ઊત્પત્તિ ૩૨:૨૨-૩૦
૨૨
¶ યાકૂબ રાત્રે ઊઠ્યો અને તેણે તેની બે પત્નીઓ, તેઓની બે દાસીઓ તથા તેના અગિયાર દીકરાઓને લીધા અને યાબ્બોકના નદીની પાર મોકલ્યા.
૨૩
આ રીતે તેણે તેઓને તેની સઘળી સંપત્તિ સાથે નદીની પાર પહોંચાડી દીધા.
૨૪
¶ યાકૂબ એકલો રહી ગયો અને સવાર થતાં સુધી એક પુરુષે તેની સાથે મલયુદ્ધ કર્યું.
૨૫
જયારે તે માણસે જોયું કે તે તેને હરાવી શક્યો નથી ત્યારે તેણે તેની જાંઘના સાંધા પર પ્રહાર કર્યો અને તેની સાથે મલયુદ્ધ કરતાં કરતાં યાકૂબની જાંઘનો સાંધો ખસી ગયો.
૨૬
તે માણસે કહ્યું, “સવાર થઈ છે માટે મને જવા દે.” યાકૂબે કહ્યું, “તું મને આશીર્વાદ નહિ આપે ત્યાં સુધી હું તને જવા દઈશ નહિ.”
૨૭
¶ તે માણસે તેને પૂછ્યું, “તારું નામ શું છે? “યાકૂબે કહ્યું, “યાકૂબ.”
૨૮
તે માણસે કહ્યું, “હવેથી તારું નામ યાકૂબ નહિ, પણ ઇઝરાયલ કહેવાશે. કેમ કે ઈશ્વરની તથા માણસોની સાથે તેં સંઘર્ષ કર્યો છે અને તું જય પામ્યો છે.”
૨૯
¶ યાકૂબે તેને પૂછ્યું, “કૃપા કરી તું તારું નામ મને કહે.” તેણે કહ્યું, “મારું નામ તું શા માટે પૂછે છે?” પછી તેણે તેને આશીર્વાદ આપ્યો.
૩૦
યાકૂબે તે જગ્યાનું નામ પનીએલ પાડ્યું, કેમ કે તેણે કહ્યું, “મેં ઈશ્વરને મુખોમુખ જોયા છે તોપણ મારો જીવ બચી ગયો છે.”
Settings