Skip to content
યશાયા ૨૧:૧-૯

યશાયા ૨૧:૧-૯

સમુદ્ર પાસેના અરણ્ય વિષે ઈશ્વરવાણી. નેગેબ તરફથી વંટોળિયાના સુસવાટાની જેમ આપત્તિ અરણ્યમાંથી, બિહામણા દેશમાંથી, આવે છે.
મને એક દુઃખદાયી દર્શન દેખાડવામાં આવ્યું: ઠગ ઠગે છે, અને વિનાશ કરનાર વિનાશ કરે છે. હે એલામ, ચઢાઈ કર; હે માદાય ઘેરો નાખ; મેં તેના સર્વ નિસાસાને બંધ કર્યો છે.
તેથી મારી કમર પીડાથી ભરેલી છે; પ્રસૂતાની વેદના જેવી પીડા મારા પર આવી પડી છે; મેં જે સાંભળ્યું છે તેનાથી હું નીચો વળી ગયો છું; મેં જે જોયું છે તેનાથી હું વ્યાકુળ છું.
મારું હૃદય વ્યાકુળ થયું છે; ભયથી હું ત્રાસ પામ્યો છું; જે રાત હું ઇચ્છતો હતો તે મારા માટે ધ્રૂજારીમાં ફેરવાઈ ગઈ છે.
તેઓ મેજ તૈયાર કરે છે, જાજમ પાથરે છે અને ખાય છે પીએ છે; ઊઠો, સરદારો, ઢાલોને તેલ ચોપડો.
કેમ કે પ્રભુએ મને એમ કહ્યું કે: “જા, ચોકીદાર ઊભો રાખ; તે જે કંઈ જુએ તેની તે ખબર આપે.
જો તે રથને, બબ્બે સાથે ચાલનાર ઘોડેસવારોને જુએ, ગધેડા અને ઊંટ પરના સવારોને જુએ, ત્યારે તે ખૂબ ધ્યાન રાખે અને ખૂબ સાવચેત રહે.”
પછી ચોકીદારે પોકાર કર્યો, “હે પ્રભુ, હું દિવસે નિરંતર પહેરાના બુરજ ઉપર ઊભો રહું છું, આખી રાત હું મારી ચોકીની જગાએ ઊભો રહું છું.”
જુઓ, આ મનુષ્યોની સવારી, બબ્બે સાથે ચાલનાર ઘોડેસવારો આવે છે. તેણે ઉત્તરમાં કહ્યું, “બાબિલ પડ્યુ છે, પડ્યું છે, તેના દેવોની સર્વ કોરેલી મૂર્તિઓને તેણે ભાંગી નાખીને જમીનદોસ્ત કરી છે.”
Settings

Reading Style

Typeface

Font Size 19px

Options