Skip to content
ન્યાયાધીશો ૬:૩૩-૪૦

ન્યાયાધીશો ૬:૩૩-૪૦

૩૩
ત્યારે સર્વ મિદ્યાનીઓ, અમાલેકીઓ તથા પૂર્વ તરફના લોકો એકત્ર થયા. તેઓએ પેલે પાર જઈને યિઝ્રએલની ખીણમાં છાવણી કરી.
૩૪
પણ ઈશ્વરનો આત્મા ગિદિયોન પર આવ્યો તેણે રણશિગડું વગાડ્યું. તેથી અબીએઝેરના માણસો તેની પાછળ જવાને એકત્ર થયા.
૩૫
તેણે મનાશ્શામાં સર્વત્ર સંદેશવાહકો મોકલ્યા અને તેઓ પણ તેની પાછળ એકત્ર થયા. તેણે આશેરમાં, ઝબુલોનમાં તથા નફતાલીમાં સંદેશવાહકો મોકલ્યા અને તેઓ તેને મળવા સામા ગયા.
૩૬
ગિદિયોને ઈશ્વરને કહ્યું, “જો તમે, તમારા કહેવા મુજબ, મારે હાથે ઇઝરાયલને બચાવવાના હોય,
૩૭
તો જુઓ, હું ખળીમાં ઊન મૂકીશ. જો એકલા ઊન પર ફક્ત ઝાકળ પડે અને બાકીની ભૂમિ સૂકી રહે, તો હું જાણીશ કે તમે, તમારા કહેવા મુજબ, મારે હાથે ઇઝરાયલને બચાવવાના છો.”
૩૮
બીજે દિવસે વહેલી સવારે ગિદિયોને ઊઠીને ઊન દબાવ્યું, ત્યારે તે જ પ્રમાણે થયું, ઊનને નિચોવતાં એક વાટકો ભરાય તેટલું ઝાકળનું પાણી નીકળ્યું.
૩૯
પછી ફરીથી ગિદિયોને ઈશ્વરને કહ્યું, “તમારો કોપ મારા પર ન સળગાવો, હું માત્ર હજુ એકવાર બોલીશ, હવે કૃપા કરીને એક જ વખત મને ઊનથી ખાતરી કરવા દો, હવે એકલું ઊન કોરું રહે અને બાકીની ભૂમિ પર ફક્ત ઝાકળ પડે.”
૪૦
તે રાત્રે તેણે જેવું માગ્યું તેવું ઈશ્વરે કર્યું. કેમ કે એકલું ઊન કોરું હતું અને બાકીની જમીન પર ફક્ત ઝાકળ હતું.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Options