Religious Coercion વિશે બાઇબલની કલમો
મુખ્ય બાઇબલ કલમો
¶ તેઓએ ઈશ્વરને શોધવાને માટે પોતાના પિતૃઓના પ્રભુ ઈશ્વરની સાચા હૃદયથી તથા સંપૂર્ણ ભાવથી સ્તુતિ કરવાનો કરાર કર્યો.
નાનો હોય કે મોટો, સ્ત્રી હોય કે પુરુષ, જે કોઈ ઇઝરાયલના પ્રભુ ઈશ્વરની સ્તુતિ ન કરે તેને મૃત્યુદંડ આપવાને એકમત થયા.
¶ તેઓએ ઈશ્વરની આગળ ઊંચા અવાજે પોકારીને તથા રણશિંગડાં અને શરણાઈ વગાડીને સોગન ખાધા.
તે સોગનથી યહૂદિયાના સર્વ લોકો ખૂબ આનંદ પામ્યા, કારણ કે તેઓએ પોતાના પૂરા અંત:કરણથી સોગન ખાધા હતા અને તેઓએ પોતાની સંપૂર્ણ ઇચ્છાથી ઈશ્વરને શોધ્યા અને તે તેઓને મળ્યા. ઈશ્વરે તેઓને ચારેતરફની શાંતિ આપી.
¶ નબૂખાદનેસ્સાર રાજાએ છ હાથ ઊંચી અને છ હાથ પહોળી સોનાની મૂર્તિ બનાવી હતી. તેણે બાબિલના પ્રાંતમાંના દૂરાના મેદાનમાં તેની સ્થાપના કરાવી.
પછી નબૂખાદનેસ્સારે પ્રાંતના રાજકર્તાઓને, રાજયપાલોને, સૂબાઓને, ન્યાયાધીશોને, ભંડારીઓને, સલાહકારોને, અમલદારોને તથા પ્રાંતોના સર્વ અધિકારીઓને એકત્ર કરવા માટે સંદેશા મોકલ્યા કે, જેથી તેણે જે મૂર્તિ સ્થાપી હતી તેની પ્રતિષ્ઠા વિધિમાં તેઓ હાજર રહેવા માટે આવે.
¶ ત્યારે પ્રાંતના રાજકર્તાઓ, સૂબાઓ, નાયબસૂબાઓ, સલાહકારો, ભંડારીઓ, ન્યાયાધીશો, અમલદારો તથા પ્રાંતના સર્વ મુખ્ય અધિકારીઓ નબૂખાદનેસ્સારે જે મૂર્તિની સ્થાપના કરી હતી તેની પ્રતિષ્ઠા કરવા માટે એકત્ર થયા. તેઓ તેની આગળ ઊભા રહ્યા.
ત્યારે ચોકીદારે મોટે અવાજે પોકાર કર્યો, “હે લોકો, પ્રજાઓ તથા જુદી જુદી ભાષાઓ બોલનારા માણસો તમને હુકમ કરવામાં આવે છે કે,
જે સમયે તમે રણશિંગડાંઓ, વાંસળીઓ, વીણાઓ, સિતારો, સારંગીઓ તથા સર્વ પ્રકારનાં વાજિંત્રોનો અવાજ તમે સાંભળો તે સમયે તમારે નબૂખાદનેસ્સારે સ્થાપેલી સોનાની મૂર્તિને નમન કરીને સાષ્ટાંગ દંડવત પ્રણામ કરવા.
¶ જે કોઈ માણસ સાષ્ટાંગ દંડવત પ્રણામ કરીને પૂજા નહિ કરે, તેને તેજ ક્ષણે બળબળતા અગ્નિની ભઠ્ઠીમાં નાખવામાં આવશે.”
તેથી જ્યારે સર્વ લોકોએ રણશિંગડાંઓ, શરણાઈઓ, વીણાઓ, સિતારો, સારંગીઓ તથા સર્વ પ્રકારના વાજિંત્રોનો અવાજ સાંભળ્યા ત્યારે લોકોએ, પ્રજાઓએ તથા ભાષાઓએ નબૂખાદનેસ્સારે સ્થાપેલી સોનાની મૂર્તિને સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા.
¶ હવે તે સમયે કેટલાક ખાલદીઓ રાજાની પાસે આવ્યા અને તેઓએ યહૂદીઓ સામે આરોપ મૂક્યો.
તેઓએ નબૂખાદનેસ્સાર રાજાને કહ્યું, “હે રાજા, સદા જીવતા રહો.”
