Skip to content
યહોશુઆ ૮:૧૮-૨૯

યહોશુઆ ૮:૧૮-૨૯

૧૮
યહોવાહે યહોશુઆને કહ્યું, “તારા હાથમાંનો ભાલો આય તરફ લાંબો કર. કેમ કે હું આયને તારા હાથમાં સોંપીશ.” યહોશુઆએ પોતાના હાથમાં જે ભાલો હતો તે નગર તરફ લાંબો કર્યો.
૧૯
જયારે તેણે પોતાનો હાથ લાંબો કર્યો ત્યારે સંતાઈ રહેલા સૈનિકો ઝડપથી તેમની જગ્યાએથી બહાર ધસી આવ્યા. તેઓએ દોડીને નગરમાં પ્રવેશ કર્યો અને તેને કબજે કર્યું. તેઓએ ઝડપથી નગરને આગ લગાડી.
૨૦
આયના માણસો પાછા વળ્યા. અને તેઓએ જોયું કે નગરનો ધુમાડો આકાશ પર ચઢતો હતો. તેઓને માટે બચવાનો કોઈ માર્ગ રહ્યો નહિ. કેમ કે જે સૈનિકો અરણ્ય તરફ નાસી ગયા હતા તેઓ હવે તેમની પાછળ પડનારાઓનો સામનો કરવા પાછા આવ્યા હતા.
૨૧
જયારે યહોશુઆએ અને સર્વ ઇઝરાયલે જોયું કે, હુમલો કરનાર ટુકડીઓએ નગરને કબજે કરીને સળગાવ્યું છે ત્યારે તેઓ પાછા આવ્યા અને તેઓએ આયના માણસોને મારી નાખ્યાં.
૨૨
ઇઝરાયલના બીજા સૈનિકો જેઓ નગરમાં હતા તેઓ પણ હુમલો કરવાને બહાર નીકળી આવ્યા. તેથી આયના માણસો, કેટલાક આ બાજુ અને કેટલાક પેલી બાજુ એમ ઇઝરાયલની સેના વચ્ચે સપડાયા. ઇઝરાયલે તેમની પર હુમલો કર્યો અને તેઓમાંના કોઈને પણ બચી કે નાસી જવા દીધા નહિ.
૨૩
તેઓએ આયના રાજાને પકડયો અને તેને જીવતો રહેવા દઈને યહોશુઆ પાસે લાવ્યા.
૨૪
એમ થયું કે, અરણ્યની નજીકની જગ્યામાં જ્યાં તેઓ તેમની પાછળ પડયા હતા ત્યાં ઇઝરાયલીઓએ પાછા ફરીને તેઓમાંના સર્વને, એટલે, આયના સઘળાં રહેવાસીઓને મારી નાખ્યા. તેઓનો તલવારની ધારથી નાશ કર્યો.
૨૫
તે દિવસે આયના સર્વ લોકો પુરુષો અને સ્ત્રીઓ થઈને બાર હજાર માણસો મરણ પામ્યા.
૨૬
યહોશુઆએ જ્યાં સુધી આયના સર્વ લોકોનો સંપૂર્ણ નાશ ન થયો ત્યાં સુધી જે હાથથી તેણે ભાલો લાંબો કરી રાખ્યો હતો, તેને પાછો ખેંચી લીધો નહિ.
૨૭
જે આજ્ઞા યહોવાહે યહોશુઆને આપી હતી, તે પ્રમાણે માત્ર ઇઝરાયલીઓએ પોતાના માટે નગરનાં પશુઓ અને માલ મિલકતની લૂંટ કરી.
૨૮
અને યહોશુઆએ આયને બાળી નાખીને તેનો સદાને માટે વિનાશનો ઢગ કરી દીધો. તે સ્થાન આજ દિવસ સુધી વેરાન રહેલું છે.
૨૯
તેણે આયના રાજાને સાંજ સુધી ઝાડ પર લટકાવી રાખ્યો. જયારે સૂર્ય આથમતો હતો ત્યારે યહોશુઆએ તેઓને આજ્ઞા આપી. તેથી તેઓ રાજાનું શબ ઝાડ ઉપરથી ઉતારી લાવ્યા અને નગરના દરવાજાની આગળ નાખ્યું. તેના ઉપર તેઓએ પથ્થરનો મોટો ઢગલો કર્યો. તે આજ દિવસ સુધી છે.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Options