મુખ્ય સામગ્રી પર જાઓ

હિબ્રૂઓને પત્ર

પૃથ્વી પરનું પવિત્રસ્થાન અને તેની મર્યાદાઓ

હવે પહેલા કરારમાં પણ ભજનસેવાના વિધિઓ તથા જગિક પવિત્રસ્થાન પણ હતું ખરું.
કેમ કે મંડપ તૈયાર કરાયેલો હતો, તેના આગળના ભાગમાં દીવી, મેજ તથા અર્પણ કરેલી રોટલી હતી, તે પવિત્રસ્થાન કહેવાતું હતું.
અને પડદાની પાછળ બીજો ભાગ હતો, તે પરમપવિત્રસ્થાન કહેવાતું હતું.
તેમાં સોનાની ધૂપવેદી તથા ચારે તરફ સોનાથી મઢેલી કરારની પેટી હતી, એ પેટીમાં માન્નાથી ભરેલું સોનાનું પાત્ર તથા હારુનની કળી ફૂટેલી લાકડી તથા કરારના શિલાપટ હતા,
અને તે પર ગૌરવી કરુબિમ હતા, તેઓની છાયા દયાસન પર પડતી હતી; હમણાં તેઓ સંબંધી અમારાથી વિગતવાર કહેવાય એમ નથી.
હવે ઉપર દર્શાવ્યાં મુજબ બધું તૈયાર થયા બાદ યાજકો કરાર કોશના આગળના ભાગમાં સેવા કરવાને નિત્ય જાય છે.
પણ બીજા ભાગમાં વર્ષમાં એક જ વાર ફક્ત પ્રમુખ યાજક જતો હતો; પણ તે લોહીનું અર્પણ કર્યા વિના જઈ શકતો ન હતો, જે તે પોતાના માટે તથા લોકોના અપરાધને માટે અર્પણ કરતો હતો.
તેથી પવિત્ર આત્મા એવું જણાવે છે કે જ્યાં સુધી પહેલો મંડપ હજી ઊભો છે ત્યાં સુધી પરમપવિત્રસ્થાનનો માર્ગ ખુલ્લો થયેલો નથી.
વર્તમાનકાળને સારુ તે મંડપ ઉપમારૂપ હતો, જે પ્રમાણે આ પ્રકારનાં અર્પણો તથા બલિદાનો આપવામાં આવ્યા હતાં, ભજન કરનારનું અંતઃકરણ સંપૂર્ણ શુદ્ધ કરવાને અસમર્થ હતાં.
૧૦
તેઓ, ખાવા, પીવા તથા અનેક પ્રકારની સ્નાનક્રિયા સાથે કેવળ શારીરિક વિધિઓ જ હતા, તે સુધારાનો યુગ આવવાના સમય સુધી જ ચાલવાના હતા.

ખ્રિસ્ત સ્વર્ગીય પવિત્રસ્થાનમાં પ્રવેશ્યા

૧૧
ખ્રિસ્ત, હવે પછી થનારી સર્વ બાબતો સંબંધી પ્રમુખ યાજક થઈને, હાથથી તથા પૃથ્વી પરના પદાર્થોથી બનાવેલ નહિ એવા અતિ મહાન તથા અધિક સંપૂર્ણ મંડપમાં થઈને,
૧૨
બકરાના તથા વાછરડાના લોહીથી નહિ, પણ પોતાના જ રક્તથી, માણસોને માટે અનંતકાળિક ઉદ્ધાર મેળવીને તે પરમપવિત્રસ્થાનમાં એક જ વાર ગયા હતા.
૧૩
કેમ કે જો બકરાનું લોહી, ગોધાઓનું લોહી તથા વાછરડીની રાખ, અપવિત્રો પર છાંટવાથી તે શરીરને શુદ્ધ અને પવિત્ર કરે છે,
૧૪
તો ખ્રિસ્ત, જે અનંતકાળિક આત્માથી પોતે ઈશ્વરને દોષ વગરનું અર્પણ થયા, તેમનું રક્ત તમારાં અંતઃકરણને જીવંત ઈશ્વરને ભજવા માટે નિર્જીવ કામો કરતાં કેટલું વિશેષ શુદ્ધ કરશે?

