Skip to content
1 રાજઓ ૨૨:૨૯-૪૦

1 રાજઓ ૨૨:૨૯-૪૦

૨૯
પછી ઇઝરાયલના રાજા આહાબે અને યહૂદિયાના રાજા યહોશાફાટે રામોથ ગિલ્યાદ પર ચઢાઈ કરી.
૩૦
ઇઝરાયલના રાજાએ યહોશાફાટને કહ્યું, “હું મારો પોષાક બદલીને યુદ્ધમાં જઈશ, પણ તું તારો રાજપોષાક પહેરી રાખ.” તેથી ઇઝરાયલનો રાજા પોતાનો પોષાક બદલીને યુદ્ધમાં ગયો.
૩૧
હવે અરામના રાજાએ પોતાના બત્રીસ રથાધિપતિઓને આજ્ઞા કરી હતી, “માત્ર ઇઝરાયલના રાજા સિવાય કોઈપણ નાના કે મોટાની સાથે લડશો નહિ.”
૩૨
જયારે રથાધિપતિઓએ યહોશાફાટને જોયો ત્યારે તેઓએ કહ્યું, “ચોક્કસ આ ઇઝરાયલનો રાજા છે.” તેથી તેઓ તેના પર હુમલો કરવા વળ્યા, તેથી યહોશાફાટે જોરથી બૂમ પાડી.
૩૩
અને એમ થયું કે જયારે રથાધિપતિઓએ જોયું કે આ ઇઝરાયલનો રાજા નથી ત્યારે તેઓએ તેનો પીછો કરવાનું છોડી દીધું.
૩૪
પરંતુ એક સૈનિકે તીર છોડ્યું. એ તીર ઇઝરાયલના રાજાને તેના બખ્તરના સાંધાની વચ્ચે થઈને વાગ્યું. તેથી આહાબે પોતાના સારથિને કહ્યું, “રથ ફેરવીને મને યુદ્ધભૂમિની બહાર લઈ જા. કેમ કે મને કારમો ઘા વાગ્યો છે.”
૩૫
તે દિવસે દારુણ યુદ્ધ મચ્યું અને રાજાને તેના રથમાં અરામીઓ તરફ મોં રહે તે રીતે બેસાડી રાખવામાં આવ્યો હતો, તેના ઘામાંથી લોહી વહીને રથને તળિયે ગયું અને સાંજ થતાં તે મૃત્યુ પામ્યો.
૩૬
પછી દિવસને અંતે સૂર્યાસ્ત થતાં જ રાજાની લશ્કરી છાવણીમાં એક મોટો પોકાર થયો, “દરેક જણ પોતપોતાના નગરમાં અને પોતપોતાના દેશમાં જાઓ!”
૩૭
રાજાના મૃતદેહને સમરુનમાં લાવવામાં આવ્યો અને ત્યાં તેને દફનાવવામાં આવ્યો.
૩૮
સમરુનના તળાવને કિનારે જ્યાં ગણિકાઓ સ્નાન કરવા આવતી હતી રથ ધોયો અને યહોવાહનો વચન પ્રમાણે કૂતરાંઓએ તેનું લોહી ચાટ્યું.
૩૯
આહાબનાં બાકીનાં કાર્યો, તેણે જે સર્વ કર્યું, તથા તેણે બંધાવેલા હાથીદાંતનો મહેલ તેમ જ તેણે જે જે નગરો બાંધ્યા તે સર્વ ઇઝરાયલના રાજાઓના ઇતિહાસના પુસ્તકમાં લખેલા નથી શું?
૪૦
આમ, આહાબ તેના પિતૃઓ સાથે ઊંઘી ગયો અને તેના પછી તેનો પુત્ર અહાઝયાહ રાજા બન્યો.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Options