1 રાજઓ ૧૦:૧૪-૨૯
૧૪
¶ હવે દર વર્ષે સુલેમાનને ત્યાં જે સોનું આવતું હતું તેનું વજન છસો છાસઠ તાલંત હતું.
૧૫
વળી મુસાફર લોકો લાવતા હતા તે અને વેપારીઓના વેપારથી તથા મિશ્ર લોકોના સર્વ રાજાઓ તરફથી તથા દેશના રાજ્યપાલો તરફથી જે મળતું હતું તે તો જુદું.
૧૬
¶ સુલેમાન રાજાએ ઘડેલા સોનાની બસો મોટી ઢાલ બનાવી. દરેક મોટી ઢાલમાં છસો શેકેલ સોનું વપરાયું હતું.
૧૭
તેણે ઘડેલા સોનાની બીજી ત્રણસો ઢાલ બનાવી. એ દરેક ઢાલમાં ત્રણ માનેહ સોનું વપરાયું હતું; રાજાએ તે ઢાલ લબાનોનના વનગૃહમાં મૂકી.
૧૮
¶ પછી રાજાએ હાથીદાંતનું એક મોટું સિંહાસન બનાવ્યું અને તેના પર ચોખ્ખું સોનું મઢ્યું.
૧૯
સિંહાસનને છ પગથિયાં હતાં અને સિંહાસનનો ઉપલો ભાગ પાછળથી ગોળ હતો. બેઠકની પાસે બન્ને બાજુએ હાથા હતા અને તે હાથાઓની બાજુએ બે સિંહ ઊભા હતા.
૨૦
છ પગથીયા પર આ બાજુએ તથા બીજી બાજુએ બાર સિંહો ઊભેલા હતા. આના જેવું સિંહાસન કોઈપણ રાજ્યમાં બનાવવામાં આવ્યું ન હતું.
૨૧
¶ સુલેમાન રાજાનાં પીવાનાં સર્વ પાત્રો સોનાનાં હતાં અને લબાનોન વનગૃહમાંનાં સર્વ પાત્રો ચોખ્ખા સોનાનાં હતાં. ચાંદીનું એક પણ પાત્ર જન હતું. કેમ કે સુલેમાનના સમયમાં ચાંદીની કશી વિસાત ન હતી.
૨૨
રાજાનો તાર્શીશ વહાણનો એક કાફલો હીરામના કાફલા સાથે સમુદ્ર પર ફરતો હતો. દર ત્રણ વર્ષે એકવાર તાર્શીશનો કાફલો સોનું, ચાંદી, હાથીદાંત, વાનરો અને મોર લઈને આવતો હતો.
૨૩
¶ સુલેમાન રાજા પૃથ્વી પરના સર્વ રાજાઓ કરતાં દ્રવ્ય તથા જ્ઞાનમાં સૌથી શ્રેષ્ઠ હતો.
૨૪
ઈશ્વરે સુલેમાનના હૃદયમાં જે જ્ઞાન મૂક્યું હતું તે સાંભળવા આખી પૃથ્વી પરના લોકો સુલેમાનની સમક્ષ આવતા.
૨૫
તે દરેક પોતપોતાની ભેટો, એટલે સોનાચાંદીનાં પાત્રો, વસ્ત્રો, શસ્ત્રો, સુગંધીદ્રવ્ય, ઘોડા તથા ખચ્ચરો, વાર્ષિક ખંડણી તરીકે લાવતા હતા.
૨૬
¶ સુલેમાને રથો અને ઘોડેસવારોને એકત્ર કર્યા. તેની પાસે એક હજાર ચારસો રથો અને બાર હજાર ઘોડેસવારો હતા. તેણે તેઓને રથનગરોમાં તથા યરુશાલેમમાં રાજાની પાસે રાખ્યા.
૨૭
રાજાએ યરુશાલેમમાં ચાંદી એટલી બધી વધારી દીધી કે તે પથ્થરને તોલે થઈ પડી. તેણે દેવદારના લાકડાં એટલાં બધાં વધાર્યા કે તે નીચાણના પ્રદેશના ગુલ્લર ઝાડના લાકડાને તોલે થઈ પડ્યાં.
૨૮
¶ સુલેમાન પાસે જે ઘોડા હતા તે મિસરમાંથી લાવવામાં આવેલા હતા. રાજાના વેપારીઓ તેમને જથ્થાબંધ, એટલે દરેક જથ્થાની અમુક કિંમત આપીને રાખતા હતા.
૨૯
એક રથની કિંમત છસો શેકેલ જેટલી હતી. એક ઘોડાની કિંમત એકસો પચાસ ચાંદી જેટલી હતી. એ પ્રમાણેની કિંમત ચૂકવીને એ જ પ્રમાણે મિસરમાંથી ઘોડા ખરીદયા હતા. હિત્તીઓના સર્વ રાજાઓને માટે તથા અરામના રાજાઓને માટે પણ વેપારીઓ તેઓને તે લાવી આપતા હતા.
Settings