Skip to content
2 રાજઓ ૯:૧૪-૨૯

2 રાજઓ ૯:૧૪-૨૯

૧૪
આ રીતે નિમ્શીના દીકરા યહોશાફાટના દીકરા યેહૂએ યોરામ સામે બળવો કર્યો. હવે યોરામ અને સર્વ ઇઝરાયલ અરામના રાજા હઝાએલના કારણથી રામોથ ગિલ્યાદનો બચાવ કરતા હતા.
૧૫
પણ યોરામ રાજા તો અરામના રાજા હઝાએલ સામે યુદ્ધ કરતો હતો, ત્યારે અરામીઓએ જે ઘા કર્યા હતા તેથી સાજો થવા માટે યિઝ્રએલ પાછો આવ્યો હતો. યેહૂએ યોરામના ચાકરોને કહ્યું, “જો તમારું મન એવું હોય, તો યિઝ્રએલમાં ખબર આપવા જવા માટે કોઈને નાસીને નગરમાંથી બહાર જવા દેશો નહિ.”
૧૬
માટે યેહૂ પોતાના રથમાં બેસીને યિઝ્રએલ જવા નીકળ્યો, કેમ કે, યોરામ ત્યાં આરામ કરતો હતો. હવે યહૂદિયાનો રાજા અહાઝયાહ યોરામને જોવા માટે ત્યાં આવ્યો હતો.
૧૭
યિઝ્રએલના બુરજ પર ચોકીદાર ઊભો હતો, તેણે ઘણે દૂરથી યેહૂની ટોળીને આવતી જોઈને કહ્યું, “હું માણસોના ટોળાને આવતું જોઉં છું.” યોરામે કહ્યું, “એક ઘોડેસવારને તેઓને મળવા મોકલ. અને તે પૂછે છે કે, ‘શું તમને સલાહશાંતિ છે?’”
૧૮
તેથી ઘોડેસવાર યેહૂને મળ્યો અને કહ્યું, “રાજા એમ પૂછે છે કે: ‘શું તમને સલાહશાંતિ છે?’” માટે યેહૂએ કહ્યું, “તારે શાંતિનું શું કામ છે? તું વળીને મારી પાછળ આવ.” ત્યારે ચોકીદારે રાજાને કહ્યું કે, “સંદેશાવાહક તેઓને મળવા ગયો તો ખરો, પણ તે પાછો આવ્યો નથી.”
૧૯
“પછી તેણે બીજો ઘોડેસવાર મોકલ્યો, તેણે ત્યાં આવીને તેઓને કહ્યું, “રાજા એમ પુછાવે છે કે: ‘શું સલાહ શાંતિ છે?’” યેહૂએ કહ્યું, “તારે શાંતિનું શું કામ છે? તું પાછો વળીને મારી પાછળ આવ.”
૨૦
ફરીથી ચોકીદારે ખબર આપી, “તે પણ તેઓને મળ્યો, પણ તે પાછો આવતો નથી. તેની રથની સવારીની પધ્ધતિ તો નિમ્શીના દીકરા યેહૂની સવારી જેવી લાગે છે, કેમ કે, તે ઝડપી સવારી કરી રહ્યો છે.”
૨૧
યોરામે કહ્યું, “મારો રથ તૈયાર કરો.” તેઓએ તેનો રથ તૈયાર કર્યો. ઇઝરાયલનો રાજા યોરામ અને યહૂદિયાનો રાજા અહાઝયાહ પોતપોતાના રથમાં યેહૂને મળવા ગયા. તે તેઓને નાબોથ યિઝ્રએલીની ખડકી આગળ મળ્યો.
૨૨
યોરામે યેહૂને જોતાં જ કહ્યું, “યેહૂ શું સલાહ શાંતિ છે?” તેણે કહ્યું, “જ્યાં સુધી તારી માતા ઇઝબેલ વ્યભિચાર તથા તંત્રમંત્ર કર્યા કરતી હોય ત્યાં સુધી શાની શાંતિ હોય?”
૨૩
તેથી યોરામ તેનો રથ ફેરવીને પાછો વળીને નાઠો અને અહાઝયાહને કહ્યું, “વિશ્વાસઘાત છે, અહાઝયાહ.”
૨૪
પછી યેહૂએ પોતાના પૂરેપૂરા બળથી ધનુષ્ય ખેંચીને યોરામના ખભા વચ્ચે તીર માર્યું; એ તીર તેના હૃદયને વીંધીને પાર નીકળી ગયું અને તે રથમાં જ ઢળી પડયો.
૨૫
પછી યેહૂએ પોતાના સરદાર બિદકારને કહ્યું, “તેને ઉઠાવીને નાબોથ યિઝ્રએલીના ખેતરમાં નાખી દે. જ્યારે તું અને હું બન્ને સાથે તેના પિતા આહાબની પાછળ સવારી કરીને આવતા હતા ત્યારે યહોવાહે તેની વિરુદ્ધ આ ભવિષ્યવાણી કરી હતી તે યાદ કર.
૨૬
યહોવાહ કહે છે, ‘ખરેખર ગઈકાલે મેં નાબોથનું અને તેના દીકરાઓનું રક્ત જોયું છે.’ યહોવાહ કહે છે કે, ‘આ જ ખેતરમાં હું તારી પાસેથી બદલો લઈશ.’ હવે ચાલો, યહોવાહના વચન પ્રમાણે તેને ઉઠાવી લઈને તે ખેતરમાં નાખી દો.”
૨૭
યહૂદિયાનો રાજા અહાઝયાહ આ જોઈને બેથ-હાગ્ગાનને માર્ગે નાસી ગયો. પણ યેહૂએ તેની પાછળ પડીને તેને કહ્યું, “તેને પણ રથમાં મારી નાખો.” તેઓએ તેને યિબ્લામ પાસેના ગૂરના ઘાટ આગળ તેને મારીને ઘાયલ કર્યો. અહાઝયાહ મગિદ્દોમાં નાસી ગયો અને ત્યાં મરણ પામ્યો.
૨૮
તેના ચાકરો તેના શબને રથમાં યરુશાલેમ લાવ્યા અને દાઉદનગરમાં તેના પિતૃઓની સાથે તેની કબરમાં દફ્નાવ્યો.
૨૯
આહાબના દીકરા યોરામના શાસનકાળના અગિયારમા વર્ષે અહાઝયાહ યહૂદિયા પર રાજ કરવા લાગ્યો.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Options