દારિયેલ ૧૦:૧-૧૦
૧
¶ ઇરાનના રાજા કોરેશના શાસનકાળના ત્રીજા વર્ષે દાનિયેલ જેનું નામ બેલ્ટશાસ્સાર હતું તેને સંદેશ પ્રગટ કરવામાં આવ્યો, આ સંદેશો સત્ય હતો. તે એક મહાન યુદ્ધ વિષેનો હતો. દાનિયેલ જ્યારે સંદર્શનમાં હતો ત્યારે તેણે તે સંદેશો સમજી લીધો.
૨
¶ તે દિવસોમાં, હું દાનિયેલ ત્રણ અઠવાડિયાંનો શોક પાળતો હતો.
૩
ત્રણ અઠવાડિયાં પૂરાં થતાં સુધી મેં ભોજન કર્યું નહિ, મેં માંસ ખાધું નહિ, મેં દ્રાક્ષારસ પીધો નહિ અને મેં તેલથી પોતાનો અભિષેક કર્યો નહિ.
૪
¶ પહેલા મહિનાના ચોવીસમા દિવસે, હું મહાનદી એટલે કે, હિદેકેલ તીગ્રિસ નદીને કિનારે હતો,
૫
મેં નજર ઊંચી કરીને જોયું, તો જુઓ એક માણસ શણનાં વસ્ત્ર પહેરીને ઊભો હતો, તેની કમરે ઉફાઝનો શુદ્ધ સોનાનો પટ્ટો બાંધેલો હતો.
૬
તેનું શરીર પોખરાજના જેવું હતું, તેનો ચહેરો વીજળીના જેવો હતો. તેની આંખો બળતી મશાલ જેવી હતી. તેના હાથ અને પગ પિત્તળના જેવા હતા. તેના શબ્દોનો અવાજ મોટા ટોળાંના અવાજ જેવો હતો.
૭
¶ મેં દાનિયેલે એકલાએ જ તે સંદર્શન જોયું, મારી સાથેના માણસોએ તે સંદર્શન જોયું નહિ. પણ, તેમના પર મોટો ત્રાસ આવ્યો, તેઓ નાસીને સંતાઈ ગયા.
૮
હું એકલો રહી ગયો અને આ મહાન સંદર્શન જોયું. મારામાં સામર્થ્ય રહી નહિ; ભયથી મારો દેખાવ ફિક્કો પડી ગયો, હું શક્તિહીન થઈ ગયો.
૯
ત્યારે મેં તેમના શબ્દો સાંભળ્યા, તેમને સાંભળતાં જ હું ભરનિદ્રામાં જમીન પર ઊંધો પડી ગયો.
૧૦
¶ ત્યારે એક હાથે મને સ્પર્શ કર્યો, તેણે મને મારાં ઘૂંટણો તથા મારા હાથની હથેળીઓ પર ટેકવ્યો.
Settings