મુખ્ય સામગ્રી પર જાઓ

યશાયા૫૨

યરુશાલેમને પુનઃસ્થાપના માટેનું આહ્વાન

હે સિયોન, જાગૃત થા, જાગૃત થા, તારા સામર્થ્યથી વેષ્ટિત થા; હે યરુશાલેમ, પવિત્ર નગર, તારાં સુંદર વસ્ત્રો પહેરી લે; કેમ કે હવે પછી બેસુન્નતી તથા અશુદ્ધ કદી તારામાં પ્રવેશ કરશે નહિ.
હે યરુશાલેમ, તારા પરની ધૂળ ખંખેરી નાખ, ઊઠ અને બેસ: હે સિયોનની બંદીવાન દીકરી, તારી ગરદન પરની સાંકળ કાઢી નાખ.
કેમ કે યહોવાહ કહે છે, “તમે મફત વેચાયા હતા અને નાણાં વિના તમે છોડાવી લેવામાં આવશો.”
કેમ કે પ્રભુ યહોવાહ એવું કહે છે, “શરૂઆતમાં મારા લોકો મિસરમાં અસ્થાયી વસવાટ કરવા માટે ગયા હતા; આશ્શૂરે હમણાં જ તેમના ઉપર જુલમ કર્યો.”
આ યહોવાહની ઘોષણા છે: “હવે અહીં મારે શું કરવું, કેમ કે મારા લોકને વિના કારણે લઈ જવામાં આવ્યા છે? તેઓના અધિકારીઓ બૂમ પાડે છે અને મારા નામની સતત આખો દિવસ નિંદા કરે છે.” આ યહોવાહની ઘોષણા છે.
તેથી મારા લોકો મારું નામ જાણશે; તેઓ તે દિવસે જાણશે કે મેં જ આ કહ્યું હતું. હું જ તે છું!”

કેટલાં સુંદર છે પગ

સુવાર્તાનો સંદેશ લાવનારનાં પગલાં પર્વતો પર કેવાં શોભાયમાન છે, જે શાંતિની જાહેરાત કરે છે, જે વધામણીના સમાચાર લાવે છે, જે ઉદ્ધારની વાત જાહેર કરે છે, જે સિયોનને કહે છે, “તારા ઈશ્વર રાજ કરે છે!”
સાંભળ, તારા ચોકીદારો પોકારે છે, તેઓ સાથે હર્ષનાદ કરે છે, કેમ કે યહોવાહ કેવી રીતે સિયોનમાં પાછા આવે છે, તે તેઓ નજરોનજર જોશે.
હે યરુશાલેમનાં ખંડિયેર, તમે સર્વ હર્ષનાદ કરી ગાયન કરો; કેમ કે યહોવાહે પોતાના લોકોને દિલાસો આપ્યો છે; તેમણે યરુશાલેમનો ઉદ્ધાર કર્યો છે.
૧૦
યહોવાહે સર્વ દેશોને જોતાં પોતાનો પવિત્ર ભુજ ઉઘાડો કર્યો છે; આખી પૃથ્વી આપણા ઈશ્વરે કરેલો ઉદ્ધાર નિહાળશે.

પવિત્રતાથી બાબિલમાંથી નીકળી જવાની આજ્ઞા

૧૧
જાઓ, જાઓ ત્યાંથી બહાર જાઓ; કોઈ અશુદ્ધ વસ્તુને અડકશો નહિ; તેઓની મધ્યેથી બહાર જાઓ; તમે જેઓ યહોવાહનાં પાત્રો ઊંચકનારા છો તે, તમે શુદ્ધ થાઓ.
૧૨
કેમ કે તમારે ઉતાવળથી નીકળવાનું નથી કે ગભરાટમાં છોડવાનું નથી; કેમ કે યહોવાહ તમારી આગળ જાય છે; અને ઇઝરાયલના ઈશ્વર તમારા પીઠરક્ષક થશે.

દુઃખી સેવકનો મહિમાવંત ઉન્નતિ

૧૩
જુઓ, મારો સેવક ડહાપણથી વર્તશે અને સફળ થશે; તે ઊંચો અને ઉન્નત થશે, તે અતિ ગૌરવશાળી થશે.
૧૪
જે પ્રમાણે લોકો તને જોઈને ભયભીત થયા - તેનું રૂપ માણસનાં રૂપ કરતા અલગ હતું, તેથી તેનો દેખાવ એવો હતો કે માણસ જ ન લાગે.
૧૫
તેથી ઘણા દેશો તેને જોઈને આશ્ચર્યચકિત થશે; રાજાઓ તેને કારણે પોતાના મુખ બંધ રાખશે. કારણ કે તેઓને જે કહેવામાં આવ્યું નહોતું તે તેઓ જોશે અને જે તેઓએ સાંભળ્યું નહોતું તે તેઓ સમજશે.
Use arrow keys to navigate
Settings

Reading Style

Typeface

Font Size 19px

Reading Width 45 chars

Options