યશાયા ૬૩:૭-૧૪
૭
હું યહોવાહનાં કૃપાનાં કાર્ય વિષે કહીશ, જે સ્તુતિયોગ્ય કાર્યો યહોવાહે કર્યા છે તે જણાવીશ. યહોવાહે આપણા માટે શું કર્યું છે અને ઇઝરાયલનાં ઘર પર જે મહાન ભલાઈ કરી છે તે વિષે હું કહીશ. આ દયા તેમણે આપણને તેમની કૃપાને કારણે બતાવી છે અને તે કૃપાનું કાર્ય છે.
૮
કેમ કે તેમણે કહ્યું, “ખરેખર તેઓ મારા લોકો છે, કપટ ન કરે એવાં છોકરાં છે.” તે તેઓના ઉદ્ધારક થયા.
૯
તેઓના સર્વ દુઃખોમાં તે દુઃખી થયા અને તેમની હજૂરના દૂતે તેઓનો ઉદ્ધાર કર્યો. પ્રભુએ પોતાના પ્રેમમાં અને પોતાની દયાથી તેઓનો ઉદ્ધાર કર્યો અને પુરાતન કાળના સર્વ દિવસોમાં તેમણે તેઓને ઊંચકીને ફેરવ્યા.
૧૦
પણ તેઓએ બંડ કરીને તેમના પવિત્ર આત્માને ખિન્ન કર્યો. તેથી તે પોતે તેમના શત્રુ થઈને તેઓની સામે લડ્યા.
૧૧
તેમના લોકોએ મૂસાના પુરાતન સમયનું સ્મરણ કર્યું. તેઓએ કહ્યું, “સમુદ્રમાંથી જે અમોને પોતાના ટોળાંના પાળક સહિત ઉપર લાવ્યા તે ઈશ્વર ક્યાં છે? જેમણે અમારામાં પોતાનો પવિત્ર આત્મા મૂક્યો, તે ઈશ્વર ક્યાં છે?
૧૨
જેમણે મૂસાને જમણે હાથે પોતાનું ગૌરવી સામર્થ્ય મોકલ્યું, અને પોતાનું નામ અનંતકાળને માટે કરવાને તેમણે અમારી આગળ સમુદ્રના પાણીના બે ભાગ કર્યા, તે ઈશ્વર ક્યાં છે?
૧૩
જેમણે અમને જાણે મેદાન પર ઘોડો ચાલતો હોય તેમ ઊંડાણમાં એવી રીતે ચલાવ્યા કે અમે ઠોકર ખાધી નહિ, તે ઈશ્વર ક્યાં છે?
૧૪
ખીણમાં ઊતરી જનારાં જાનવરની જેમ તેઓ યહોવાહના આત્માથી વિશ્રામ પામ્યા; તે પ્રમાણે તમે પોતાને માટે મહિમાવંત નામ કરવાને માટે તમારા લોકોને દોર્યા.
Settings