Skip to content

1 શમુએલ૩૧

હવે પલિસ્તીઓએ ઇઝરાયલ વિરુદ્ધ લડાઈ કરી. ઇઝરાયલના માણસો પલિસ્તીઓની સામેથી નાસી ગયા. પણ ગિલ્બોઆ પર્વત ઉપર કતલ થઈને પડ્યા.
પલિસ્તીઓએ શાઉલનો તથા તેના દીકરાઓનો પીછો કર્યો. તેઓએ તેના દીકરાઓ યોનાથાન, અબીનાદાબ તથા માલ્કી-શુઆને મારી નાખ્યા.
શાઉલની વિરુદ્ધ સખત યુદ્ધ મચ્યું અને ધનુર્ધારીઓએ તેને પકડી પાડ્યો. તે તેઓને કારણે તીવ્ર પીડામાં સપડાયો.
પછી શાઉલે પોતાના શસ્ત્રવાહકને કહ્યું, “તારી તલવાર તાણીને મને વીંધી નાખ. નહિ તો, આ બેસુન્નતીઓ આવીને મને વીંધી નાખીને મારું અપમાન કરશે.” પણ તેના શસ્ત્રવાહકે એમ કરવાની ના પાડી, કેમ કે તે ઘણો ગભરાતો હતો. તેથી શાઉલ પોતાની તલવાર લઈને તેની ઉપર પડ્યો.
જયારે શાઉલને મરણ પામેલો જોયો ત્યારે તેનો શસ્ત્રવાહક પણ પોતાની તલવાર ઉપર પડીને તેની સાથે મરણ પામ્યો.
તેથી શાઉલ, તેના ત્રણ દીકરાઓ તથા તેનો શસ્ત્રવાહક તેના સર્વ માણસો તે જ દિવસે એકસાથે મરણ પામ્યા.
જયારે ખીણની સામી બાજુના ઇઝરાયલી માણસો તથા યર્દનની સામેની કિનારીના લોકોએ તે જોયું કે ઇઝરાયલના માણસો નાસવા માંડ્યા છે. અને શાઉલ તથા તેના દીકરાઓ મરણ પામ્યા છે, ત્યારે તેઓ નગરો છોડીને નાસી ગયા. અને પલિસ્તીઓ આવીને તેમાં વસ્યા.
બીજે દિવસે એમ થયું કે, જયારે પલિસ્તીઓ મૃતદેહો પરથી વસ્ત્રો અને અન્ય ચીજો ઉતારી લેવા આવ્યા, ત્યારે તેઓએ શાઉલને તથા તેના ત્રણ દીકરાઓને મૃતાવસ્થામાં ગિલ્બોઆ પર્વત પર પડેલા જોયા.
તેઓએ તેનું માથું કાપી લીધું અને તેનાં શસ્ત્રો ઉતારી લીધા. આ સમાચાર લોકોમાં જાહેર કરવા સારુ પોતાનાં મૂર્તિનાં મંદિરોમાં તથા પલિસ્તીઓના દેશમાં સર્વ ઠેકાણે તેઓએ સંદેશવાહકો મોકલ્યા.
૧૦
તેઓએ તેનાં શસ્ત્રો દેવી આશ્તારોથના મંદિરમાં મૂકયાં અને શાઉલના મૃતદેહને બેથ-શાનના કોટ પર જડી દીધો.
૧૧
પલિસ્તીઓએ શાઉલના જે હાલ કર્યા હતા તે વિષે જયારે યાબેશ ગિલ્યાદના રહેવાસીઓએ સાંભળ્યું,
૧૨
ત્યારે સઘળા બહાદુર પુરુષો ઊઠીને આખી રાત ચાલ્યા અને બેથ-શાનના કોટ પરથી શાઉલના મૃતદેહને તથા તેના દીકરાઓના મૃતદેહને તેઓ યાબેશમાં લઈ આવ્યા. ત્યાં તેઓએ તેને અગ્નિદાહ દીધો.
૧૩
પછી તેઓએ તેનાં હાડકાં લઈને યાબેશ નગરમાંના એશેલ વૃક્ષ નીચે દફનાવ્યાં અને સાત દિવસ સુધી ઉપવાસ કર્યો.
Use arrow keys to navigate
Settings

Reading Style

Typeface

Font Size 19px

Options