સભાશિક્ષક૯
Listen to this chapter
0:00
0:00
૧
¶ એ બાબતમાં મેં જ્યારે કાળજીપૂર્વક તપાસ કરી તો મને જાણવા મળ્યું કે સદાચારીઓ અને જ્ઞાનીઓ તથા તેઓનાં કામ ઈશ્વરના હાથમાં છે. મેં જોયું કે તે પ્રેમ હશે કે ધિક્કાર તે કોઈ પણ જાણતું નથી. બધું તેઓનાં ભાવીમાં છે.
૨
¶ બધી બાબતો સઘળાને સરખી રીતે મળે છે. નેકની તથા દુષ્ટની, સારાંની તથા ખરાબની શુદ્ધની તથા અશુદ્ધની, યજ્ઞ કરનારની તથા યજ્ઞ નહિ કરનારની પરિસ્થિતિ સમાન જ થાય છે. જેવી સજ્જનની સ્થિતિ થાય છે તેવી જ દુર્જનની સ્થિતિ થાય છે. જેવી સમ ખાનારની સ્થિતિ થાય છે તેવી જ સમ ન ખાનારની પણ થાય છે.
૩
¶ સર્વ મનુષ્યોની ગતિ એક જ થવાની છે, એ તો જે બધાં કામ પૃથ્વી પર થાય છે તેઓમાંનો એક અનર્થ છે, વળી માણસોનું અંત:કરણ દુષ્ટતાથી ભરપૂર છે, જ્યાં સુધી તેઓ જીવે છે ત્યાં સુધી તેઓના હૃદયમાં મૂર્ખામી હોય છે, અને તે પછી તેઓ મૃતજનોમાં ભળી જાય છે.
૪
¶ જેનો સંબંધ સર્વ જીવતાઓની સાથે છે તેને આશા છે; કારણ કે જીવતો કૂતરો મૂએલા સિંહ કરતાં સારો છે.
૫
જીવતાઓ જાણે છે કે તેઓ મરવાના છે. પરંતુ મૃત્યુ પામેલાઓ કશું જાણતા નથી. તેઓને હવે પછી કોઈ બદલો મળવાનો નથી. તેઓની સ્મૃતિ પણ નાશ પામે છે.
૬
તેઓનો પ્રેમ, ઈર્ષ્યા, ધિક્કાર, હવે નષ્ટ થયા છે. અને જે કાંઈ હવે દુનિયામાં થાય છે તેમાં તેઓને કોઈ હિસ્સો મળવાનો નથી.
૭
તારે રસ્તે ચાલ્યો જા, આનંદથી તારી રોટલી ખા અને આનંદિત હૃદયથી તારો દ્રાક્ષારસ પી. કેમ કે ઈશ્વર સારાં કામોનો સ્વીકાર કરે છે.
૮
તારાં વસ્ત્રો સદા શ્વેત રાખ. અને તારા માથાને અત્તરની ખોટ કદી પડવા દઈશ નહિ.
૯
¶ દુનિયા પર જે ક્ષણિક જીવન ઈશ્વરે તને આપ્યું છે, તેમાં તારી પત્ની, જેના પર તું પ્રેમ કરે છે, તેની સાથે વ્યર્થતાના સર્વ દિવસો આનંદથી વિતાવ, કારણ કે આ તારી જિંદગીમાં તથા પૃથ્વી પર જે ભારે પરિશ્રમ તું કરે છે તેમાં એ તારો હિસ્સો છે.
૧૦
જે કંઈ કામ તારે હાથ લાગે તે સામર્થ્યથી કર, કારણ કે જે તરફ તું જાય છે તે શેઓલમાં કંઈ પણ કામ, યોજના, જ્ઞાન અથવા બુદ્ધિ નથી.
૧૧
¶ હું પાછો ફર્યો તો પૃથ્વી પર મેં એવું જોયું કે; શરતમાં વેગવાનની જીત થતી નથી. અને યુદ્ધોમાં બળવાનની જીત થતી નથી. વળી, બુદ્ધિમાનને રોટલી મળતી નથી. અને સમજણાને ધન મળતું નથી. તેમ જ ચતુર પુરુષો પર રહેમનજર હોતી નથી. પણ સમય તથા પ્રસંગની અસર સર્વને લાગુ પડે છે.
૧૨
કોઈ પણ મનુષ્ય પોતાનો સમય જાણતો નથી; કેમ કે જેમ માછલાં ક્રૂર જાળમાં સપડાઈ જાય છે, અને જેમ પક્ષીઓ ફાંદામાં ફસાય છે, તેમ જ ખરાબ સમય માણસો ઉપર એકાએક આવી પડે છે, અને તેમને ફસાવે છે.
૧૩
¶ વળી મેં પૃથ્વી પર એક બીજી જ્ઞાનની બાબત જોઈ અને તે મને મોટી લાગી.
૧૪
એક નાનું નગર હતું. તેમાં થોડાં જ માણસો હતાં. એક બળવાન રાજા પોતાના સૈન્ય સાથે નગર પર ચડી આવ્યો. અને તેને ઘેરો ઘાલ્યો. તેની સામે મોટા મોરચા બાંધ્યા.
૧૫
હવે આ નગરમાં એક ખૂબ ગરીબ પણ બુદ્ધિમાન માણસ રહેતો હતો. તે જાણતો હતો કે નગરને કેવી રીતે બચાવવું, પોતાની બુદ્ધિ અને સલાહથી તેણે નગરને બચાવ્યું પણ થોડા સમય પછી સર્વ તેને ભૂલી ગયા.
૧૬
¶ ત્યારે મેં કહ્યું કે, બળ કરતાં બુદ્ધિ ઉત્તમ છે, તેમ છતાં ગરીબ માણસની બુદ્ધિને તુચ્છ ગણવામાં આવે છે, અને તેનું કહેવું કોઈ સાંભળતું નથી.
૧૭
મૂર્ખ સરદારના પોકાર કરતાં, બુદ્ધિમાન માણસનાં છૂપા બોલ વધારે સારા છે.
૧૮
યુદ્ધશસ્ત્રો કરતાં બુદ્ધિ શ્રેષ્ઠ છે; પણ એક પાપી માણસ ઘણી ઉત્તમતાનો નાશ કરે છે.
Use ← → arrow keys to navigate
Settings
Reading Style
Typeface
Font Size px
Options
Study Note