નવા કરાર માટે લોહીની આવશ્યકતા

૧૫
માટે પહેલા કરારના સમયે જે ઉલ્લંઘનો કરવામાં આવ્યા હતાં, તેના ઉદ્ધારને માટે પોતે બલિદાન આપે મરણ આપે અને જેઓને તેડવામાં આવ્યા છે તેઓને અનંતકાળના વારસાનું વચન પ્રાપ્ત થાય માટે તે નવા કરારના મધ્યસ્થ છે.
૧૬
કેમ કે જ્યાં વસિયતનામું છે, ત્યાં વસિયતનામું કરનારનું મૃત્યુ થાય એ જરૂરી છે.
૧૭
કેમ કે વસિયતનામાનો અમલ માણસના મૃત્યુ પછી થાય છે; એ વસિયતનામું કરનાર જીવિત હોય ત્યાં સુધી કદી તે ઉપયોગી હોય ખરું?
૧૮
એ માટે પહેલા કરારની પ્રતિષ્ઠા પણ રક્ત વિના થઈ ન હતી.
૧૯
કેમ કે મૂસાએ નિયમશાસ્ત્ર પ્રમાણે દરેક આજ્ઞા સર્વ લોકોને કહી સંભળાવી પછી, પાણી, કિરમજી ઊન તથા ઝૂફા સહિત વાછરડાનું તથા બકરાનું લોહી લીધું, અને તેને પુસ્તક પર તથા સર્વ લોકો પર પણ છાંટીને કહ્યું કે,
૨૦
‘જે કરાર ઈશ્વરે તમને ઠરાવી આપ્યો છે તેનું રક્ત એ જ છે.
૨૧
તેણે તે જ રીતે મંડપ પર તથા સેવાના સઘળાં પાત્રો પર પણ લોહી છાંટ્યું હતું.
૨૨
નિયમશાસ્ત્ર પ્રમાણે ઘણું કરીને સઘળી વસ્તુઓ રક્તદ્વારા શુદ્ધ કરાય છે અને રક્ત વહેવડાવ્યા વગર પાપની માફી મળતી નથી.

ખ્રિસ્તનું એક જ સંપૂર્ણ બલિદાન

૨૩
સ્વર્ગમાંની વસ્તુઓના નમૂનાનાં પદાર્થોને આવી રીતે શુદ્ધ કરવાની અગત્ય હતી, પણ આકાશી વસ્તુઓને તે કરતાં વધારે સારા બલિદાનોથી શુદ્ધ કરવામાં આવે એવી અગત્ય હતી.

ખ્રિસ્તનું એકવારનું અને સંપૂર્ણ બલિદાન

૨૪
કેમ કે ખ્રિસ્ત હાથે બનાવેલાં પવિત્રસ્થાન કે જે સત્યનો નમૂનો છે તેમાં ગયા નથી, પણ સ્વર્ગમાં જ ગયા છે, એ માટે કે તે હમણાં આપણે માટે ઈશ્વરની સમક્ષ હાજર થાય.
૨૫
જેમ અગાઉ પ્રમુખ યાજક બીજાનું લોહી લઈને દર વર્ષે પરમપવિત્રસ્થાનમાં જતો હતો, તેમ તેને વારંવાર પોતાનું બલિદાન અર્પણ કરવાની જરૂરિયાત રહી નથી.
૨૬
કેમ કે જો એમ હોત, તો સૃષ્ટિના આરંભથી ઘણી વખત તેમને દુઃખ સહન કરવાની જરૂરિયાત ઊભી થાત; પણ હવે છેલ્લાં સમયમાં પોતાના બલિદાનથી પાપને દૂર કરવા માટે તેઓ એક જ વખત પ્રગટ થયા.
૨૭
જેમ માણસોને એક વખત મરવાનું, અને ત્યાર બાદ તેઓનો ન્યાય થાય એવું નિર્માણ થયેલું છે.
૨૮
તેમ ખ્રિસ્તે ઘણાંઓનાં પાપ માથે લેવા માટે એક જ વખત પોતાનું બલિદાન આપ્યું. જેઓ તેમની વાટ જુએ છે તેઓના સંબંધમાં ઉદ્ધારને અર્થે તે બીજી વખત પાપ વગર પ્રગટ થશે.
Use arrow keys to navigate
Settings

Reading Style

Typeface

Font Size 19px

Reading Width 45 chars

Options