Skip to content
કલોસ્સીઓને પત્ર ૨:૯-૨૩

કલોસ્સીઓને પત્ર ૨:૯-૨૩

કેમ કે ઈશ્વરત્વની સર્વ સંપૂર્ણતા ખ્રિસ્તનાં શરીરમાં વસે છે.
૧૦
તમે તેમનાંમાં સંપૂર્ણ થયા છો; તેઓ સર્વ શાસન તથા અધિકારનાં ઉપરી છે;
૧૧
જે સુન્નત હાથે કરેલી નથી તેથી તમે તેમનાંમાં સુન્નતી થયા, એટલે ખ્રિસ્ત દ્વારા કરવામાં આવેલી સુન્નતને આશરે તમે દેહને તેની દૈહિક વાસનાઓ સાથે ઉતારી મૂક્યો.
૧૨
તેમની સાથે તમે બાપ્તિસ્મામાં દફનાવાયા, અને તેમાં પણ ઈશ્વર જેમણે તેમને મૃત્યુમાંથી સજીવન કર્યા, તેમના સામર્થ્ય પરના વિશ્વાસથી તમને તેમની સાથે ઉઠાડ્યાં.
૧૩
તમે તમારા અપરાધોમાં તથા તમારા મનુષ્યદેહની બેસુન્નતમાં મૃત હતા ત્યારે તેમણે તમારા સર્વ અપરાધોની માફી આપીને તમને ખ્રિસ્તની સાથે સજીવન કર્યાં.
૧૪
અને નિયમોનું તહોમતનામું જે આપણી વિરુદ્ધ હતું; અને આપણને પ્રતિકૂળ હતું, તેને રદ કરીને તથા વધસ્તંભે તેને ખીલા મારીને નાબૂદ કરી નાખ્યું.
૧૫
રાજ્યો તથા અધિકારો તોડી પાડીને, વધસ્તંભે તેઓ પર વિજય પામીને તેઓને જાહેરમાં ઉઘાડાં પાડ્યાં.
૧૬
તેથી ખાવાપીવાની બાબતમાં તથા પર્વ, પૂનમ કે વિશ્રામવાર પાળવામાં કોઈ તમને દોષિત ઠરાવે નહિ.
૧૭
તેઓ તો થનાર વાતોની પ્રતિછાયા છે, પણ વાસ્તવિકતા તો ખ્રિસ્ત છે.
૧૮
નમ્રતા તથા સ્વર્ગદૂતોની સેવા પર ભાવ રાખવા કોઈ તમને ન ફસાવે અને તમારું ઇનામ છીનવી ન લે. તેને જે દર્શનો થયા છે તે પર આધાર રાખીને તે પોતાના દૈહિક મનથી ફુલાઈ જાય છે.
૧૯
તે શિરને વળગી રહેતો નથી, એ શિર થી આખું શરીર, સાંધાઓ તથા સ્નાયુઓથી પોષણ પામીને તથા જોડાઈને ઈશ્વરથી વૃદ્ધિ પામે છે.
૨૦
જો તમે ખ્રિસ્તની સાથે જગતના સિદ્ધાંતો સંબંધી મૃત્યુ પામ્યા, તો જગતમાં જીવનારાંની માફક શા માટે વિધિઓને આધીન થાઓ છો?
૨૧
‘જેમ કે અમુકને સ્પર્શ કરવો નહિ, ચાખવું નહિ અને હાથમાં લેવું નહિ.’”
૨૨
એ બધી બાબતો માણસોની આજ્ઞા તથા શિક્ષણ પ્રમાણે છે વપરાશથી જ નાશ પામનારી છે.
૨૩
તેઓમાં સ્વૈચ્છિક સેવા, નમ્રતા તથા દંભી દેહદમન વિષે ડહાપણનો આભાસ છે, પણ શારીરિક વાસનાઓને અટકાવવાને તેઓ કોઈ રીતે ઉપયોગી નથી.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Options