Skip to content
1 રાજઓ ૧૩:૨૩-૩૨

1 રાજઓ ૧૩:૨૩-૩૨

૨૩
તેણે રોટલી ખાધી અને પાણી પી રહ્યા પછી વૃદ્વ પ્રબોધકે ઈશ્વરભક્ત માટે ગધેડા પર જીન બાંધ્યું.
૨૪
જયારે તે ઈશ્વરભક્ત જતો હતો ત્યારે માર્ગમાં એક સિંહે તેને મારી નાખ્યો. તેનો મૃતદેહ ત્યાં રસ્તામાં પડ્યો હતો. ગધેડો તથા સિંહ તે મૃતદેહની પાસે ઊભા હતા.
૨૫
જે માણસો તે રસ્તેથી પસાર થયા તેઓએ જોયું કે માર્ગમાં મૃતદેહ પડેલો છે અને તેની પાસે સિંહ ઊભો છે. અને તેઓએ નગરમાં એટલે જ્યાં વૃદ્વ પ્રબોધક રહેતો હતો ત્યાં આના વિષે વાત કરી.
૨૬
તેને માર્ગમાંથી પાછો લઈ આવનાર વૃદ્ધ પ્રબોધકે જયારે આ વિષે સાંભળ્યું ત્યારે તેણે કહ્યું, “તે તો ઈશ્વરભક્ત છે, તેણે યહોવાહની આજ્ઞાની અવગણના કરી હતી. તે માટે યહોવાહે તેને સિંહને સોંપ્યો. તેણે તેની પર હુમલો કરીને તેને મારી નાખ્યો. તે દ્વારા યહોવાહે તેને કહેલા વચન પ્રમાણે થયું.”
૨૭
પછી તેણે પોતાના પુત્રોને ગધેડા પર જીન બાંધવા માટે કહ્યું અને તેઓએ તે પ્રમાણે કર્યુ.
૨૮
તે ગયો અને તેણે જોયું કે ઈશ્વરભક્તનો મૃતદેહ માર્ગમાં પડ્યો હતો તેમ જ ગધેડો તથા સિંહ હજી પણ તેની પાસે ઊભા હતા. વળી સિંહે મૃતદેહ ખાધો ન હતો અને ગધેડા પર હુમલો પણ કર્યો ન હતો.
૨૯
પછી વૃદ્ધ પ્રબોધક ઈશ્વરભક્તના મૃતદેહને ઉપાડીને શોક કરવા અને દફનાવવા માટે ગધેડા પર મૂકીને નગરમાં લઈ આવ્યો.
૩૦
તેણે તે મૃતદેહને પોતાની કબરમાં મૂક્યો અને તેઓએ તેને માટે શોક કરતા કહ્યું કે, “હાય! ઓ મારા ભાઈ!”
૩૧
તેને દફનાવ્યા પછી, તે વૃદ્ધ પ્રબોધકે પોતાના પુત્રોને કહ્યું, “હું મરી જાઉં ત્યારે મને આ ઈશ્વરભક્તની સાથે એક જ કબરમાં દફનાવજો. મારાં હાડકાં તેના હાડકાંની બાજુમાં મૂકજો.
૩૨
કારણ કે, બેથેલની આ વેદી સામે અને સમરુન નગરમાંના ઉચ્ચસ્થાનોની સામે યહોવાહનું જે વચન તેણે પોકાર્યું હતું તે નક્કી પૂરું થશે.”
Settings

Reading Style

Typeface

Font Size 19px

Options