Skip to content
યશાયા ૫:૮-૨૫

યશાયા ૫:૮-૨૫

પોતે દેશમાં એકલા રહેનારા થાય ત્યાં સુધી, જેઓ ઘર સાથે ઘર જોડી દે છે અને ખેતર સાથે ખેતર જોડે છે, તેમને અફસોસ!
સૈન્યોના ઈશ્વરે મને કહ્યું, ઘણા ઘરો પાયમાલ થશે, હા, મોટાં અને પ્રભાવશાળી ઘરો, વસ્તી વિનાનાં થઈ જશે.
૧૦
કેમ કે દશ એકરની દ્રાક્ષવાડીમાં એક બાથની ઊપજ થશે અને એક ઓમેર બીજમાંથી એક એફાહ અનાજ ઊપજશે.
૧૧
જેઓ પીવા માટે સવારમાં વહેલા ઊઠે છે; જેઓ દ્રાક્ષારસ પીને મસ્ત બને ત્યાં સુધી રાત્રે મોડે સુધી જાગનારાઓને અફસોસ છે!
૧૨
તેઓની ઉજવણીઓમાં સિતાર, વીણા, ખંજરી, વાંસળી, અને દ્રાક્ષારસ છે, પણ તેઓ યહોવાહ જે કામ કરે છે તે પર લક્ષ આપતા નથી અને યહોવાહના હાથનાં કાર્યો તેઓ ધ્યાનમાં લેતા નથી.
૧૩
તેથી મારા લોકો અજ્ઞાનતાને લીધે બંદીવાસમાં ગયા છે; તેઓના આગેવાનો ભૂખ્યા થયા છે અને તેઓના સામાન્ય લોકો પાસે પીવા માટે કંઈ જ નથી.
૧૪
તેથી મૃત્યુએ અધિક તૃષ્ણા રાખીને પોતાનું મુખ અત્યંત પહોળું કર્યુ છે; તેઓના પસંદ કરાયેલા લોકો, તેઓના આગેવાનો, સામાન્ય લોકો અને તેઓમાં મોજ માણનાર તેમાં ઊતરી જાય છે.
૧૫
માણસ નમી જાય છે અને મોટા માણસો દીન બની જાય છે તથા ગર્વિષ્ઠની દૃષ્ટિ નીચી કરવામાં આવશે.
૧૬
પણ સૈન્યોના યહોવાહ તેમના ન્યાયને લીધે મોટા મનાય છે અને ઈશ્વર જે પવિત્ર છે તે ન્યાયથી પવિત્ર મનાય છે.
૧૭
ઘેટાં જાણે પોતાના બીડમાં ચરતાં હોય તેમ ચરશે અને ધનાઢ્યોના પાયમાલ થયેલાં સ્થાને, પારકાં લોકો ખાઈ જશે.
૧૮
જેઓ અન્યાયને વ્યર્થતાની દોરીઓથી અને પાપને ગાડાના દોરડાથી તાણે છે તેઓને અફસોસ;
૧૯
જેઓ કહે છે, “ઈશ્વરને ઉતાવળ કરવા દો, તેમને કામ જલદી કરવા દો, કે જેથી અમે તે જોઈ શકીએ; અને ઇઝરાયલના પવિત્રની યોજના અમલમાં આવે, જેથી અમે તે જાણી શકીએ.”
૨૦
જેઓ ખોટાને સારું અને સારાને ખોટું કહે છે; જેઓ અજવાળાંને સ્થાને અંધકાર અને અંધકારને સ્થાને અજવાળું ઠરાવે છે; જેઓ કડવાને સ્થાને મીઠું અને મીઠાનું કડવું ઠરાવે છે તેઓને અફસોસ!
૨૧
જેઓ પોતાની દૃષ્ટિમાં બુદ્ધિમાન અને પોતાની નજરમાં ડાહ્યા છે, તેઓને અફસોસ!
૨૨
જેઓ દ્રાક્ષારસ પીવામાં શૂરા અને દારૂ મિશ્રિત કરવામાં કુશળ છે તેઓને અફસોસ!
૨૩
તેઓ લાંચ લઈને દુષ્ટને નિર્દોષ ઠરાવે છે અને ન્યાયીનું ન્યાયીપણું છીનવી લે છે!
૨૪
તેથી જેમ અગ્નિની જીભ ઠૂંઠાને સ્વાહા કરી જાય છે; અને સૂકું ઘાસ ભડકામાં બળી જાય છે, તેમ તેઓનાં મૂળ સડી જશે અને તેઓના મોર ધૂળની જેમ ઊડી જશે; કેમ કે તેઓએ સૈન્યોના યહોવાહના નિયમ તજ્યા છે અને ઇઝરાયલના પવિત્રના વચનનો અનાદર કર્યો છે.
૨૫
તેથી યહોવાહનો કોપ પોતાના લોકો વિરુદ્ધ સળગ્યો છે અને તેઓના પર યહોવાહે હાથ ઉગામીને તેમને સજા કરી છે; પર્વતો ધ્રૂજ્યા અને લોકોના મૃત દેહ ગલીઓમાં કચરાની જેમ પડ્યા છે. તેમ છતાં, તેમનો ક્રોધ શાંત થયો નથી, પણ તેમનો હાથ હજી ઉગામેલો જ છે.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Reading Width 45 chars

Options