2 શમુએલ ૧૨:૧૫-૨૨
૧૫
પછી નાથાન ત્યાંથી પોતાના ઘરે ગયો. ઈશ્વરે દાઉદથી ઉરિયાની પત્નીને જે બાળક જનમ્યું તેને રોગિષ્ઠ કર્યું, તે ઘણું બીમાર હતું.
૧૬
¶ દાઉદે તે બાળકને માટે ઈશ્વરની આગળ વિનંતી કરી. દાઉદે ઉપવાસ કર્યો અને મહેલમાં જઈને આખી રાત જમીન ઉપર પડી રહ્યો.
૧૭
તેને જમીન પરથી ઉઠાડવા માટે તેના ઘરના વડીલો તેની પાસે આવીને ઊભા રહ્યા, પણ તે ઊઠ્યો નહિ, તેણે તેઓની સાથે કશું ખાધું પણ નહિ.
૧૮
સાતમે દિવસે એમ થયું કે, તે બાળક મરણ પામ્યું. હવે એ બાળક મરણ પામ્યું છે એવું તેને કહેતાં દાઉદના ચાકરો ગભરાયા, કેમ કે તેઓએ કહ્યું કે, “જુઓ, જયારે બાળક જીવતું હતું ત્યારે અમે તેની સાથે વાત કરતા હતા પણ તે અમારી વાત સાંભળતો ન હતો. પણ હવે જો અમે તેને કહીએ કે, બાળક મરી ગયું છે, તો તે પોતાને શું કરશે?!”
૧૯
¶ પણ જયારે દાઉદે જોયું કે તેના દાસો ભેગા મળીને એકબીજાના કાનમાં વાતો કરે છે, ત્યારે દાઉદને લાગ્યું કે બાળક મરી ગયું છે. તેણે તેઓને પૂછ્યું કે, “શું બાળક મરી ગયું છે?” તેઓએ જવાબ આપ્યો કે, “હા તે મરી ગયું છે.”
૨૦
પછી દાઉદ જમીન પરથી ઊઠ્યો. અને સ્નાન કરીને પોતાને અંગે અત્તર લગાવ્યું, પોતાનાં વસ્ત્રો બદલ્યાં. ઈશ્વરના મંડપમાં જઈને તેણે ભજન કર્યું, પછી તે પોતાના મહેલમાં પાછો આવ્યો. તેણે ભોજન માગ્યું ત્યારે તેઓએ તેને ભોજન પીરસ્યું અને તે જમ્યો.
૨૧
¶ પછી તેના ચાકરોએ તેને કહ્યું કે, “શા માટે તેં આમ કર્યું? જ્યાં સુધી બાળક જીવતું હતું ત્યારે તું ઉપવાસ તથા વિલાપ કરતો હતો, પણ જયારે બાળક મરી ગયું ત્યારે તેં ઊઠીને ખોરાક ખાધો?
૨૨
દાઉદે જવાબ આપ્યો, “જ્યાં સુધી બાળક જીવતું હતું ત્યાં સુધી હું ઉપવાસ તથા વિલાપ કરતો હતો. મેં કહ્યું કે, “કોણ જાણે છે કે, ઈશ્વર મારા પર કૃપા કરીને બાળકને જીવતું રહેવા દે?
Settings