1 રાજઓ ૪:૨૦-૩૪
૨૦
¶ યહૂદિયા તથા ઇઝરાયલના લોકો સંખ્યામાં સમુદ્ર કિનારાની રેતી જેટલા અગણિત હતા. તેઓ ખાઈ પીને આનંદ કરતા હતા.
૨૧
નદીથી તે પલિસ્તીઓના દેશ સુધી તથા મિસરની સરહદ સુધીનાં સર્વ રાજ્યો પર સુલેમાન હકૂમત ચલાવતો હતો. તેઓ નજરાણાં લાવતા અને સુલેમાનની જિંદગીના સર્વ દિવસો તેઓ તેની તાબેદારી કરતા રહ્યા.
૨૨
સુલેમાનના મહેલમાં રહેનારાનો એક દિવસનો ખોરાક ત્રીસ માપ મેંદો, સાઠ માપ લોટ,
૨૩
દસ પુષ્ટ બળદો, બીડમાં ચરતા વીસ બળદ, સો ઘેટાં, સાબર, હરણ, કલિયાર તથા ચરબીદાર પક્ષીઓ એટલો હતો.
૨૪
¶ કેમ કે નદીની આ બાજુના સર્વ પ્રદેશમાં એટલે તિફસાથી તે ગાઝા સુધી સર્વ રાજાઓ તેને તાબે હતા અને તેની ચારેબાજુ શાંતિ હતી.
૨૫
સુલેમાનના સર્વ દિવસો દરમિયાન દાનથી તે બેરશેબા સુધી યહૂદિયા તથા ઇઝરાયલ પોતપોતાના દ્રાક્ષાવેલા નીચે તથા પોતપોતાની અંજીરી નીચે નિર્ભય સ્થિતિમાં હતા.
૨૬
¶ સુલેમાનને પોતાના રથોના ઘોડાને માટે ચાળીસ હજાર તબેલા હતા અને બાર હજાર ઘોડેસવારો હતા.
૨૭
દરેક અધિકારીઓ પોતપોતાને ભાગે આવેલા મહિનામાં સુલેમાન રાજાને તથા સુલેમાનને ત્યાં જમવા આવનાર બધાંને ખોરાક પૂરો પાડતા હતા. તેઓ કોઈપણ બાબતની અછત પડવા દેતા નહિ.
૨૮
તેઓ પ્રત્યેક પોતપોતાને સોંપેલી ફરજ પ્રમાણે, રથના ઘોડાઓને માટે તથા સવારી માટેના ઘોડાઓને માટે તેઓને મુકામે જવ તથા ઘાસ પહોંચાડતા હતા.
૨૯
¶ ઈશ્વરે સુલેમાનને ઘણું જ્ઞાન, સમજશક્તિ તથા સમુદ્રકિનારાની રેતીના પટ સમું વિશાળ સમજશકિત આપ્યાં હતાં.
૩૦
પૂર્વ દિશાના સર્વ લોકોના જ્ઞાનથી તથા મિસરીઓના સર્વ જ્ઞાન કરતાં સુલેમાનનું જ્ઞાન અધિક હતું.
૩૧
તે સર્વ માણસો કરતાં વિશેષ જ્ઞાની હતો. એથાન એઝ્રાહી કરતાં, માહોલના દીકરાઓ હેમાન, કાલ્કોલ તથા દાર્દા કરતાં પણ તે વધારે જ્ઞાની હતો. તેની કીર્તિ આસપાસના સર્વ દેશોમાં ફેલાઈ ગઈ.
૩૨
¶ તેણે ત્રણ હજાર નીતિવચનો કહ્યાં અને તેનાં રચેલાં ગીતોની સંખ્યા એક હજાર પાંચ હતી.
૩૩
તેણે વનસ્પતિ વિષે વર્ણન કર્યું, એટલે લબાનોન પરના દેવદાર વૃક્ષથી માંડીને દીવાલોમાંથી ઊગી નીકળતા ઝુફા સુધીની વનસ્પતિ વિષે વર્ણન કર્યું. તેણે પશુઓ, પક્ષીઓ, પેટે ચાલનારાં પ્રાણીઓ તથા માછલીઓ વિષે પણ વર્ણન કર્યું.
૩૪
જે સર્વ લોકોએ તથા પૃથ્વી પરના જે સર્વ રાજાઓએ સુલેમાનના જ્ઞાન વિષે સાંભળ્યું હતું, તેઓમાંના ઘણા તેના જ્ઞાનની વાતો સાંભળવા આવતા હતા.
Settings