Skip to content
યશાયા ૬૩:૧-૬

યશાયા ૬૩:૧-૬

આ જે અદોમથી, બોસરાથી કિરમજી રંગનાં વસ્ત્ર પહેરીને આવે છે તે કોણ છે? આ રાજકીય પોશાકમાં, પોતાના પુષ્કળ સામર્થ્યમાં વિશ્વાસથી કૂચ કરીને કોણ આવે છે? એ તો હું, ન્યાયીપણાથી બોલનાર અને ઉદ્ધારવાને શક્તિમાન, તે હું છું.
તારા પોશાક કેમ લાલ છે, તારાં વસ્ત્ર દ્રાક્ષચક્કીમાં દ્રાક્ષા ખૂંદનારનાં વસ્ત્ર જેવાં કેમ થયાં છે?
મેં એકલાએ દ્રાક્ષકુંડમાં દ્રાક્ષ ખૂંદી છે અને લોકોમાંથી કોઈ માણસ મારી સાથે નહોતો. મેં મારા રોષમાં તેઓને ખૂંદી અને મારા કોપમાં તેઓને છૂંદી નાખી. તેઓનું રક્ત મારા વસ્ત્ર પર છંટાયું અને તેથી મારા તમામ પોશાક પર ડાઘ પડ્યા છે.
કેમ કે હું વેરના દિવસનો વિચાર કરતો હતો અને મારા છુટકારાનું વર્ષ આવી પહોંચ્યું છે.
મેં જોયું અને ત્યાં સહાય કરનાર કોઈ નહોતો. કોઈ મદદ કરનાર નહોતો એથી હું વિસ્મય પામ્યો, પણ મારો પોતાનો ભુજ મારા માટે વિજય લાવ્યો અને મારા કોપે મને ટેકો આપ્યો.
મેં મારા રોષમાં લોકોને છૂંદી નાખ્યા અને મારા કોપમાં તેમને પીવડાવીને ભાન ભૂલેલા કર્યા, અને મેં તેઓનું રક્ત ભૂમિ પર રેડી દીધું.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Options