Skip to content
1 શમુએલ ૧૭:૨૬-૩૭

1 શમુએલ ૧૭:૨૬-૩૭

૨૬
દાઉદે પાસે ઊભેલા માણસોને કહ્યું કે, “જે માણસ આ પલિસ્તીને મારી નાખીને ઇઝરાયલમાંથી કલંક દૂર કરશે તેને શું મળશે? આ બેસુન્નત પલિસ્તી કોણ છે કે જીવતા ઈશ્વરના સૈન્યનો તે તિરસ્કાર કરે?”
૨૭
પછી લોકોએ તેને કહ્યું કે, “જે માણસ તેને મારી નાખશે તેને રાજા દ્રવ્ય આપશે. તેની સાથે પોતાની દીકરીના લગ્ન કરાવશે. તે તેના ઘરને ખાસ દરજ્જો આપશે.”
૨૮
તેના મોટા ભાઈ અલિયાબે તેને તે માણસો સાથે બોલતાં સાંભળ્યો. ત્યારે તેણે દાઉદ ઉપર સખત ગુસ્સે થઈને કહ્યું, “તું અહીં કેમ આવ્યો છે? તેં ઘેટાંને અરણ્યમાં કોની પાસે મૂક્યાં છે? હું તારા ગર્વને તથા તારા અંતઃકરણની દુષ્ટતાને જાણું છું; કેમ કે તું અહી લડાઈ જોવા માટે આવ્યો છે.”
૨૯
દાઉદે કહ્યું, “મેં ખોટું શું કર્યું છે? શું હું વિના કારણે બોલું છું?”
૩૦
તે તેની પાસેથી ફરીને બીજાની પાસે ગયો અને તેને તે જ પ્રમાણે કહ્યું. લોકોએ ફરીથી તેને અગાઉના જેવો જ જવાબ આપ્યો.
૩૧
જે શબ્દો દાઉદ બોલ્યો તે સાંભળીને સૈનિકોએ શાઉલની આગળ તેને કહીં સંભળાવ્યા. તેથી શાઉલે દાઉદને તેડાવ્યો.
૩૨
દાઉદે શાઉલને કહ્યું, “કોઈ માણસનું હૃદય પલિસ્તીને લીધે ઉદાસ ન થાઓ; તારો સેવક જઈને તે પલિસ્તી સાથે લડશે.”
૩૩
શાઉલે દાઉદને કહ્યું, “તું પલિસ્તીની સામે જઈને તેની સાથે લડવાને શક્તિમાન જણાતો નથી; કેમ કે તું તો કેવળ જુવાન છે પણ તે તો પોતાની જુવાનીથી લડવૈયો છે.”
૩૪
દાઉદે શાઉલને કહ્યું, “તારો સેવક પોતાના પિતાના ઘેટાં સાચવતો હતો. જયારે કોઈ સિંહ તથા રીંછ આવીને અને ટોળાંમાંના એક ઘેટાં પર ત્રાટકે,
૩૫
ત્યારે હું તેની પાછળ પડીને હુમલો કરતો અને તેના મુખમાંથી ઘેટાંને છોડાવતો. અને જયારે રીંછ કે સિંહ મારા પર હુમલો કરતો, ત્યારે હું તેઓની દાઢી પકડીને, તેઓના પર સામો ધસીને તેઓને મારી નાંખતો હતો.
૩૬
તારા સેવકે સિંહ તથા રીંછ બન્નેને મારી નાખ્યા છે. આ બેસુન્નત પલિસ્તીના હાલ પણ એમાંના એકના જેવા થશે, કેમ કે તેણે જીવતા ઈશ્વરના સૈન્યનો ધિક્કાર કર્યો છે.”
૩૭
દાઉદે કહ્યું, “જે ઈશ્વરે મને સિંહના પંજામાંથી અને રીંછના પંજામાંથી બચાવ્યો હતો. તે આ પલિસ્તીના હાથમાંથી મને બચાવશે.” પછી શાઉલે દાઉદને કહ્યું, “જા, ઈશ્વર તારી સાથે રહો.”
Settings

Reading Style

Typeface

Font Size 19px

Options