડ્યો છે? અને હવે હું એવું કરું છું કે, તું કોટવાળાં નગરોને વેરાન કરી નાખીને તેમને ખંડીયેરના ઢગલા કરી નાખનાર થાય.
૨૭
તેઓના રહેવાસીઓ કમજોર થઈ ગયા છે, તેઓ વિખેરાઈને લજ્જિત થયા. તેઓ ખેતરના છોડ, લીલું ઘાસ, અગાસી પરનાં ઘાસ તથા ખેતરમાનાં ઘાસ, પૂર્વના વાયુ જેવા થઈ ગયા.
૨૮
પરંતુ તારું ઊઠવું તથા બેસવું, તારું બહાર જવું તથા તારું અંદર આવવું, તથા મારા પર તારું કોપાયમાન થવું, એ સર્વ હું જાણું છું.
૨૯
મારા પર તારા ક્રોધાયમાન થયાને લીધે તથા તારી ઉદ્ધતાઈ મારા સાંભળવામાં આવ્યાને લીધે હું તારા નાકમાં મારી કડી તથા તારા મુખમાં મારી લગામ નાખીને જે માર્ગે તું આવ્યો છે તે માર્ગે થઈને હું તને પાછો ફેરવીશ.”
Settings