Skip to content

ગીતશાસ્ત્ર૨૭

યહોવાહ મારા ઉદ્ધારનાર તથા પ્રકાશ છે; હું કોનાથી બીહું? યહોવાહ મારા જીવનનું સામર્થ્ય છે; મને કોનો ભય લાગે?
જ્યારે દુરાચારીઓ અને મારા શત્રુઓ મારો સંહાર કરવા આવશે, ત્યારે તેઓ ઠોકર ખાઈને નીચે પડશે.
જો કે સૈન્ય મારી સામે છાવણી નાખે, તોપણ હું મનમાં ડરીશ નહિ; જો કે મારી વિરુદ્ધ યુદ્ધ ઊઠે, તોપણ હું ઈશ્વર પર ભરોસો રાખીશ.
યહોવાહ પાસે મેં એક વરદાન માગ્યું છે: કે યહોવાહનું ઘર મારી જિંદગીના સર્વ દિવસો દરમ્યાન મારું નિવાસસ્થાન થાય, જેથી હું યહોવાહના સૌંદર્યનું અવલોકન કર્યા કરું અને તેમના પવિત્રસ્થાનમાં તેમનું ધ્યાન ધરું.
કેમ કે સંકટના સમયે તેઓ મને પોતાના મંડપમાં ગુપ્ત રાખશે; તે પોતાના મંડપને આશ્રયે મને સંતાડશે. તે મને ખડક પર ચઢાવશે!
પછી મારી આસપાસના શત્રુઓ પર મારું માથું ઊંચું કરવામાં આવશે અને હું તેમના મંડપમાં હર્ષનાદનાં અર્પણ ચઢાવીશ! હું ગાઈશ અને યહોવાહનાં સ્તોત્રો ગાઈશ!
હે યહોવાહ, જ્યારે હું વિનંતી કરું, ત્યારે તે સાંભળો! મારા પર દયા કરીને મને ઉત્તર આપો!
મારું હૃદય તમારા વિષે કહે છે કે, “તેમનું મુખ શોધો!” હે યહોવાહ, હું તમારું મુખ શોધીશ!
તમે તમારું મુખ મારાથી ફેરવશો નહિ; કોપ કરીને તમે તમારા સેવકને તજી દેશો નહિ! તમે મારા સહાયકારી થયા છો; હે મારા ઉદ્ધારનાર ઈશ્વર, મને દૂર ન કરો અને મને તજી ન દો!
૧૦
જો કે મારા માતાપિતાએ મને તજી દીધો છે, તોપણ યહોવાહ મને સંભાળશે.
૧૧
હે યહોવાહ, મને તમારો માર્ગ શીખવો! મારા શત્રુઓને લીધે મને સરળ માર્ગે દોરી જાઓ.
૧૨
મને મારા શત્રુઓના હાથમાં ન સોંપો, કારણ કે જૂઠા સાક્ષીઓ તથા જુલમના ફૂંફાડા મારનારા મારી વિરુદ્ધ ઊઠ્યા છે!
૧૩
આ જીવનમાં હું યહોવાહની દયાનો અનુભવ કરીશ, એવો જો મેં વિશ્વાસ કર્યો ન હોત તો હું નિર્બળ થઈ જાત!
૧૪
યહોવાહની રાહ જો; બળવાન થા અને હિંમત રાખ! હા, યહોવાહની રાહ જો!
Use arrow keys to navigate
Settings

Reading Style

Typeface

Font Size 19px

Options