1 રાજઓ ૧૪:૧-૧૮
૧
¶ તે સમયે યરોબામનો પુત્ર અબિયા બીમાર પડ્યો.
૨
યરોબામે પોતાની પત્નીને કહ્યું, “કૃપા કરીને ઊઠ અને તારો વેશ બદલ કે જેથી મારી પત્ની તરીકે તને કોઈ ઓળખે નહિ. તું શીલો જા. કેમ કે અહિયા પ્રબોધક ત્યાં રહે છે, જેણે મારા વિષે કહ્યું હતું કે, હું આ લોકોનો રાજા થવાનો છું.
૩
તારી સાથે દસ રોટલી, ખાખરા અને એક કૂંડી ભરીને મધ લઈને અહિયા પાસે જા. આ દીકરાનું શું થશે તે તને કહેશે.”
૪
યરોબામની પત્નીએ તે પ્રમાણે કર્યુ. તે તરત જ નીકળીને શીલો ગઈ, અહિયાને ઘરે આવી. અહિયાને દેખાતું નહોતું. વૃદ્ધાવસ્થાને લીધે તેની આંખો નબળી પડી હતી.
૫
યહોવાહે તેને કહ્યું કે, “જો, યરોબામની પત્ની પોતાના બીમાર દીકરા વિષે પૂછપરછ કરવા માટે તારી પાસે આવી રહી છે. તું તેને આ પ્રમાણે કહેજે. તે આવશે ત્યારે તે કોઈક બીજી જ સ્ત્રી હોવાનો દેખાવ કરીને આવશે.”
૬
¶ આથી અહિયાએ જયારે બારણા આગળ તેનાં પગલાંનો અવાજ સાંભળ્યો ત્યારે તેણે કહ્યું, “અંદર આવ, યરોબામની પત્ની, તું બીજી સ્રી હોવાનો દેખાવ શા માટે કરે છે? હું તને પાછી દુઃખદાયક સમાચાર સાથે મોકલવાનો છું.
૭
જા, જઈને યરોબામને જણાવ કે, ઇઝરાયલના ઈશ્વર યહોવાહ એવું કહે છે કે, ‘મેં તને એક સામાન્ય માણસમાંથી ઇઝરાયલનો રાજા બનાવ્યો.
૮
મેં દાઉદના કટુંબ પાસેથી રાજ્ય છીનવી લઈને તને આપ્યું. પણ તું મારા સેવક દાઉદ જેવો થયો નહિ. તે મારી આજ્ઞાઓ પાળતો હતો, પૂરા હૃદયથી મારા માર્ગે ચાલતો હતો તથા મારી નજરમાં જે સારું હોય તે જ કરતો હતો.
૯
¶ પણ તેના બદલે તેં તારા બધા પૂર્વજો કરતાં વધારે ખરાબ કામો કર્યાં છે, તેં બીજા દેવો તથા ઢાળેલી મૂર્તિઓ બનાવીને મને રોષ ચઢાવ્યો. તેં મારી અવગણના કરી.
૧૦
તેથી હું તારા કુટુંબ પર આફત લાવીશ. તારા કુટુંબમાંનો દરેક નર બાળક જે ઇઝરાયલમાં બંદીવાન હોય કે સ્વતંત્ર હોય તેને હું નષ્ટ કરીશ. જેમ છાણ રાખ થાય ત્યાં સુધી બળ્યા કરે છે તેવી જ રીતે તારું સમગ્ર કુટુંબ નાશ પામશે.
૧૧
¶ તારા કુટુંબમાંથી જેઓ શહેરમાં મરણ પામશે તેઓને કૂતરાં ખાશે અને જેઓ ખેતરોમાં મૃત્યુ પામશે તેઓને પક્ષીઓ ખાશે. કેમ કે યહોવાહ કહે છે.
૧૨
“તેથી ઊઠીને, તું તારે ઘરે જા. તું નગરમાં પહોંચશે તે જ સમયે તારો દીકરો મૃત્યુ પામશે.
૧૩
સર્વ ઇઝરાયલી લોકો તેને માટે શોક કરશે અને તેને દફનાવશે. તારા કુટુંબમાંથી એ એકલો જ હશે કે જે કબરમાં જવા પામશે. કેમ કે ઇઝરાયલના ઈશ્વર યહોવાહ પ્રત્યે યરોબામના સમગ્ર કુટુંબમાંથી માત્ર આ છોકરામાં જ સારી બાબત માલૂમ પડી છે.
૧૪
¶ પણ યહોવાહ ઇઝરાયલ માટે એક રાજા નિયુકત કરશે અને તે જ દિવસે તે યરોબામના કુટુંબનો અંત લાવશે.
૧૫
જેવી રીતે બરુ નદીમાં ઝોલાં ખાય છે તેવી જ રીતે યહોવાહ ઇઝરાયલ પર પ્રહાર કરશે. યહોવાહ ઇઝરાયલીઓને તેઓના પિતૃઓને આપેલા દેશમાંથી જડમૂળથી ઉખેડી નાખશે અને ફ્રાત નદીને પેલે પાર તેઓને વિખેરી નાખશે. કારણ કે અશેરીમનો સ્તંભ બનાવી તેઓએ યહોવાહને કોપાયમાન કર્યા છે.
૧૬
જે પાપો યરોબામે કર્યાં છે અને જે વડે તેણે ઇઝરાયલ પાસે પાપ કરાવ્યું છે તેને લીધે યહોવાહ ઇઝરાયલને તજી દેશે.”
૧૭
¶ પછી યરોબામની પત્ની ઊઠી અને તે તિર્સા આવી પહોંચી. જ્યારે તેના ઘરના ઊમરા પર પહોંચી તે જ ઘડીએ દીકરો મૃત્યુ પામ્યો.
૧૮
યહોવાહે પોતાના સેવક અહિયા પ્રબોધકને જે વચન કહ્યું હતું તે પ્રમાણે જ બધું બન્યું. તેઓએ તેને દફનાવ્યો અને આખા ઇઝરાયલે તેનો શોક પાળ્યો.
Settings