યર્મિયા ૨૬:૧-૧૫
૧
¶ યહૂદિયાના રાજા યોશિયાના દીકરા યહોયાકીમની કારકિર્દીની શરૂઆતમાં આ વચન યહોવાહ પાસેથી આવ્યું.
૨
યહોવાહ આ પ્રમાણે કહે છે કે; તું યહોવાહના સભાસ્થાનના આંગણામાં ઊભા રહીને યહૂદિયાના સર્વ નગરોમાંથી જે લોકો ઘરમાં ભજન કરવા આવે છે, તેઓની આગળ જે વચનો મેં તને કહેવા કહ્યું છે તે સર્વ બોલ. તેમાંનો એક પણ શબ્દ ભૂલ્યા વગર પૂરેપૂરું કહેજે!
૩
કદાચ તેઓ તે સાંભળે અને પોતાના દુષ્ટ માર્ગોથી પાછા ફરે અને તેઓનાં દુષ્ટ કાર્યોને લીધે જે શિક્ષા હું તેઓને આપવાનો વિચાર કરું છું. તે હું તેઓ પર ન મોકલું.
૪
¶ વળી તું તેઓને કહેજે, યહોવાહ કહે છે કે, મારું નિયમશાસ્ત્ર મેં તમારી આગળ મૂક્યું છે તે મુજબ ચાલવાને,
૫
મારા સેવકો, પ્રબોધકો જેઓને હું આગ્રહથી તમારી પાસે મોકલું છું તેઓના વચનો તમે સાંભળશો નહિ,
૬
તો આ ભક્તિસ્થાનના હું શીલો જેવા હાલ કરીશ; અને પૃથ્વીની સર્વ પ્રજાઓની નજરમાં હું નગરને શાપિત કરીશ.’”
૭
¶ યાજકો, પ્રબોધકો અને સર્વ લોકોએ યર્મિયાને યહોવાહના ઘરમાં આ વચનો બોલતો સાંભળ્યો.
૮
યહોવાહે સર્વ લોકની આગળ યર્મિયાને જે પ્રમાણે બોલવાની આજ્ઞા આપી હતી તે સર્વ મુજબ કહેવાનું યર્મિયાએ જ્યારે પૂરું કર્યુ કે તરત જ યાજકોએ, પ્રબોધકોએ અને બધા લોકોએ, તેને પકડ્યો અને કહ્યું, “તું જરૂર મૃત્યુ પામીશ!
૯
તેં શા માટે યહોવાહના નામે એવી ભવિષ્યવાણી ઉચ્ચારી કે, આ સભાસ્થાનની હાલત શીલો જેવી થશે અને આ શહેર વેરાન અને વસ્તી વગરનું થઈ જશે?” પછી સર્વ લોકો યહોવાહના ઘરમાં યર્મિયાની પાસે એકઠા થયા.
૧૦
¶ આ સાંભળીને યહૂદિયાના ઉચ્ચ અધિકારીઓ રાજાના મહેલમાંથી મંદિરમાં પહોંચી ગયા અને યહોવાહના ભક્તિસ્થાનના નવા પ્રવેશદ્વાર આગળ બેસી ગયા.
૧૧
પછી યાજકોએ અને પ્રબોધકોએ, અધિકારીઓને અને સર્વ લોકોને કહ્યું કે, “આ માણસને મૃત્યુદંડની સજા થવી જોઈએ, કેમ કે તેણે આ નગરની વિરુદ્ધ ભવિષ્યવાણી ઉચ્ચારી છે જેમ તમે બધાએ તમારા પોતાના કાને સાંભળી છે!”
૧૨
ત્યારે યર્મિયાએ સર્વ અધિકારીઓને અને સર્વ લોકોને કહ્યું કે, “આ નગર તથા સભાસ્થાનની વિરુદ્ધ ભવિષ્યવાણી જે તમે સાંભળી છે તે કહેવા માટે યહોવાહે મને મોકલ્યો છે.
૧૩
¶ માટે હવે, તમારાં આચરણ અને કૃત્યો સુધારો અને તમારા ઈશ્વર યહોવાહનું કહ્યું સાંભળો, તો કદાચ તમારા પર જે વિપત્તિ લાવવા યહોવાહ બોલ્યા છે તે વિષે તેઓ પશ્ચાતાપ કરે.
૧૪
પણ જુઓ, હું તો તમારા હાથમાં છું. તમને જે યોગ્ય અને સારું લાગે તે મને કરો.
૧૫
પણ એટલું ખાતરીથી માનજો કે જો તમે મને મારી નાખશો, તો તમે આ નગર અને તેના બધા વતનીઓ એક નિર્દોષ માણસના પ્રાણ લેવાના બદલ અપરાધી ઠરશો. કેમ કે ખરેખર યહોવાહે મને આ બધું તમને કહી સંભળાવવા મોકલ્યો છે.”
Settings