1 રાજઓ ૫:૧-૧૨
૧
¶ તૂરના રાજા હીરામે પોતાના ચાકરોને સુલેમાન પાસે મોકલ્યા, કેમ કે તેણે સાંભળ્યું હતું કે લોકોએ તેને તેના પિતાને સ્થાને રાજા તરીકે અભિષિક્ત કર્યો હતો; હીરામ હમેશાં દાઉદ પર પ્રેમ રાખતો હતો.
૨
સુલેમાને હીરામ પાસે માણસ મોકલીને કહેવડાવ્યું,
૩
“તું જાણે છે કે મારા પિતા દાઉદની ચારે તરફ જે સર્વ વિગ્રહ ચાલતા હતા તેમાં જ્યાં સુધી યહોવાહે વિરોધીઓને હરાવ્યા નહિ, ત્યાં સુધી તેઓને લીધે પોતાના ઈશ્વર યહોવાહના નામને અર્થે તે ભક્તિસ્થાન બાંધી શક્યા નહિ.
૪
¶ પણ હવે, મારા ઈશ્વર યહોવાહે મને ચારે તરફ શાંતિ આપી છે. ત્યાં કોઈ શત્રુ નથી કે કંઈ આપત્તિ નથી.
૫
તેથી જેમ ઈશ્વરે મારા પિતા દાઉદને કહ્યું હતું, ‘તારા જે દીકરાને હું તારે સ્થાને તારા રાજ્યાસન પર બેસાડીશ તે મારા નામને અર્થે ભક્તિસ્થાન બાંધશે.’ તે પ્રમાણે હું મારા ઈશ્વર યહોવાહના નામને અર્થે ભક્તિસ્થાન બાંધવાનો ઇરાદો રાખું છું.
૬
¶ તેથી હવે મારા માટે લબાનોન પરથી દેવદાર વૃક્ષો કપાવવાની આજ્ઞા આપો. અને મારા સેવકો તમારા સેવકોની સાથે રહેશે અને તમે જે પ્રમાણે કહેશો તે મુજબ હું તમારા સેવકોને વેતન ચૂકવી આપીશ. કારણ કે તમે જાણો છો કે અમારામાં સિદોનીઓના જેવા લાકડાં કાપનારો કોઈ હોશિયાર માણસો નથી.”
૭
¶ જયારે હીરામે સુલેમાનની વાતો સાંભળી, ત્યારે ઘણો આનંદિત થઈને બોલ્યો, “આજે યહોવાહની સ્તુતિ થાઓ કે તેમણે આ મહાન પ્રજા પર રાજ કરવા દાઉદને જ્ઞાની દીકરો આપ્યો છે.”
૮
હીરામે સુલેમાનની પાસે માણસ મોકલીને કહાવ્યું, “જે સંદેશો તમે મારા પર મોકલ્યો છે તે મેં સાંભળ્યો છે. એરેજવૃક્ષનાં લાકડાંની બાબતમાં તથા દેવદારનાં લાકડાંની બાબતમાં હું તમારી ઇચ્છા પ્રમાણે બધું કરીશ.
૯
¶ મારા ચાકરો લાકડાંને લબાનોન પરથી સમુદ્રકિનારે ઉતારી લાવશે અને જે સ્થળ તમે મુકરર કરશો ત્યાં તે સમુદ્રમાર્ગે લઈ જવા માટે હું તેમના તરાપા બંધાવીશ અને તમે તે ત્યાંથી લઈ જજો. તમે મારા ઘરનાંને ખોરાકી પૂરી પાડજો, એટલે મારી ઇચ્છા પૂરી થશે.”
૧૦
¶ તેથી હીરામે સુલેમાનને તેની ઇચ્છા પ્રમાણે એરેજવૃક્ષોનાં લાકડાં તથા દેવદારનાં લાકડાં આપ્યાં.
૧૧
સુલેમાને હીરામના ઘરનાંને ખોરાકી બદલ વીસ હજાર માપ ઘઉં અને વીસ હજાર માપ શુદ્ધ તેલ આપ્યું. સુલેમાન હીરામને વર્ષોવર્ષ એ પ્રમાણે આપતો.
૧૨
યહોવાહે સુલેમાનને વચન પ્રમાણે જ્ઞાન આપ્યું હતું. હીરામ તથા સુલેમાનની વચ્ચે સંપ હતો અને તેઓ બન્નેએ અરસપરસ કરાર કર્યો.
Settings