પ્રેરિતોનાં ક્રત્યો ૧૬:૧૯-૪૦
૧૯
¶ પણ તેના માલિકોએ પોતાના લાભની આશા નષ્ટ થઈ છે, એ જોઈને પાઉલ તથા સિલાસને પકડ્યા, અને તેઓને ચૌટાનાં અધિકારીઓની પાસે ઘસડી લાવ્યા.
૨૦
તેઓને અધિકારીઓની આગળ લાવીને કહ્યું કે, આ માણસો યહૂદી છતાં આપણા શહેરમાં બહુ ધમાલ મચાવે છે.
૨૧
અને આપણ રોમનોને જે રીતરિવાજો માનવા અથવા પાળવા ઉચિત નથી, તે તેઓ શીખવે છે.
૨૨
¶ ત્યારે સર્વ લોકો તેમની સામે ઊઠ્યાં, અને અધિકારીઓએ તેઓનાં વસ્ત્રો ફાડી નાખીને તેઓને ફટકા મારવાની આજ્ઞા આપી.
૨૩
અને અધિકારીઓએ ઘણાં ફટકા મારીને તેઓને પાઉલ અને સિલાસને જેલમાં પૂર્યા તથા જેલરને તેઓની ચોકસાઈ રાખવાની આજ્ઞા આપી.
૨૪
અને અમલદારને એવી આજ્ઞા મળવાથી તેઓને અંદરનાં જેલખાનામાં પૂરવામાં આવ્યા, અને તેઓના પગ હેડમાં બાંધી દીધાં.
૨૫
¶ ત્યાં મધરાતને સુમારે પાઉલ તથા સિલાસ પ્રાર્થના કરતા તથા ઈશ્વરનાં સ્ત્રોત્ર ગાતા હતા, બીજા કેદીઓ તે સાંભળતાં હતા;
૨૬
ત્યારે એકાએક એવો મોટો ધરતીકંપ થયો કે, જેલના પાયા હાલ્યા; અને બધા દરવાજા તરત ઊઘડી ગયા; અને સર્વના બંધનો છૂટી ગયા.
૨૭
¶ જેલર ઊંઘમાંથી જાગી ઊઠ્યો, અને જેલના દરવાજા ખુલ્લાં જોઈને કેદીઓ નાસી ગયા હશે, એમ વિચારીને તે તરવાર ઉગામીને આત્મહત્યા કરવા જતો હતો.
૨૮
પણ પાઉલે મોટેથી બૂમ પાડીને કહ્યું કે, અમે સહુ અહીં છીએ, માટે તું પોતાને કંઈ પણ ઈજા કરીશ નહિ.
૨૯
¶ ત્યારે તે દીવો મંગાવીને અંદર કૂદી આવ્યો, અને ધ્રૂજતો ધ્રૂજતો પાઉલ તથા સિલાસને પગે પડ્યો.
૩૦
તેઓને બહાર લાવીને તેણે કહ્યું કે, હે સાહેબો, ઉદ્ધાર પામવા સારુ મારે શું કરવું જોઈએ?
૩૧
ત્યારે તેઓએ કહ્યું કે, પ્રભુ ઈસુ પર વિશ્વાસ કર, એટલે તું તથા તારા ઘરના સર્વ ઉદ્ધાર પામશો.
૩૨
¶ ત્યારે તેઓએ જેલરને તથા જે તેનાં ઘરમાં હતાં તે સર્વને પ્રભુનાં વચનો કહી સંભળાવ્યાં.
૩૩
પછી રાતના તે જ સમયે તે જેલરે તેઓના સોળ ધોયા અને તરત તે તથા તેનાં ઘરનાં બધા માણસો બાપ્તિસ્મા પામ્યા.
૩૪
જેલરે તેઓને પોતાને ઘરે લાવીને તેઓની આગળ ભોજન પીરસ્યું, અને તેના ઘરનાં સર્વએ ઈશ્વર પર વિશ્વાસ કરીને ઘણો આનંદ કર્યો.
૩૫
¶ દિવસ ઊગતાં અધિકારીઓએ સુરક્ષા કર્મચારીઓને મોકલીને કહેવડાવ્યું કે, તે માણસોને છોડી દો.
૩૬
પછી જેલરે પાઉલને એ વાતની ખબર આપી કે, અધિકારીઓએ તમને છોડી દેવાનું કહેવડાવ્યું છે, માટે હવે તમે નીકળીને શાંતિએ ચાલ્યા જાઓ.
૩૭
¶ પણ પાઉલે તેઓને કહ્યું કે, અમને ગુનેગાર ઠરાવ્યાં વગર તેઓએ અમો રોમનોને જાહેર રીતે માર મારીને જેલમાં નાખ્યા છે, અને હવે શું તેઓ અમને છાની રીતે બહાર કાઢી મૂકે છે? ના, એમ તો નહિ, પણ તેઓ પોતે આવીને અમને બહાર કાઢે.
૩૮
ત્યારે સુરક્ષા કર્મચારીઓએ અધિકારીઓને એ વાતની ખબર આપી. ત્યારે તેઓ રોમન છે, એ સાંભળીને તેઓ ગભરાઈ ગયા.
૩૯
પછી અધિકારીઓએ આવીને તેઓને કાલાવાલા કર્યા, અને તેઓને બહાર લાવીને શહેરમાંથી નીકળી જવાને વિનંતી કરી.
૪૦
¶ પછી તેઓ જેલમાંથી નીકળીને લુદિયાને ત્યાં આવ્યા; અને ભાઈઓને મળીને તેઓને દિલાસો આપ્યો, પછી ત્યાંથી વિદાય થયા.
Settings