Skip to content
1 રાજઓ ૧૫:૯-૨૪

1 રાજઓ ૧૫:૯-૨૪

ઇઝરાયલના રાજા યરોબામના રાજયકાળના વીસમા વર્ષે આસા યહૂદિયા પર રાજ કરવા લાગ્યો.
૧૦
તેણે યરુશાલેમમાં એકતાળીસ વર્ષ રાજ કર્યું, તેની દાદીનું નામ માકા હતું અને તે અબીશાલોમની પુત્રી હતી.
૧૧
જેમ તેના પિતા દાઉદે કર્યું તેમ આસાએ યહોવાહની દ્રષ્ટિમાં જે સારું હતું તે કર્યું.
૧૨
તેણે સજાતીય સંબંધો રાખનારાઓને દેશમાંથી કાઢી મૂક્યા અને તેના પિતૃઓએ બનાવેલી મૂર્તિઓને દૂર કરી.
૧૩
તેણે તેની દાદી માકાને પણ રાજમાતાના પદ પરથી દૂર કરી, કેમ કે તેણે અશેરા દેવીની પૂજા માટે એક ધિક્કારપાત્ર મૂર્તિ બનાવી હતી. આસાએ એ મૂર્તિને તોડી નાખી અને કિદ્રોનની ખીણમાં બાળી મૂકી.
૧૪
પણ ઉચ્ચસ્થાનોને દૂર કરવામાં આવ્યા નહિ, તેમ છતાં આસાનું હૃદય તેના જીવનના સર્વ દિવસો સુધી યહોવાહ પ્રત્યે સંપૂર્ણ હતું.
૧૫
તેના પિતાએ તેમ જ તેણે પોતે અર્પણ કરેલી વસ્તુઓ એટલે સોનું, ચાંદી અને પાત્રો તે યહોવાહના ભક્તિસ્થાનમાં લાવ્યો.
૧૬
ઇઝરાયલના રાજા બાશા અને આસા વચ્ચે તેઓના સર્વ દિવસો પર્યંત લડાઇ ચાલ્યા કરી.
૧૭
ઇઝરાયલના રાજા બાશાએ યહૂદિયા પર ચઢાઈ કરી અને રામા નગરને બાંધ્યું. જેથી યહૂદિયાના રાજા આસાના દેશમાં તે કોઈને પણ અંદર કે બહાર આવવા કે જવા ના દે.
૧૮
પછી આસાએ યહોવાહનું ભક્તિસ્થાનમાં તથા રાજમહેલના ભંડારોમાં બાકી રહેલું સોનું અને ચાંદી એકઠાં કરીને દમસ્કસમાં રહેતા અરામના રાજા હેઝ્યોનના પુત્ર, ટાબ્રિમ્મોનના પુત્ર બેન-હદાદને આપવા પોતાના અધિકારીઓને મોકલ્યા. તેઓએ રાજાને કહ્યું કે,
૧૯
“તારા પિતા અને મારા પિતા વચ્ચે શાંતિકરાર હતો તેમ મારી અને તારી વચ્ચે પણ શાંતિકરાર થાય. જો હું તને સોનાચાંદીની ભેટ મોકલું છું. તું ઇઝરાયલના રાજા બાશા સાથેનો શાંતિકરાર તોડી નાખ. કે જેથી તે મારી પાસેથી એટલે મારા દેશમાંથી જતો રહે.”
૨૦
બેનહદાદે આસા રાજાનું કહેવું માન્યું અને તેણે પોતાના સેનાપતિઓને ઇઝરાયલનાં નગરો સામે ચઢાઈ કરવા મોકલ્યાં. તેઓએ ઇયોન, દાન, આબેલ-બેથ-માઅખાહ, આખું કિન્નેરેથ અને આખા નફતાલી પ્રદેશ પર હુમલો કર્યો.
૨૧
એમ થયું કે બાશાએ આ સાંભળ્યું ત્યારે તેણે રામા નગરનું બાંધકામ પડતું મૂકયું અને પાછો તિર્સા ચાલ્યો ગયો.
૨૨
પછી આસા રાજાએ આખા યહૂદિયામાં જાહેરાત કરી. કોઈને છૂટ આપવામાં આવી નહિ. જે પથ્થરો અને લાકડાં વડે રામા નગરને બાશાએ બાંધ્યું હતું. તે પથ્થર તથા લાકડાં તેઓ ઉઠાવી લાવ્યા. પછી આસા રાજાએ તે સાધનસામગ્રીનો ઉપયોગ બિન્યામીનનું નગર ગેબા અને મિસ્પા બાંધવા માટે કર્યો.
૨૩
આસાનાં બાકીનાં સર્વ કાર્યો, તેનાં સર્વ પરાક્રમો અને તેણે જે સર્વ કર્યું તે, તેમ જ તેણે બંધાવેલાં નગરો તે બધી બાબતો વિષે યહૂદિયાના રાજાઓના ઇતિહાસનાં પુસ્તકમાં લખેલું નથી શું? વૃદ્ધાવસ્થામાં તેને પગમાં રોગ લાગુ પડયો.
૨૪
પછી આસા તેના પિતૃઓ સાથે ઊંઘી ગયો. અને તેને તેના પિતૃઓ સાથે દાઉદનગરમાં દફનાવવામાં આવ્યો. તેના પછી તેની જગ્યાએ તેનો પુત્ર યહોશાફાટ રાજા બન્યો.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Options