Skip to content
1 કરિંથીઓને ૧૧:૧૮-૩૪

1 કરિંથીઓને ૧૧:૧૮-૩૪

૧૮
કેમ કે પ્રથમ, તમે સભામાં એકઠા થાઓ છો, ત્યારે તમારામાં ફાટફૂટ હોવાનું મારા સાંભળવામાં આવે છે. અને કેટલેક અંશે તે ખરું માનું છું.
૧૯
જેઓ પસંદ થયેલા છે તેઓ પ્રગટ થાય એ માટે જરૂરી છે કે તમારામાં મતભેદ પડે.
૨૦
તો તમે એક સ્થાને મળો છો ત્યારે પ્રભુનું ભોજન કરવું એ અશક્ય થઈ પડે છે.
૨૧
કેમ કે ખાવામાં પ્રત્યેક પોતાનું ભોજન કરી લે છે; કોઈ ભૂખ્યો રહે છે તો કોઈ સ્વછંદી બને છે.
૨૨
શું તમારે ખાવા તથા પીવા માટે તમારાં ઘરો નથી? કે શું તમે ઈશ્વરના વિશ્વાસી સમુદાયને ધિક્કારો છો, કે જેઓની પાસે નથી તેઓને શરમાવો છો? હું તમને શું કહું? શું એમાં હું તમને વખાણું? એમાં હું તમારી પ્રશંસા કરતો નથી.
૨૩
કેમ કે જે હું પ્રભુથી પામ્યો તે મેં તમને પણ આપી દીધું, એટલે કે જે રાતે પ્રભુ ઈસુને પરસ્વાધીન કરવામાં આવ્યા, ત્યારે તેમણે રોટલી લીધી,
૨૪
અને સ્તુતિ કરીને ભાંગીને કહ્યું કે, ‘લો ખાઓ, એ મારું શરીર છે, જે તમારે માટે ભાંગવામાં આવ્યું છે, મારી યાદગીરીને સારુ તે કરો.’”
૨૫
એમ જ ભોજન કર્યા પછી, પ્યાલો પણ લઈને કહ્યું કે, ‘આ પ્યાલો મારા રક્તનો નવો કરાર છે; તમે જેટલી વખત તે પીઓ છો, તેટલી વાર મારી યાદગીરીને સારુ તે કરો.’”
૨૬
કેમ કે જેટલી વાર તમે આ રોટલી ખાઓ છો અને આ પ્યાલો પીઓ છો તેટલી વાર તમે પ્રભુના આવતાં સુધી તેમનું મૃત્યુ પ્રગટ કરો છો.
૨૭
માટે જે કોઈ માણસ અયોગ્ય રીતે પ્રભુની રોટલી ખાય, કે તેમનો પ્યાલો પીએ, તે પ્રભુના શરીરનો તથા રક્તનો અપરાધી થશે.
૨૮
પણ દરેકે પોતાની તપાસ કરવી. એમ કરીને રોટલીમાંથી ખાવું અને પ્યાલામાંથી પીવું.
૨૯
કેમ કે પ્રભુના શરીરનો ભેદ જાણ્યાં વગર જે કોઈ અયોગ્ય રીતે ખાય તથા પીએ તે, ખાધાથી તથા પીધાથી પોતાને શિક્ષાને પાત્ર કરે છે.
૩૦
એ કારણથી તમારામાં ઘણાં અબળ તથા રોગી છે; અને ઘણાંએક ઊંઘે છે.
૩૧
પણ જો આપણે પોતાને તપાસીએ, તો આપણા પર ન્યાય કરવામાં નહિ આવે.
૩૨
પણ આપણો ન્યાય કરાય છે, ત્યારે આપણે પ્રભુથી શિક્ષા પામીએ છીએ, જેથી જગતની સાથે આપણને શિક્ષા થાય નહિ.
૩૩
તો મારા ભાઈઓ, તમે ભોજન કરવા એકઠા મળો ત્યારે, એકબીજાની રાહ જુઓ;
૩૪
જો કોઈ ભૂખ્યો હોય, તો તે પોતાના ઘરમાં ખાય, જેથી તમારું એકઠા મળવું શિક્ષાપાત્ર થાય નહિ. હવે જે કંઈ બાકી છે તે હું આવીશ ત્યારે યથાસ્થિત કરીશ.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Options