તમે એવો હુકમ ફરમાવ્યો કે, દરેક માણસ કે જે રણશિંગડાં, શરણાઈઓ, વીણાઓ, સિતારો, સારંગીઓ તથા સર્વ પ્રકારના વાજિંત્રોનો અવાજ સાંભળે તેણે સોનાની મૂર્તિને સાષ્ટાંગ દંડવત પ્રણામ કરવા.
¶ જે કોઈ સાષ્ટાંગ દંડવત પ્રણામ કરીને સોનાની મૂર્તિની પૂજા નહિ કરે, તેને બળબળતા અગ્નિની ભઠ્ઠીમાં નાખવામાં આવશે.
હવે કેટલાક યહૂદીઓને જેને આપે બાબિલ પ્રાંતનો વહીવટ સોંપ્યો છે; તેમનાં નામ શાદ્રાખ, મેશાખ તથા અબેદ-નગો છે. હે રાજા, આ માણસોએ આપની વાતો પર ધ્યાન આપ્યું નથી. તેઓ તમારા દેવોની સેવા કરતા નથી કે, તમે સ્થાપેલી સોનાની મૂર્તિને સાષ્ટાંગ દંડવત પ્રણામ કરીને પૂજા કરતા નથી.”
¶ ત્યારે નબૂખાદનેસ્સાર કોપાયમાન થયો. તેણે શાદ્રાખ, મેશાખ અને અબેદ-નગોને પોતાની આગળ લાવવાનો હુકમ કર્યો. માટે તેઓ આ માણસોને રાજાની આગળ લાવ્યા.
નબૂખાદનેસ્સારે તેઓને કહ્યું, “હે શાદ્રાખ, મેશાખ તથા અબેદ-નગો, શું તમે મનમાં નક્કી કર્યું છે કે, તમે મારા દેવોની ઉપાસના અને મેં સ્થાપન કરેલી સોનાની મૂર્તિને સાષ્ટાંગ દંડવત પ્રણામ નહિ કરો?
¶ હવે જો તમે રણશિંગડાં, શરણાઈ, વીણા, સિતાર, સારંગી તથા સર્વ પ્રકારના વાજિંત્રોનો અવાજ સાંભળો ત્યારે સાષ્ટાંગ દંડવત પ્રણામ કરીને મારી સ્થાપેલી મૂર્તિની પૂજા કરવા તૈયાર થશો, તો સારી વાત છે. પણ જો તમે પૂજા નહિ કરો તો તમને તેજ ક્ષણે બળબળતા અગ્નિની ભઠ્ઠીમાં નાખવામાં આવશે. મારા હાથમાંથી તમને છોડાવવાને સમર્થ એવો દેવ કોણ છે?”
¶ શાદ્રાખ, મેશાખ તથા અબેદ-નગોએ રાજાને જવાબ આપ્યો, “હે નબૂખાદનેસ્સાર, આ બાબતમાં તમને જવાબ આપવાની અમને કોઈ જરૂર નથી.
જો કોઈ જવાબ હોય તો, તે અમારા ઈશ્વર કે જેમની અમે સેવા કરીએ છીએ તે આપશે. તે અમને બળતા અગ્નિની ભઠ્ઠીથી સલામત રાખવાને શક્તિમાન છે, હે રાજા, તે અમને તમારા હાથમાંથી છોડાવશે.
પણ જો નહિ છોડાવે, તોપણ, હે રાજા તમે જાણી લો કે, અમે તમારા દેવોની સેવા નહિ કરીએ કે, તમે સ્થાપેલી સોનાની મૂર્તિને સાષ્ટાંગ દંડવત પ્રણામ નહિ કરીએ.”
¶ ત્યારે નબૂખાદનેસ્સાર વધારે રોષે ભરાયો; શાદ્રાખ, મેશાખ અને અબેદ-નગો સામે તેનો ચહેરો બદલાઈ ગયો. તેણે હુકમ કર્યો કે, ભઠ્ઠીને હંમેશાં ગરમ કરવામાં આવે છે તેના કરતાં સાતગણી વધારે ગરમ કરવામાં આવે.
પછી તેણે પોતાના સૈન્યના કેટલાક બળવાન માણસોને હુકમ કર્યો કે, શાદ્રાખ, મેશાખ તથા અબેદ-નગોને બાંધીને તેઓને બળબળતા અગ્નિની ભઠ્ઠીમાં નાખી દો.
¶ તેઓએ તેઓને ઝભ્ભા, પાઘડી તથા બીજાં વસ્ત્રો સહિત બાંધીને અગ્નિની ભઠ્ઠીમાં નાખી દીધા.