Skip to content
હઝકિયેલ ૪:૧-૧૭

હઝકિયેલ ૪:૧-૧૭

વળી હે મનુષ્યપુત્ર, એક ઈંટ લઈને તારી આગળ મૂક. તેના પર યરુશાલેમનું ચિત્ર દોર.
પછી તેની સામે ઘેરો ઘાલીને કિલ્લા બાંધ. તેની સામે હુમલો કરવા માટે રસ્તા બનાવ અને તેની સામે છાવણીઓ પણ ઊભી કર. ચારેબાજુ કોટનો નાશ કરવાના યંત્રો ગોઠવ.
તું લોખંડનો એક તવો લે, તારી અને નગરની વચ્ચે લોખંડની દીવાલ તરીકે મૂક. તું તારું મુખ શહેરની તરફ ફેરવ, તેનો ઘેરો ઘાલવામાં આવશે. તું તેની વિરુદ્ધ ઘેરો ઘાલશે! આ ઇઝરાયલી લોકો માટે ચિહ્નરૂપ થશે.
પછી, તું તારે ડાબે પડખે સૂઈ જા. અને ઇઝરાયલી લોકોનાં પાપ તેઓના પોતાના પર મૂક; તું જેટલા દિવસ ડાબે પડખે સૂઈ રહેશે તેટલા દિવસ માટે તારે ઇઝરાયલનાં પાપોનો બોજ ઉઠાવશે.
મેં ઠરાવ્યું છે કે તેઓનાં પાપોના વરસો તેટલાં દિવસો સુધી, ત્રણસોને નેવું દિવસ સુધી તું ઇઝરાયલી લોકોના પાપનો બોજ ઉઠાવશે.
તે દિવસો પૂરા કર્યા પછી, ફરી તું તારા જમણા પડખા પર સૂઈ જા, તું ચાલીસ દિવસ યહૂદિયાના લોકોના પાપનો બોજ ઉઠાવ. દરેક વરસને માટે એક દિવસ એ પ્રમાણે તારે માટે મેં ચાલીસ દિવસ ઠરાવ્યા છે.
પછી તું તારો હાથ ખુલ્લો રાખીને યરુશાલેમના ઘેરા તરફ તારું મુખ ફેરવ. તારે તે શહેરની વિરુદ્ધ ભવિષ્ય ભાખવું.
કેમ કે જો, હું તને દોરડાં વડે બાંધું છું, ઘેરાના દિવસ પૂરા થતાં સુધી તું એક પડખેથી બીજે પડખે ફરી નહિ શકે.
તારે પોતાને સારુ ઘઉં, જવ, વટાણા, મસૂર, બાજરી તથા મઠ લે. બાજરીનો લોટ લઈને એક જ વાસણમાં નાખી તેના રોટલા બનાવ. જેટલા દિવસ તું તારા પડખા પર સૂઈ રહે એટલે ત્રણસોને નેવું દિવસ સુધી તારે તે રોટલા ખાવા.
૧૦
આ તારો ખોરાક છે જે તારે તોળીને ખાવો. રોજના વીસ તોલા પ્રમાણે ખાવું. નિયમિત સમયે તારે તે ખાવું.
૧૧
તારે પાણી પણ માપીને જ પીવું, એટલે એક હિનના છઠ્ઠા ભાગ જેટલું. તારે તે નિયમિત પીવું.
૧૨
તારે તે જવની રોટલીની માફક ખાવું, પણ તારે તે મનુષ્યવિષ્ટાથી શેકવું.
૧૩
કેમ કે યહોવાહ કહે છે કે “હું જે પ્રજાઓમાં તેઓને હાંકી કાઢીશ તેઓમાં ઇઝરાયલી લોકો આ રીતે અશુદ્ધ થયેલો ખોરાક ખાશે.”
૧૪
પણ મેં કહ્યું, “અરેરે, પ્રભુ યહોવાહ, મેં મારા આત્માને અશુદ્ધ કર્યો નથી, મેં બાળપણથી તે આજ સુધી મૃત્યુ પામેલું કે પશુએ મારી નાખેલું પશુ ખાધું નથી, નાપાક માંસ મારા મુખમાં પ્રવેશ્યું નથી.
૧૫
ત્યારે તેમણે મને કહ્યું, “જો મેં તને મનુષ્યવિષ્ટાને બદલે ગાયનું છાણ આપ્યું છે કે જેથી તું ગાયના છાણ પર રોટલી શેકી શકે.”
૧૬
વળી તેમણે મને કહ્યું, “હે મનુષ્યપુત્ર, જો, હું યરુશાલેમના અનાજનો ભંડાર ખાલી કરીશ, તેઓ તોળીને તથા સંભાળ રાખીને રોટલી ખાશે, માપીને તથા બીને પાણી પીશે.
૧૭
કેમ કે તેઓને ખોરાક તથા પાણીની અછત થશે, પછી તેઓ હતાશ થઈને પોતાના ભાઈઓ સામે જોશે અને તેઓના અન્યાયને કારણે ઝૂરીઝૂરીને તેઓનો નાશ થશે.”
Settings

Reading Style

Typeface

Font Size 19px

Reading Width 45 chars

Options